Chhota Udepur,તા.૧૨
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે ફાળવાતા રૂ.૧૦૦ કરોડથી વધુના વાર્ષિક વિકાસ ભંડોળના આયોજનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વિકાસ કામોની ફાળવણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણોને અવગણવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
જિલ્લાના સાત આદિવાસી બહુલ તાલુકા- નસવાડી, બોડેલી, સંખેડા, પાવીજેતપુર, કદવાલ, છોટાઉદેપુર અને કવાંટના વિકાસ માટે દર વર્ષે મોટું બજેટ ફાળવવામાં આવે છે.
સ્થાનિક નેતાઓના આક્ષેપ મુજબ, નિયમિત આયોજન પ્રક્રિયામાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો અને જિલ્લા પંચાયતના સભ્યોની ભલામણોને મહત્વ આપવામાં આવે છે. જોકે આ વખતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા અનેક કામોને પડતા મૂકીને અંદાજે રૂ.૮૦ કરોડના કામો એનજીઓ અને ખાનગી સંસ્થાઓને ફાળવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વિકાસ કામોના આયોજનની અધિકૃત બુકલેટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચ્યા બાદ વિવાદ વધુ વકર્યો હોવાનું જાણવા મળે છે. બુકલેટમાં પોતાના દ્વારા સૂચવવામાં આવેલા કામોનો સમાવેશ ન થતાં સ્થાનિક નેતાઓએ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. નેતાઓનો આરોપ છે કે વિકાસ કામોની પસંદગી અને ફાળવણીમાં ચૂંટાયેલી પાંખની ભલામણોને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી.
મામલો સામે આવ્યા બાદ સાતેય તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો અને સંગઠનના હોદ્દેદારો એકજૂથ થઈને પ્રાયોજના વહીવટદારની કચેરીએ પહોંચ્યા હતા.અહીં અધિકારીઓ સમક્ષ વિકાસ કામોના આયોજન અને ફાળવણી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક નેતાઓએ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા રાખવાની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણોને યોગ્ય મહત્વ આપવાની માંગ કરી છે.
સામાન્ય રીતે વિકાસ કામોની ફાળવણીને લઈને વિરોધ પક્ષ દ્વારા સવાલો ઉઠતા હોય છે, પરંતુ આ મામલે સ્થાનિક ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોમાં અસંતોષ સામે આવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચિત કામો રદ કરીને અન્ય સંસ્થાઓને કામો ફાળવાયા હોવાના આક્ષેપથી જિલ્લામાં પક્ષની આંતરિક રાજકીય ખેંચતાણ પણ ચર્ચામાં આવી છે.
મામલો સ્થાનિક સ્તરે ઉકેલાય નહીં તો હવે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ જિલ્લા પ્રભારી મંત્રીને સમગ્ર મામલે સત્તાવાર રજૂઆત કરે તેવી શક્યતા છે.હવે રૂ.૧૦૦ કરોડથી વધુના આદિવાસી વિકાસ ભંડોળના આયોજનમાં ખરેખર કઈ રીતે કામોની ફાળવણી થઈ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણોને કેટલું સ્થાન મળ્યું અને એનજીઓ તથા ખાનગી સંસ્થાઓને ફાળવાયેલા કામોની પ્રક્રિયા શું હતી—તે મુદ્દે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થાય તેવી શક્યતા છે.

