ત્રણ પેઢીની વણાટ પરંપરાને આગળ ધપાવવાની સાથે સુરેન્દ્રનગરના ૩,૦૦૦થી વધુ વણકરોના સામાજિક-આર્થિક જીવન પર કર્યું ગહન સંશોધન
પરંપરાગત પટોળા વણાટની જટિલ પ્રક્રિયાને ટૂંકી અને વ્યવહારુ બનાવી ઘરઆંગણે મહિલાઓ માટે સ્વરોજગારીના નવા દ્વાર ખોલ્યા
આલેખન ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
પટોળાનું નામ આવતાં પાટણની વિશ્વવિખ્યાત પરંપરા યાદ આવે છે, ત્યારે હવે સુરેન્દ્રનગર અને રાજકોટની ધરતી પર પણ પટોળા વણાટની આગવી પરંપરા વિકસી છે. આ પરંપરાને ત્રણ પેઢીથી જીવંત રાખનાર સુરેન્દ્રનગરના જોરાવરનગરના વતની અને લીંબડી નજીક ચોરણીયા ગામ પાસે પટોળા વણાટનું એકમ ધરાવતા શ્રી પંકજભાઈ મકવાણાને પટોળા વણાટકલા તથા વણકર સમાજના સામાજિક-આર્થિક ઉત્થાન અંગેના ગહન સંશોધન બદલ આઝમગઢની રાજ્ય યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લિટ. એટલે કે ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરવામાં આવી છે.
આઝમગઢ ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, યુનિવર્સિટીના કુલપતિશ્રી તથા ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં પંકજભાઈ મકવાણાને આ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંપરાગત હસ્તકલા ક્ષેત્રે કાર્યરત કારીગરના વર્ષોના અનુભવ અને સંશોધનને શૈક્ષણિક ક્ષેત્રે મળેલું આ સન્માન સુરેન્દ્રનગરના વણકર સમાજ તથા ગુજરાતની હસ્તકલા પરંપરા માટે ગૌરવરૂપ છે. પંકજભાઈ મકવાણાનો પરિવાર છેલ્લા ત્રણ પેઢીથી વણાટના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમના પરિવારની પરંપરાગત કારીગરીમાં પટોળા વણાટનું વિશેષ સ્થાન છે. પંકજભાઈની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી માધુરીબેન મકવાણા પણ આ ક્ષેત્રે સક્રિય છે. બંને કારીગરોને તેમની કારીગરી માટે રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
પંકજભાઈના જણાવ્યા મુજબ, આશરે પાંચ દાયકા પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વણકર પરિવારો મુખ્યત્વે ખાદી, કોટન, શેતરંજી, આસન અને ધોતી જેવા સાદા વણાટકામ સાથે જોડાયેલા હતા. તે સમયગાળામાં રાજકોટની રાષ્ટ્રીય શાળામાં પટોળા વણાટ માટે વિશેષ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના કારીગરોએ ત્યાં જઈ પટોળા બનાવવાની જટિલ વણાટપદ્ધતિ શીખી હતી.
વધુમાં, પરંપરાગત રીતે પટોળા બનાવવાની મૂળ પ્રક્રિયા અત્યંત સમય માંગી લે તેવી, જટિલ અને લાંબી હતી. સાદા વણાટકામના અભ્યાસુ એવા સુરેન્દ્રનગરના વણકરો માટે આ જટિલ પ્રક્રિયામાં સતત કામ કરવું પડકારરૂપ હતું. સ્થાનિક કારીગરોએ પોતાની બુદ્ધિપ્રતિભા અને અદ્ભુત સંશોધક વૃત્તિનો ઉપયોગ કરીને આ લાંબી પ્રક્રિયાને ટૂંકી અને વધુ વ્યવહારુ બનાવવાનો માર્ગ શોધી કાઢ્યો. તેમણે વણાટકામ કરતી વખતે તાણો સંપૂર્ણપણે પ્લેન એટલે કે સાદો રાખ્યો અને વાણાના ધાગાઓમાં જ બારીક ભાતીગળ ડિઝાઇન કંડારવાની અનોખી પદ્ધતિ વિકસાવી. આ સરળ અને ક્રાંતિકારી પદ્ધતિના કારણે વણાટકામ ઝડપી બન્યું અને ઘરની મહિલાઓ પણ આ કામમાં સક્રિય રીતે જોડાવા લાગી. વણાટ પ્રક્રિયામાં થયેલા આ ફેરફારને કારણે જ સુરેન્દ્રનગરમાં ઇક્કત આધારિત પટોળા વણાટને નવી ઓળખ મળી. પાટણની ડબલ ઇક્કત પરંપરાની સાથે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં સિંગલ ઇક્કત સહિતની પટોળા વણાટ પરંપરા વિકસેલી છે. સ્થાનિક કારીગરોની પ્રયોગશીલતા અને પેઢીઓથી મળતા કૌશલ્યને કારણે સુરેન્દ્રનગરના પટોળાએ દેશના વિવિધ વિસ્તારો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પોતાની ઓળખ ઊભી કરી છે.
