New Delhi,, તા.11
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના નેતા સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્ન સમારોહ અને રિપોર્ટ્સ મુજબ રાજકીય દિગ્ગજોની એકસાથે ઉપસ્થિતિએ દેશભરમાં ચર્ચા જગાવી છે.
સોમવારે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શરદ પવાર એકસાથે નજરે પડ્યા હતા, જેણે વિપક્ષી ગઠબંધન વચ્ચે નવા રાજકીય સમીકરણોની અટકળોને વેગ આપ્યો છે. આ લગ્ન પ્રસંગ માત્ર એક પારિવારિક ઉત્સવ પૂરતો મર્યાદિત ન રહેતા, તાજેતરની રાજકીય બેઠકો અને નીતિગત ચર્ચાઓને કારણે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
રિપોર્ટ અનુસાર રિપોર્ટ પહેલા જ શરદ પવારના નેતૃત્વ હેઠળના તમામ 8 લોકસભા સાંસદોએ પીએમ મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સુપ્રિયા સુલે દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં મહારાષ્ટ્રના ખેડૂતોની દેવા માફી, પિયત યોજનાઓ, પુણે-નાશિક રેલ પ્રોજેક્ટ અને કાંદાના ભાવ જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સાંસદોએ સંસદમાં અવરોધના કારણે પ્રજાના પ્રશ્નો સીધા વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યા હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
આ બેઠક દરમિયાન માત્ર ખેતી કે રેલવે જ નહીં, પરંતુ મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફુલે અને તુકોજી મહારાજ જેવા મહાનુભાવોને ભારત રત્ન આપવાની પ્રબળ માંગ પણ રજૂ કરવામાં આવી હતી. સાથે જ નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ ડી.વાય. પાટીલના નામ પર કરવા બાબતે પણ રજૂઆત કરાઈ હતી.
જોકે, પીએમ મોદી સાથેની આ મુલાકાતને રાજકીય ગઠબંધન બદલવા સાથે જોડવાને બદલે માત્ર જનહિત અને વિકાસના મુદ્દાઓ પૂરતી સીમિત હોવાનું પક્ષ દ્વારા સ્પષ્ટ કરાયું છે.
કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકન અને એફસીઆરએ સુધારા વિધેયકને લઈને એનસીપી (એસપી)ની ભૂમિકા અત્યારે ખૂબ જ ચર્ચામાં રહી છે. સુપ્રિયા સુલેએ જણાવ્યું છે કે અંતિમ કાયદો સામે આવ્યા બાદ જ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે ચર્ચા કરીને પોતાનો અંતિમ નિર્ણય લેશે. હાલ તો આ પારિવારિક રિસેપ્શનની તસવીરો અને નેતાઓની મુલાકાતોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

