Ahmedabad,ત.૨૭
રક્ષાબંધન એટલે ભાઈના કાંડે બંધાતો માત્ર એક દોરો નહીં, પરંતુ જેલની ઊંચી દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધને જીવંત રાખતી લાગણી. બહારની દુનિયા માટે રક્ષાબંધનનો દિવસ સામાન્ય રીતે ખુશી, મીઠાઈ અને પરિવાર સાથેની ઉજવણીનો હોય છે, પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આ દિવસનું અલગ જ મહત્વ છે. ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનને પગલે સાબરમતી જેલમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં કેદી ભાઈઓ માટે બહેનોને મળવાની અને તેમના હાથે રાખડી બંધાવવાની તક સાથે જેલની સુરક્ષા અને નિયમોની જવાબદારી પણ એટલી જ મહત્વની રહેશે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનોને જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે. જેલ તંત્રની ગણતરી મુજબ આ વખતે આશરે ૨ હજાર જેટલા કેદીઓને મળવા તેમના પરિવારજનો આવે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં લોકો એકસાથે જેલ પરિસરમાં પહોંચવાના હોવાથી સુરક્ષા, પ્રવેશ, જડતી અને લોકોની અવરજવરનું નિયંત્રણ સૌથી મોટો પડકાર રહેશે.
એસપી ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને કેદી ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેલ તંત્રને આશા છે કે આશરે ૨ હજાર જેટલા કેદીઓને મળવા તેમના પરિવારજનો આવશે. આ માટે અમદાવાદ પોલીસ પાસેથી પણ વધારાનો બંદોબસ્ત માંગવામાં આવ્યો છે, જ્યારે જેલ તરફથી પણ આશરે ૧૨૫ જેટલા વધારાના સ્ટાફને સમગ્ર વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવશે.
રક્ષાબંધનના દિવસે જેલમાં આવનારા દરેક પરિવારજનની સુરક્ષા તપાસ કરવામાં આવશે. જેલમાં પ્રવેશ પહેલાં જડતી, રાખડીની તપાસ, આવન-જાવનનું નિયંત્રણ અને કેદીઓ સાથેની મુલાકાતની પ્રક્રિયા સરળતાથી થાય તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર પ્રક્રિયા સ્મૂથલી ચાલે તે માટે જેલ સ્ટાફ ઉપરાંત અમદાવાદ પોલીસનો પણ બંદોબસ્ત રહેશે. છેલ્લા બે દિવસથી જેલમાં બેરિકેડિંગ અને મુવમેન્ટ કંટ્રોલ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. મોટી સંખ્યામાં પરિવારજનો આવતા હોવાથી કેદીઓ અને મુલાકાતીઓની અવરજવર અલગ રીતે નિયંત્રિત કરવામાં આવશે.
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈ માટે રાખડી અને મીઠાઈ લઈને આવતી હોય છે. પરંતુ જેલની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બહારથી કોઈપણ પ્રકારની મીઠાઈ સીધી અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેલમાં પોતાની બેકરી હોવાથી ત્યાં તૈયાર થતો મોહનથાળ કેદી ભાઈઓને આપવામાં આવશે.
ગૌરવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ બહેન પોતાના ભાઈને મીઠાઈ આપવા માગતી હોય તો તે જેલના કાઉન્ટર પરથી મહત્તમ ૨૫૦ ગ્રામ મીઠાઈ ખરીદીને કેદીને આપી શકશે. બહારથી મીઠાઈ લાવવાની મંજૂરી નહીં હોય. આ વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા છે, જેથી મીઠાઈના ડબ્બા કે અન્ય વસ્તુઓની આડમાં કોઈ અનિચ્છનીય વસ્તુ જેલની અંદર ન પહોંચી જાય.
રાખડી બાબતે પણ જેલ તંત્ર દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે. બહેનો સાદી રાખડી લઈ જઈ શકશે, પરંતુ એવી કોઈ રાખડી કે વસ્તુને મંજૂરી આપવામાં નહીં આવે જેના કારણે જેલની સુરક્ષા અથવા શિસ્ત સામે પ્રશ્ન ઊભો થાય. ખાસ કરીને ડિજિટલ રાખડી અથવા બહારની દુનિયા સાથે કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન શક્ય બને તેવી રાખડી અંદર લઈ જવાની મંજૂરી નહીં હોય.
જેલ અધિકારીઓનું કહેવું છે કે રાખડીમાં કોઈ એવી વસ્તુ ન હોવી જોઈએ જેના કારણે કેદી, અન્ય કેદીઓ અથવા જેલ સ્ટાફની સુરક્ષાને જોખમ ઊભું થાય. એટલે લાગણીના આ પર્વમાં પણ સુરક્ષાના નિયમો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન આશરે ૧૧૦૦ અંડરટ્રાયલ કેદીઓને મળવા તેમના પરિવારજનો સાબરમતી જેલમાં આવ્યા હતા. આ વર્ષે આ સંખ્યા વધવાની શક્યતા છે. જેલ તંત્રના અંદાજ મુજબ આશરે ૧૪૦૦થી ૧૫૦૦ જેટલા અંડરટ્રાયલ કેદીઓને મળવા તેમના પરિવારજનો આવી શકે છે.આ ઉપરાંત, ૫૦૦થી વધુ કન્વિક્ટેડ કેદીઓના પરિવારજનો પણ રક્ષાબંધન નિમિત્તે જેલમાં આવે તેવી અપેક્ષા છે. એટલે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ જેલ પરિસરમાં પરિવારજનોની અવરજવર વધારે રહેવાની શક્યતા છે.
રક્ષાબંધન ૨૮ ઓગસ્ટે હોવાથી જેલ તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બેરિકેડિંગ, મુવમેન્ટ કંટ્રોલ, પ્રવેશ પ્રક્રિયા અને મુલાકાતીઓની જડતી સહિતની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જેલ તંત્રની સામે પડકાર એ છે કે એક તરફ હજારો લોકોની અવરજવર વચ્ચે સુરક્ષા જળવાઈ રહે અને બીજી તરફ કેદી ભાઈઓને તેમની બહેનો સાથે આ ખાસ દિવસની લાગણીસભર મુલાકાત પણ મળી શકે.

