Ahmedabad ,તા.17
ગુજરાત પર આતંકી સંગઠનોએ ફરી ડોળો માંડયો હોય તેમ વધુ પાંચ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય શકમંદ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનુ અને તેમની પાસેથી ધાર્મિક સામગ્રી સહિત વાંધાજનક ચીજવસ્તુઓ હાથ લાગતા ધનિષ્ટ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનુ ગુજરાતમાં નેટવર્ક વિસ્તરી રહ્યાની બાતમીના આધારે ગુજરાત આતંકવાદ વિરોધી સ્કવોડ એલર્ટ મોડ પર હતી અને તાજેતરમાં સંગઠનના ઓપરેટીવ પકડાયા બાદ તેઓની પુછપરછમાં વધુ નામોનો ખુલાસો થયો હતો અને તેના આધારે પાંચની ધરપકડ કરીને 24મી જુલાઈ સુધીના રીમાંડ પર મેળવવામાં આવ્યા છે.
સુત્રોએ એમ કહ્યુ કે એટીએસ દ્વારા જુદા-જુદા જીલ્લામાંથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અને ધનિષ્ટ પુછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓ ક્રુડબોંબ બનાવીને તેનુ પરિક્ષણ કરતા હતા પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. પાંચમાંથી એક શકમંદ આતંકી બોંબ બનાવવાની પ્રક્રિયાથી વાકેફ હતો. તેઓ પાસેથી વાંધાજનક ધાર્મિક સાહિત્ય સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આઠ શખ્સોની ગત 3જી જુલાઈએ ગુજરાત તથા મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી હતી અને પુછપરછ હાથ ધરી હતી. ગુજરાતમાં સમગ્ર ત્રાસવાદી નેટવર્ક ભેદવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