પંકજભાઈ મકવાણાના સંશોધનની વિશેષતા એ છે કે તેમણે પટોળાને એક હસ્તકલા તરીકે જોવાની સાથે તેની સાથે જોડાયેલા વણકર સમાજના જીવનનો પણ અભ્યાસ કર્યો છે. વર્ષો સુધી વણકર પરિવારો વચ્ચે રહીને તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના ૩,૦૦૦થી વધુ વણકરોના સામાજિક મૂલ્યો, પરંપરાગત જ્ઞાન, જીવનશૈલી અને વણાટની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. વણકરોના આજીવિકા, બદલાતા બજારની અસર, ગ્રાહકોની પસંદગી, ઉત્પાદન અને માર્કેટિંગની વ્યવસ્થા તથા પરંપરાગત કૌશલ્ય નવી પેઢી સુધી પહોંચે તેવા વિવિધ મુદ્દાઓ પણ તેમના સંશોધનમાં આવરી લેવાયા છે. આ અભ્યાસ દ્વારા તેમણે પટોળા વણાટને કારીગર સમાજની આજીવિકા અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડીને સમજવાનો પ્રયાસ કર્યો છે.
સુરેન્દ્રનગરમાં પટોળા વણાટના વિકાસથી વણકર પરિવારો સાથે મહિલાઓ પણ વિવિધ પ્રક્રિયામાં જોડાઈ છે. ઘરઆંગણે કરી શકાય તેવી કામગીરીને કારણે મહિલાઓને પરિવારની જવાબદારીઓ સાથે આવકના સ્રોત સાથે જોડાવાની તક મળી છે. આથી પટોળા વણાટ પરંપરા સ્થાનિક સ્તરે રોજગારી અને પરિવારની આર્થિક સક્ષમતામાં પણ યોગદાન આપી રહી છે. પરંપરાગત હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કારીગરોને તાલીમ, કૌશલ્ય વિકાસ, ડિઝાઇન વિકાસ, પ્રદર્શન-મેળા, બજાર જોડાણ અને પ્રચાર-પ્રસાર જેવી વિવિધ તકો પૂરી પાડવામાં આવે છે. કારીગરોને પોતાના ઉત્પાદનો માટે વિસ્તૃત બજાર મળે અને પરંપરાગત કળાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય તે માટે વિવિધ યોજનાઓ અને સંસ્થાકીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પટોળા જેવી ભૌગોલિક અને સાંસ્કૃતિક વિશિષ્ટતા ધરાવતી હસ્તકલાને ટેગ જેવી વ્યવસ્થાથી ઓળખ અને કાનૂની રક્ષણ મળે છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી પહેલો દ્વારા સ્થાનિક ઉત્પાદનોને બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વિશાળ બજાર સાથે જોડવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. ડિજિટલ માર્કેટિંગ અને ઇ-કોમર્સના વધતા વ્યાપને કારણે પરંપરાગત કારીગરોને દેશ-વિદેશના ગ્રાહકો સુધી પહોંચવાની નવી તકો ઉપલબ્ધ બની છે.
પંકજભાઈ મકવાણાને મળેલી માનદ ડી.લિટ. પદવી તેમના વર્ષોના સંશોધન અને કારીગરીનું સન્માન છે. તેમણે પટોળા કલાને ફક્ત વણાટના એક સાધન કે વેપાર તરીકે ન જોતાં તેને વણકર સમાજની આજીવિકા અને અસ્તિત્વ સાથે જોડીને અભ્યાસ કર્યો. સાથે સાથે આ સિદ્ધિ સુરેન્દ્રનગરના હજારો વણકરોની પરંપરાગત કુશળતા અને મહેનતને મળેલી માન્યતા પણ છે. કરઘા પર પેઢીઓથી જીવંત રહેલી પટોળા વણાટની પરંપરાને સંશોધન સાથે જોડીને પંકજભાઈએ સુરેન્દ્રનગરની પટોળા કળાને એક નવી ઓળખ આપી છે.

