તેમના જૂથ સાથે ફ્લેશ ફ્લડની ઘટના બાદ સંપર્ક તૂટી જતાં પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે
Ahmedabad,તા.૨૭
મૂળ વડનગરના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભાવિન રાવલ પોતાના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા બાદ ચંદીગઢથી નેપાળ થઈને કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. આ દરમિયાન બુધવારે નેપાળમાં સર્જાયેલી ફ્લેશ ફ્લડની વિનાશક હોનારત બાદ તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. તીબેટ બોર્ડર પર ઈમિગ્રેશન પ્રક્રિયા માટે પહોંચેલા ભાવિનભાઈ અને તેમના જૂથ સાથે ફ્લેશ ફ્લડની ઘટના બાદ સંપર્ક તૂટી જતાં પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
ભાવિન રાવલે ગઈકાલે જ તેમની પત્ની આરતી રાવલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પોતાના લોકેશન અંગે માહિતગાર કર્યા હતા. પરંતુ ત્યારબાદ અચાનક આવેલ પૂરની સ્થિતિને કારણે તેમનો ફોન બંધ થઈ ગયો હતો. અત્યંત દુઃખદ બાબત એ છે કે આજે ભાવિન રાવલનો જન્મદિવસ છે, ત્યારે પરિવાર તેમના જન્મદિવસની ઉજવણી કરવાના બદલે તેઓ હેમખેમ મળી આવે તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યો છે.
ભાઈનો સંપર્ક ન થઈ શકતાં ધવલ રાવલે તાત્કાલિક રાજ્ય સરકારે જાહેર કરેલા વિશેષ હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધીને સમગ્ર ઘટનાની સત્તાવાર જાણ કરી છે. પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી છે કે નેપાળ સ્થિત ભારતીય એમ્બેસી અને સ્થળ પરના તંત્ર સાથે સમન્વય સાધીને ભાવિન રાવલ તેમજ તેમની સાથેના અન્ય યાત્રીઓની શોધખોળ માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવે.

