ટ્રેક જ્યોમેટ્રીમાં સુધારાથી ટ્રેન સંચાલનની સુરક્ષા વધુ મજબૂત થશે
Rajkot તા.૧૦
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ પરિચાલનની સુરક્ષાને વધુ શ્રેષ્ઠ બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ કાર્ય કરતા જામનગર રેલવે યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ફોર્સ્ડ ટ્રેક લેઆઉટનો સુધારાત્મક કાર્ય પૂર્ણ કરી લીધું છે. આ સુધારાથી સંબંધિત સ્થાન પર ટ્રેકની જ્યોમેટ્રીને વધુ સુચારુ બનાવવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર જામનગર યાર્ડમાં પોઇન્ટ નંબર ૧૦૭ ની આગળ વિન્ડમિલ લાઇન તરફ ટ્રેકના એક ભાગમાં સતત વળાંક હોવાને કારણે લેઆઉટ અપેક્ષાકૃત જટિલ હતો. સુધારાત્મક કાર્ય અંતર્ગત રિવર્સ કર્વ ને અંદરની તરફ સ્થાનાંતરિત કરવામાં આવ્યો તથા ટ્રેપ પોઇન્ટ ને રાજકોટ તરફ શિફ્ટ કરવામાં આવ્યો. આનાથી ટ્રેપ પોઇન્ટના પહેલા અને પછી હાજર બિનજરૂરી વળાંકોને સીધા કરવામાં અને ટ્રેકની જ્યોમેટ્રીને બહેતર બનાવવામાં મદદ મળી.
આ સુધારાત્મક કાર્ય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભૂતકાળમાં આ જ સ્થાન પર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી. વર્તમાન સુધારાથી આ સ્થાન પર ટ્રેકની જ્યોમેટ્રી વધુ સંતુલિત થઈ છે, જેનાથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સંભવિત જોખમને ઘટાડવામાં મદદ મળશે.
આ કાર્યને જામનગર યાર્ડના ડબલિંગ કાર્ય દરમિયાન ઉપલબ્ધ કાર્ય-અવસર સાથે સમન્વય કરીને પૂર્ણ કરવામાં આવ્યું, જેનાથી રેલ વાહનવ્યવહાર પર પડતા પ્રભાવને ન્યૂનતમ રાખી શકાયો.
ટ્રેકના વળાંકની ડિગ્રી ઓછી થવાથી ભવિષ્યમાં આ સ્થાન પર ટ્રેકના જાળવણી (મેન્ટેનન્સ) માટે જરૂરી પ્રયાસો પણ ઓછા થશે. આનાથી રેલવેના જાળવણી સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ કરી શકાશે.
રાજકોટ ડિવિઝનના ડિવિઝન રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીણાએ જણાવ્યું કે, ‘‘રેલ પરિચાલનમાં સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જામનગર યાર્ડમાં કરવામાં આવેલું આ સુધારાત્મક કાર્ય આ જ પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. ટ્રેક લેઆઉટને બહેતર બનાવીને અમે આ મહત્વપૂર્ણ સ્થાનની સુરક્ષા અને જાળવણી, બંને પાસાઓમાં સુધારો કર્યો છે. રાજકોટ ડિવિઝનમાં આવા સ્થાનોની સતત ઓળખ કરીને જરૂરી સુધારાત્મક કાર્યો પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યા છે.’’
રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરો અને માલગાડીઓના સુરક્ષિત, સુચારુ અને વિશ્વસનીય પરિચાલન માટે ટ્રેક અને અન્ય રેલ અસ્કયામતો () થી સંબંધિત સુરક્ષા કાર્યોને નિરંતર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

