Mumbai,તા.29
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આગામી શ્રીલંકા પ્રવાસ માટે 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સદસ્યીય ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ પ્રવાસ માટે ટીમના સુકાની તરીકે યુવા બેટ્સમેન શુભમન ગિલની વરણી કરી છે, જ્યારે અનુભવી કે.એલ. રાહુલને ટીમના ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારો અને સરપ્રાઈઝ કરનારો નિર્ણય 33 વર્ષીય ઓલરાઉન્ડર સારાંશ જૈનની પસંદગીનો રહ્યો છે, જેમને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
શ્રીલંકા પ્રવાસની ટીમમાં સ્થાન મેળવનારા 33 વર્ષીય સારાંશ જૈન સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશની ટીમ તરફથી રમે છે. તે લેફ્ટી બેટ્સમેન અને રાઇટી ઓફ-સ્પિન બોલર છે. વાસ્તવમાં, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન ઇજાગ્રસ્ત થવાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો, જેના કારણે પસંદગીકારોએ એક મજબૂત વિકલ્પ તરીકે સારાંશ જૈન પર ભરોસો મૂક્યો છે. સારાંશ જૈને તાજેતરમાં જ ભારત-એ તરફથી રમતા શ્રીલંકા-એ સામેની બે અનઓફિશિયલ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટ ઝડપી હતી અને ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો.ઘરઆંગણાના ક્રિકેટમાં લાંબા સમય સુધી સંઘર્ષ અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ સારાંશને આ આંતરરાષ્ટ્રીય તક મળી છે. તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીના આંકડા અત્યંત પ્રભાવશાળી છે. તેણે અત્યાર સુધીમાં રમેલી કુલ 54 ફર્સ્ટ ક્લાસ મેચોમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા 188 વિકેટો ઝડપી છે. આ સાથે જ નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવતા સારાંશે બેટ વડે 2223 રન પણ બનાવ્યા છે, જે ટીમના લોઅર ઓર્ડરને વધારાનું સંતુલન પ્રદાન કરશે.

