Dwarka, તા.4
ઓનલાઈન એપ્લીકેશનની દુનિયામાં ઠગાઈના જયારે અલગ અલગ કિમિયાઓ અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે તેમાં પણ ખાસ કરીને ધાર્મિક સ્થાનોના નામે પણ ઠગાઈ કરાતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
એન્ડ્રોઈડ ફોનમાં હાલ એક ચોક્કસ નામની એપ્લીકેશનમાં દ્વારકા અને બેટ દ્વારકા સહિત દેશભરના 32 જેટલા તીર્થસ્થાનોમાં દર્શન ઈત્યાદિની સુવિધાઓ અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ કરાઈ છે.
જેમાં દ્વારકા તથા બેટ દ્વારકા તીર્થ સ્થાનોમાં તત્કાલ દર્શન કરવા હોય તો દિવસ અને સમય સ્લોટ સાથે દ્વારકાધીશ મંદિરમાં વ્યકિત દીઠ 800 અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્યકિત દીઠ 501 રૂપિયા લખાયેલા છે.
જો કે આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જે તે તીર્થ સ્થાનનું વહીવટી તંત્ર અજાણ હોય આ એપ્લીકેશન સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે દ્વારકામાં ઉહાપોહ જાગ્યા બાદ વેબસાઈટ અને એપ્લીકેશનમાં ઉપલબ્ધ 32 ધાર્મિક સ્થળોમાંથી દ્વારકા ગાયબ કરી દેવાયું છે.
દ્વારકાના જાગૃત નાગરિક ધનવંત વાયડા દ્વારા આ એપ્લીકેશનના હેલ્પલાઈન ઉપર ફોન કરી વીઆઈપી દર્શન કરાવવા વ્યકિત દીઠ 800 રૂપિયા લેવાતા હોવાની પુષ્ટિ કરતો ઓડિયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ હરિ ઓમ એપ્લીકેશન સાચી છે કે ફ્રોડ તેની તેમજ જો ખરેખર આ એપ્લીકેશન દ્વારા ચાર્જ લેવાતો હોય તો વ્યકિત દીઠ 800 રૂપિયા કોના ખિસ્સામાં જાય છે તેની પણ તપાસ થવી જરૂરી છે.