કલ્યાણ ચોક, મેડિકલ પાસે ચાર શખ્સો ધસી આવ્યા; તલવારના ઘાથી બે અને કુહાડીના ઘાથી એકને ઇજા, જાનથી મારી નાખવાની ધમકી
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
Jamnagar શહેરના કલ્યાણચોક વિસ્તારમાં મેડિકલ પાસે જૂની બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ ધસી આવી તલવાર અને કુહાડી વડે હુમલો કરતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદી સીરાજ જુમાભાઈ ખીરા (ઉ.વ.૨૬)ના જણાવ્યા મુજબ, તા.૨૪ના રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં તેઓ તેમના મિત્ર કાસીમ સાજીદભાઈ જુણેજા સાથે કલ્યાણચોક ખાતે મહાદેવ મેડિકલમાં દવા લેવા ગયા હતા. દરમિયાન સમીર ગફારભાઈ સમા ત્યાં આવી સીરાજ સાથે ગાળાગાળી કરી બોલાચાલી કરી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ સીરાજે પોતાના મોટા ભાઈ દિલાવરભાઈને ફોન કરી બોલાવ્યા હતા.
આ દરમિયાન સમીરના કાકા ફીરોઝભાઈ દલ ત્યાં આવી સીરાજ તથા કાસીમ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. દિલાવરભાઈ પણ ત્યાં આવી સમજાવટ કરી રહ્યા હતા ત્યારે સમીર તલવાર, રઝાક બોદુભાઈ દલ કુહાડી તથા સકીલ બોદુભાઈ દલ સાથે રિક્ષામાં ત્યાં આવ્યા હતા અને ચારેય શખ્સોએ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
આરોપી સમીરે તલવારથી કાસીમ પર હુમલો કરતાં સીરાજ વચ્ચે બચાવવા જતાં તલવારના ઘા તેના બંને હાથની આંગળીઓમાં વાગતાં લોહી નીકળ્યું હતું. ત્યારબાદ રઝાકે કુહાડી વડે કાસીમના જમણા ખભા પર ઘા મારતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. દિલાવરભાઈ વચ્ચે પડતાં સમીરે તેમના જમણા હાથમાં તલવારનો ઘા માર્યો હતો. આ પછી ચારેય શખ્સોએ ભેગા મળી સીરાજ તથા સાહેદોને ઢીકાપાટુ અને લાતો મારી માર માર્યો હતો.
હુમલાની ઘટનાથી લોકો એકત્ર થતાં સમીર તથા રઝાકે ફરી ક્યાંય ભેગા થયા તો જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીરાજ અને દિલાવરને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે કાસીમના જમણા ખભામાં ઇજા થતાં સારવાર આપવામાં આવી હતી. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

