Himmatnagar,તા.૨૬
ઈડરના ગ્રામ્ય પંથકમાં આઠ વર્ષના બાળકનું તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા અપહરણ અને હત્યાની હચમચાવતી ઘટના હાલ સામે આવતા સાબરકાંઠામાં હડકંપ મચ્યો છે. મળતી વિગતો અનુસાર, ઈડરના સમલાપુર ગામે આજથી બે દિવસ અગાઉ ગત રવિવારે આઠ વર્ષનો બાળક કેવલ ગુમ થયો હતો. જે મામલે તેના પરિવારજનોએ તેમના નજીકના કુટુંબમાં થતા પરિજન ૧૯ વર્ષિય સાવન ઠાકોર પર શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઈને પોલીસે સાવન ઠાકોરને પકડી પૂછપરછ કરતા તેને જ આ બાળકનું અપહરણ કર્યા બાદ તેનું ગળું દબાવી મોત નીપજાવ્યા બાદ મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસમાં હત્યારા સાવને અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના વહેમમાં બનાવને અંજામ આપ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને પોલીસે હત્યારાને સાથે રાખી કૂવામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, સમલાપુર ગામ છે ત્યાં અમને ફરિયાદ મળી રહી હતી કે, છેલ્લા બે દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળકને ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે એવી શંકા તેના પિતા અરવિંદ ઠાકોર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ શંકાના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
સાવન ઠાકોરની પૂછપરછમાં ધ્યાન પર આવ્યું હતું કે, પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધાને ધ્યાનમાં રાખીને તેને ફરિયાદી અરવિંદજી ઠાકોરના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નીપજાવવામાં આવી હતી. કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેન્ગ્યુલેશન (ગળું દબાવવું) કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું. ત્યારબાદ એને કૂવામાં નાખી દીધો હતો. આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત આ જ ફેમિલીની અંદર આજથી આશરે એકાદ વર્ષ પહેલા આજ જે દીકરો જે છે. હાલ મૃતક કેવલ છે તેનો મોટો ભાઈ અમિત. તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું. જેની ઉંમર જે તે સમયે ૧૨ વર્ષની હતી એટલે આ બાબતે પણ હાલ શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં સાવનનો હાથ છે કે કેમ? તો આ બાબતે પણ ધ્યાને લઈને સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવવાની શક્યતા છે.
આ અંગે પોલીસે કહ્યું કે, હત્યા પાછળનું કારણ જાણવા અંગે તપાસ કરતા બંને પક્ષ વચ્ચે કોઈ મિલકતનો ઇસ્યુ હતો, એક જ પ્લોટ હતો કે જે આ લોકો (હત્યારો સાવન) ખરીદવા માંગતા હતા અને મૃતક દીકરાના પિતા ફરિયાદી અરવિંદજી પ્લોટ આપતા નહોતા. એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે તે મુજબ કે, તે થોડો અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો એટલે ક્યાંકને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે, સાવનને અમુક શંકા હતી કે, પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવો બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે. એ બાબતે હાલ તપાસ શરૂ છે.

