London, તા. 17
ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી વન-ડે સિરીઝના બીજા મુકાબલામાં યજમાન ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.
આ મેચમાં ઇંગ્લેન્ડની જીતનો હીરો જો રૂટ રહ્યો હતો, જેણે અણનમ 99 રનની શાનદાર ઇનિંગ રમીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મેળવ્યો હતો. આ હાર સાથે જ ભારતીય બેટિંગ લાઇન-અપની સૌથી મોટી નબળાઈ ફરી એકવાર વિશ્વ સમક્ષ ઉજાગર થઈ ગઈ છે, જ્યાં મજબૂત શરૂઆત મળવા છતાં ભારતીય ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી અને માત્ર 44 ઓવરમાં 233 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનોની આ સ્થિતિ જોઈને ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર રવિ બોપારાએ જણાવ્યું કે, ભારતીય બેટ્સમેનો ઇંગ્લેન્ડની પિચો પર શોર્ટ-પીચ (બાઉન્સર) બોલ રમવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે અને તેઓ ક્રિઝ પર ‘થોડા પરેશાન’ દેખાઈ રહ્યાં છે.
સોફિયા ગાર્ડન્સની પિચ પર ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરોએ આ નબળાઈનો ભરપૂર ફાયદો ઉઠાવીને ભારતીય ઇનિંગ્સની 9 વિકેટો ઝડપી લીધી હતી. બોપારાએ ઉમેર્યું કે, જ્યારે પણ કોઈ એક ભારતીય બેટ્સમેન શોર્ટ બોલ પર આઉટ થાય છે, ત્યારે ડ્રેસિંગ રૂમમાં જાણે ડરનો માહોલ ફેલાઈ જાય છે અને બાકીના ખેલાડીઓ પણ ગતિ અને ઉછાળવાળા બોલ સામે શરણાગતિ સ્વીકારી લે છે.
બીજી તરફ, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયન મોર્ગને મેચના મિડલ ઓવર્સ દરમિયાન ઇંગ્લેન્ડના બોલરોની ચોક્કસ રણનીતિના વખાણ કર્યા, જેમણે ભારતીય બેટ્સમેનોને ક્રોસ-બેટેડ (આડા બેટે) શોટ્સ રમવા માટે મજબૂર કર્યા હતા. આ સિવાય મોર્ગને વિરાટ કોહલીની બેટિંગ અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
વિરાટ કોહલી શરૂઆતથી જ ખૂબ જ શાનદાર ફોર્મમાં અને મજબૂત ફૂટવર્ક સાથે રમી રહ્યો હતો, પરંતુ 65 રન પર તેનો આઉટ થવું એ ખરેખર અણધાર્યું હતું, કારણ કે સામાન્ય રીતે કોહલી એકવાર સેટ થયા પછી તેને મોટી સદીમાં બદલવા માટે જાણીતો છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો, 1990 અને 2000ના દાયકામાં પણ વિદેશી પિચો પર ભારતીય બેટ્સમેનોની આ નબળાઈઓ આવી રીતે જ સામે આવી હતી અને હવે એ જ પરિસ્થિતિમાં ફરી ભારતીય ટીમ આવી ગઈ છે હવે સિરીઝ કોણ જીતશે તેનો અંતિમ ફેંસલો 19 જુલાઈએ લંડન ખાતે રમાનારી છેલ્લી મેચમાં થશે.

