Ahmedabad, તા. 4
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલાં તાજેતરનાં આંકડા અનુસાર, છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન ગુજરાતમાં કુલ રૂા.3,707.7 કરોડનાં બેન્ક ફ્રોડ નોંધાયાં છે.
આ આંકડા સાથે ગુજરાત સમગ્ર દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલી મોટી રકમની નાણાકીય છેતરપિંડીનો ભોગ બનવામાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. દેશનાં મુખ્ય વ્યાપારી અને આર્થિક કેન્દ્રો ધરાવતાં રાજ્યોમાં બેન્કિંગ ફ્રોડનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે, જેમાં ગુજરાત પણ એક મહત્વનું હોટસ્પોટ બની રહ્યું છે.
આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે રાજ્યમાં બેન્ક ફ્રોડની રકમમાં દર વર્ષે સતત ઉછાળો આવી રહ્યો છે. વર્ષ 2023-24માં રાજ્યમાં રૂા.986.2 કરોડનું ફ્રોડ નોંધાયું હતું, જે વર્ષ 2024-25માં 30.4 ટકા વધીને રૂા.1,285.9 કરોડ સુધી પહોંચી ગયું હતું.
આટલેથી ન અટકતા, વર્ષ 2025-26માં તેમાં વધુ 11.6 ટકાનો વધારો થયો અને રકમ વધીને રૂા.1,435.6 કરોડ થઈ ગઈ. આમ, ત્રણ વર્ષનાં ગાળાની સરખામણી કરવામાં આવે તો કુલ ફ્રોડની રકમમાં 45.6 ટકાનો ચિંતાજનક વધારો થયો છે.
સમગ્ર દેશની સ્થિતિ પર નજર કરીએ તો, માત્ર મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્વિમ બંગાળ, તેલંગાણા અને તમિલનાડુ જ ગુજરાત કરતાં વધુ ક્યુમ્યુલેટિવ (કુલ) ફ્રોડ રકમમાં આગળ છે. આ યાદીમાં મહારાષ્ટ્ર રૂા.32,297.9 કરોડનાં વિશાળ ફ્રોડ સાથે સૌથી મોખરે છે, જ્યારે બીજા ક્રમે દિલ્હી (રૂા.16,396.6 કરોડ) અને ત્રીજા ક્રમે પશ્વિમ બંગાળ (રૂા.10,309.6 કરોડ) છે.
દેશનાં આ ટોચનાં છ રાજ્યોમાં જ મળીને કુલ રૂા.72,000 કરોડથી વધુ રકમની છેતરપિંડી આ ત્રણ વર્ષમાં થઈ છે. ગુજરાત આ મામલે કર્ણાટક (રૂા.2,916 કરોડ), ઉત્તર પ્રદેશ (રૂા.2,699.7 કરોડ) અને પંજાબ (રૂા.2,253.9 કરોડ) જેવા અન્ય મોટા ઔદ્યોગિક રાજ્યો કરતાં પણ આગળ નીકળી ગયું છે.
બેન્કિંગ ક્ષેત્રનાં સૂત્રો અને સાયબર મોનિટરિંગ એજન્સીઓના જણાવ્યાં અનુસાર, ફ્રોડની રકમમાં થયેલો આ વધારો માત્ર ગુનાઓ વધવાને કારણે નથી, પરંતુ બેન્કોમાં સુધારેલી રિપોર્ટિંગ સિસ્ટમ અને નાગરિકોમાં આવેલી જાગૃતિને કારણે વધુ કેસો સપાટી પર આવ્યાં છે. તપાસ અધિકારીઓનાં મતે ઠગાઈની પદ્ધતિઓમાં બહુ મોટો બદલાવ નથી આવ્યો.
લોકો આજે પણ અજાણતાં નકલી APK લિંક્સ ડાઉનલોડ કરીને, બેન્ક અધિકારીનાં નામે આવતાં બોગસ KYC અપડેટ મેસેજ, ક્રેડિટ કાર્ડની લોભામણી ઓફર્સ કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાની લિંક્સ પર ક્લિક કરીને પોતાની ખાનગી બેન્કિંગ વિગતો શેર કરી દે છે. આ પ્રકારની સાયબર ઠગાઈમાં સૌથી વધુ શિકાર વડીલો અને ટેકનોલોજીથી ઓછી માહિતી ધરાવતાં લોકો બની રહ્યાં છે.
ફ્રોડ થયેલી રકમ પાછી મેળવવાની (રિકવરી) બાબતમાં આંકડા અત્યંત નિરાશાજનક ચિત્ર રજૂ કરે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન થયેલાં કુલ રૂા.3,707.67 કરોડનાં ફ્રોડમાંથી બેન્કો માત્ર રૂા.96.58 કરોડ જ રિકવર કરી શકી છે, જે કુલ રકમનાં માત્ર 2.6 ટકા જેટલી નાની રકમ છે.
અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ આવી જ છે, જેમાં મહારાષ્ટ્રનો રિકવરી રેટ 3 ટકા અને કર્ણાટકનો 2.3 ટકા રહ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળ 16.1 ટકા રિકવરી સાથે અપવાદરૂપ રહ્યું છે.
સાયબર ક્રાઈમ અધિકારીઓનું કહેવું છે કે, જો ગ્રાહક ફ્રોડ થયાનાં પ્રથમ એક કલાકની અંદર (ગોલ્ડન અવર) સાયબર હેલ્પલાઈન પર જાણ કરે, તો ફંડ્સ ફ્રીઝ થવાની અને પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જાય છે. પરંતુ મોટાભાગનાં કિસ્સામાં લોકો પોલીસ કે હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં મોડું કરી દે છે, જેથી રિકવરી લગભગ અશક્ય બની જાય છે.

