તથ્ય પટેલને હંગામી ધોરણે જામીન આપવામાં આવ્યા
Ahmedabad, તા.૨૩
શહેરમાં ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલા થયેલા ૯ લોકોનો જીવ લેનારા તથ્ય પટેલને હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, તેમની જેગુઆર કાર દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં ૧૧ લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
તથ્યના દાદાના મરણક્રિયાના કારણોસર જામીન માંગવામાં આવ્યા હતા. જે બાદ દાદાની અંતિમવિધી માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, અંતિમવિધી બાદ ફરીથી જેલમાં પરત લઈ જવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, તથ્ય પહેટે એક વર્ષ પહેલા ૧૯મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં ૯ લોકોને જીવતા કચડી નાખ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે બે દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તથ્યના દાદા બીમાર છે અને દાદાની તબિયત ગંભીર હોવાથી તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વચગાળાના જામીન આપવામાં આવે. આ દરમિયાન ગઇકાલે સુનાવણી પહેલાં જ તેમના દાદાનું મોત થયું હતું. જેથી તથ્ય તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, દાદાનું મોત થયું છે, તેમની અંતિમવિધિ કરવાની છે, ત્યારબાદ બેસણું અને ૧૨, ૧૩માં દિવસની વિધિ કરવાની હોવાથી તથ્યની હાજરી જરૂરી છે, ત્યારે ચાર અઠવાડિયાના જામીન આપવા જોઇએ. આ મામલે સરકારી વકીલને નોટિસ ઇશ્યુ કરી હતી. જેથી સરકારી વકીલ તારાબા ચુડાસમા હાજર રહ્યાં હતાં. તેમણે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે ગંભીર ગુનો છે, અંતિમવિધિ માટે જામીન આપી શકાય, પરંતુ ચાર અઠવાડિયા સુધીનો સમય ન આપી શકાય. કોર્ટે બંને પક્ષોની આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી તથ્યને પોલીસ જાપ્તા સાથે દાદાની અંતિમ વિધિની ક્રિયામાં હાજર રહેવા માટે જામીન મંજૂર કર્યા હતા.