New Delhi, તા.24
ઈરાન યુદ્ધ સહિતના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમેટીક રીતે જબરી હિલચાલ છે અને ભારત પણ તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિતને સૌથી વધુ મહત્વ આપી રહ્યું છે તે વચ્ચે આ સપ્તાહના પ્રારંભથી જ બે ખાસ મુલાકાતો પર નજર છે.
એક તરફ વિદેશમંત્રી એસ.જયશંકર ગઈકાલે જ રશિયાના પ્રવાસે જવા રવાના થયા હતા અને તેઓ ભારત-રશિયા વચ્ચેના આંતર સરકારની 27મી બેઠકમાં સહઅધ્યક્ષ છે અને તેમની સાથે તેઓ રશિયામાં સ્થાનિક સ્તરે અનેક સીનીયર મંત્રીઓ સાથે મુલાકાત કરશે.
ખાસ કરીને હાલમાં જે રીતે અમેરિકાએ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા સામે ધમકી આપીને 100 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી છે તે વચ્ચે આ મુલાકાત મહત્વની બની રહેશે.
તો બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ પણ ચાઈનાની મુલાકાતે પહોંચ્યા છે અને તેઓ ભારત-ચીનના ખાસ પ્રતિનિધિઓ વચ્ચેની 25માં રાઉન્ડની બેઠકમાં હાજરી આપશે તથા ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરશે.
ખાસ કરીને ચીનના રાષ્ટ્રપતિ તા.12,13 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે તે સમયે દોભલની આ મુલાકાત મહત્વની બની રહેશે અને તેઓ સરહદી પ્રશ્નો સહિતના મુદે ચર્ચા કરશે. આ બંને મુલાકાતો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વધુ સ્પષ્ટ વલણ સાથે આગળ વધશે.

