વૃદ્ધ લગ્નપ્રસંગમાં ઢોલ વગાડી પરત ઘરે જતા હતા અને કાળ આંબ્યો
Dhoraji,તા.25
ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં વાલ્મિકીવાસમાં રહેતા વૃદ્ધનું અકસ્માતમાં મોત થયું હતું. વૃદ્ધ ગામમાં લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા બાદમાં પરત ફરતા સમયે બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થવા સબબ તેમનું મોત થયું હતું. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસમાં રહેતા જયંતીભાઈ દેવશીભાઈ સાગઠીયા (ઉ.વ. 62) અને તેમનો પુત્ર રાકેશ સાગઠીયા (ઉ.વ. 42) બંને ગઈકાલ સાંજે અલગ અલગ વાહન લઇ ગામમાં આવેલા પંચના મહાદેવ ખાતે લગ્નમાં ઢોલ વગાડવા માટે ગયા હતા.
આશરે સવા છ વાગ્યે આસપાસ વૃદ્ધે પુત્રને કહ્યું હતું કે, તું બધું સરખું કરીને આવજે હું જાઉં છું તેમ કહી તેઓ ટીવીએસ કંપનીનું મોટરસાયકલ નંબર જીજે 3 કેયુ 2069 લઈ ઘરે જવા માટે નીકળ્યા હતા. દસેક મિનિટ બાદ તેમનો પુત્ર રાકેશ અહીં કામ પૂર્ણ કરી ઘરે જવા માટે નીકળતો હતો. ત્યારે ઇમ્પીરીયલ સ્કૂલ તરફ રસ્તે ધૂળના ઢગલા પર લોકો ટોળે વળી ઊભા હોય જેથી યુવાને અહીં જઈ જોતા તેના પિતા જયંતીભાઈ સાગઠીયા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જેથી 108 ને જાણ કરી હતી અને બાદમાં તેમને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધ અને મૃત જાહેર કર્યા હતા. જયંતીભાઈ સાગઠીયા મહાદેવ મંદિરે લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડી પરત ફરતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા ઇજા થવા તેમનું મોત થયું હતું. વૃદ્ધને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું અને ત્રણ ભાઈ બે બહેનના પરિવારમાં તેઓ વચેટ હોવાનું જાણવા મળ્યું છે.

