Rajkot,તા.૧૨
રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં વૃદ્ધ દંપતીને મિલકતમાં ભાગ આપવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. પુત્રના અવસાન બાદ પુત્રવધૂ અને બે પૌત્રી દ્વારા મિલકતમાં ભાગ માગવામાં આવતો હતો અને ભાગ નહીં આપે તો ઘરમાં અકસ્માત સર્જી મારી નાખવાની ધમકી અપાતી હોવાનો ૭૪ વર્ષીય વૃદ્ધાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. બનાવમાં વૃદ્ધ સસરાને હીંચકેથી નીચે પાડી દેવા તથા રસોડામાં તેલ અને પાણી ઢોળી લપસાવી દેવાના પ્રયાસો કર્યાની વિગતો સામે આવી છે.
કાલાવડ રોડ પર આવેલી ભગીરથી લીલા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશીએ પોતાની પુત્રવધૂ કિન્નરીબેન તથા પૌત્રીઓ પંછી અને ભવ્યા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલાં પુત્ર સંજયભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદ કિન્નરીબેન અને તેની બે દીકરી દ્વારા ૮૬ વર્ષના અશક્ત પ્રવીણચંદ્ર તથા પુષ્પાબેનને મિલકતમાં ભાગ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું.
ફરિયાદી પુષ્પાબેન જોષીએ જણાવ્યું હતું કે, રસોડામાં તેલ અને પાણી ઢોળી દેવામાં આવતું હતું. જેથી વૃદ્ધ દંપતી લપસી પડે અને ઇજા થાય અથવા જાન જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઊભી થતી હતી. આ ઉપરાંત ૮૬ વર્ષના અશક્ત પ્રવીણચંદ્ર હીંચકે બેઠા હતા ત્યારે એક પૌત્રીએ હીંચકાની ગતિ અચાનક વધારી તેમને નીચે પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પુષ્પબેને વધુમાં જણાવ્યું હતું કે, મારા પુત્રના અવસાન બાદ ખોટી રીતે અમને હેરાન કરવામાં આવે છે. ઘરમાં પણ તાળા મારી જતા રહે છે. ઘરમાં જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. અંતે પુષ્પાબેનની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
તા.૨૦ જુલાઈના રોજ ત્રણેય મહિલાઓ વૃદ્ધ દંપતીના ડ્રોઇંગ રૂમમાં આવી હતી. આ દરમિયાન મિલકતમાં ભાગ આપવા બાબતે માગણી કરી હતી. જો મિલકતમાં ભાગ નહીં આપે તો ઘરમાં અકસ્માત સર્જી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત વૃદ્ધદંપતી ઘરની બહાર હોય ત્યારે તેમના બેડરૂમમાં પ્રવેશ કરી સામાનની તપાસ કરવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખી અજાણ્યા લોકોને ઘરમાં પ્રવેશવા દેવામાં આવતા હતા. વૃદ્ધ પ્રવિણચંદ્ર જોષીએ જણાવ્યું હતું કે, મારા પુત્રના અવસાન બાદ હેરાન કરે છે. હું બ્લડ પ્રેસરનો દર્દી છું. થોડી વાર હિંચકે બેસવા જાવ તો મારી પૌત્રી પંછી આવી ફૂલ સ્પીડમાં હિંચકો હલાવે અને નીચે પછાડી દેવાનો પ્રયાસ કરે છે. પુત્રવધુ કિન્નરી અને પૌત્રી પંછી અને ભવ્યા અવાર નવાર હેરાન કરે છે. જેથી મારી તબિયત પણ ખરાબ થઈ જાય છે. મિલકતમાં અમારો ભાગ આપી દો કહી ધમકીઓ આપે છે.
પારિવારિક ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પુત્રવધુ કિન્નરીબેનનો સંપર્ક કરવામાં આવતા જવાબ વકીલ આપશે અને કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેવો જવાબ આપ્યો હતો. આ મામલે હવે પોલીસ તપાસ શરૂ થઈ છે. પોલીસ તપાસમાં પારિવારિક ઝઘડાનો કઈ રીતે ઉકેલ આવે છે તે જોવું રહ્યું.

