ડૉ.જીવરાજ મહેતા ચોક ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૨
Bhavnagarમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડ પ્રકરણના પડઘા અમરેલીમાં પણ જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરના ડૉ. જીવરાજ મહેતા ચોક ખાતે સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આપ પાર્ટીના કાર્યકરોએ લઠ્ઠાકાંડના વિરોધમાં હર્ષ ભગાવો, દેશ બચાવો સહિતના સૂત્રોચ્ચાર કરી રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.
અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ચોક ઉપરાંત સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ આપના કાર્યકર્તાઓ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આપ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામ કાર્યકર્તાઓને છોડી મુકવામાં આવ્યા હતા.
દરમિયાન, ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના મુદ્દે કોંગ્રેસના અકળ મૌનને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કોંગ્રેસ તરફથી અપેક્ષિત વિરોધ ન થતો હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
ભાવનગરના લઠ્ઠાકાંડ જેવા ગંભીર પ્રકરણને લઈને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. ત્યારે અમરેલીમાં થયેલા આપ પાર્ટીના વિરોધ પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

