(મિલાપ રૂપારેલ) Amreli, તા.14
આગામી 15મી ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે અમરેલી શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ અમરેલીની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત સમાન રાજમહેલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ડો. કેતન કાનપરિયા દ્વારા રાજમહેલના ઇતિહાસ, તેની સ્થાપત્ય વિશેષતાઓ તથા અમરેલીની ઐતિહાસિક વિરાસત અંગે રસપ્રદ અને માહિતીસભર વિગતો આપવામાં આવી હતી.
તેમણે વિદ્યાર્થીઓને રાજમહેલ સાથે જોડાયેલી અનેક ઐતિહાસિક બાબતોથી અવગત કરાવી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ હેરિટેજ વોકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી.પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશરફ આર. કુરેશી, દીપક હાઈસ્કૂલના આચાર્ય અમિતભાઈ ઉપાધ્યાય સહિત વિવિધ શાળાઓના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મળી આશરે 200 જેટલા સહભાગીઓ જોડાયા હતા.

