રાજ્યવ્યાપી તપાસ તેજ બનતા અમદાવાદમાંથી પણ નકલી દારૂ બનાવવાનું એક મોટું નેટવર્ક ઝડપી પડાયું છે
Bhavnagar, તા.૨૧
ભાવનગરથી સુરત સુધી કથિત લઠ્ઠાકાંડની ગંભીર અસર પહોંચી છે. ભાવનગરથી દારૂ લઈને સુરત આવેલા સંજય ડોડિયા નામના વ્યક્તિની આ દારૂ પીધા બાદ અચાનક તબિયત લથડી હતી. હાલમાં તેને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સામે આવતા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને નકલી દારૂના નેટવર્કની તપાસ તેજ કરી દેવામાં આવી છે. લઠ્ઠાની આ ઘટનાને પગલે ભાવનગરથી લઈને સુરત સુધીના સમગ્ર પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યવ્યાપી તપાસ તેજ બનતા અમદાવાદમાંથી પણ નકલી દારૂ બનાવવાનું એક મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.
ભાવનગરથી સુરત સુધી પોલીસ અને આરોગ્ય તંત્રમાં હાલ ભારે દોડધામ મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય ડોડિયા નામનો યુવાન ભાવનગરથી રોયલ સ્ટેગની બોટલ લઈને સુરત આવ્યો હતો. ભાવનગરથી લાવેલો આ નકલી દારૂ (કેફી પીણું) પીધા બાદ અચાનક તેની તબિયત લથડી હતી. હાલમાં સંજય ડોડિયાને સારવાર માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની સ્થિતિ અત્યંત ગંભીર છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને પરિવારજનો સતત સંજયની તબિયત પર નજર રાખી રહ્યા છે. આ ઘટના બાદ નકલી દારૂના નેટવર્કની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.
ભાવનગરથી નકલી દારૂ પીને આવેલા સંજય ડોડીયાને ગત ૧૯ ઓગસ્ટના રોજ સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલમાં તેની પરિસ્થિતિ અત્યંત નાજુક છે અને તે વેન્ટીલેટર પર છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દર્દીનું હાર્ટ અગાઉ બંધ થઈ ગયું હતું, જેને પમ્પિંગ આપીને ફરી શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, હાર્ટ બંધ થઈ જવાના કારણે મગજને ભારે નુકસાન પહોંચ્યું હોવાથી હાલ દર્દી બ્રેઇન ડેડ છે. તેના શરીરના અન્ય ઓર્ગન પણ માત્ર દવાઓના સહારે જ ચાલી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી છે કે દર્દી બ્રેઇન ડેડ થઈ ચૂક્યો છે.
ભાવનગર જિલ્લાના પાંચ ગામોમાં ૪૦ જેટલા લોકો બીમાર પડતાં સમગ્ર તંત્ર દોડતું થયું હતું. ભાવનગર કલેક્ટર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ, દારૂજન્ય પ્રવાહી પીવાથી અત્યાર સુધીમાં ૮ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે એક મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ ૬૧ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી ૧૦ લોકો સાજા થઈ ચૂક્યા છે. ગઈકાલે વધુ ૫ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ૨૫ લોકોની સઘન સારવાર ચાલી રહી છે, જેમાંથી ૪ ની હાલત ગંભીર છે અને ૧ દર્દી વેન્ટિલેટર પર છે. અન્ય ૧૮ દર્દીઓ એવા પણ છે જેમણે ડરના માર્યા સીધા ડોક્ટરનો સંપર્ક કરી દવા લઈને પ્રાથમિક સારવાર લીધી હતી. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં નકલી દારૂ પીધેલા હોવાની શંકા સાથે અનેક દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. દારૂ પીવાની ટેવ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શહેરના ફુલસર વિસ્તારમાંથી એક દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ દર્દી અને તેની પત્નીએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે ફુલસર વિસ્તારમાં ખુલ્લેઆમ અનેક જગ્યાએ દારૂ મળી રહ્યો છે. એક બાજુ લઠ્ઠાકાંડને પગલે પોલીસ કડકાઈથી કામ લઈ રહી છે અને દારૂના અડ્ડાઓ પર રેડ પાડી રહી છે, તેમ છતાં બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં દારૂના હાટડા હજુ પણ ધમધમી રહ્યા હોવાનો ખુલાસો આ દર્દીએ કર્યો છે.
ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કડીમાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. સ્થાનિક પોલીસ અને જીસ્ઝ્રની ટીમે કુબેરનગરમાં આવેલા એક મકાનમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુનીલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ઘરમાં જ નકલી દારૂ બનાવતા હતા. ઘરમાંથી તપાસ કરતા નકલી દારૂ બનાવવાનો સામાન, તેમજ ખાલી બોટલ પર લગાવવાના સ્ટીકર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે સુનીલની ધરપકડ કરી છે, જ્યારે દિનેશ ફરાર થઈ ગયો હોવાથી તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

