ધંધામાં ખોટ જતાં પૈસા ન ચૂકવી શકતા કંટાળી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
(મિલન જોશી દ્વારા)
Manavadar તા.૨૩
Manavadar તાલુકાના સરદારગઢ ગામે આર્થિક સંકટ અને વધતા દેણાથી કંટાળીને યુવાને સ્મશાનમાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા ચકચાર મચી ગઈ છે. ગંભીર હાલતમાં યુવાનને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સરદારગઢના અને હાલ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કેડી પ્લોટ વિસ્તારમાં રહેતા હરેશભાઈ મનસુખભાઈ સોલંકી (ઉં.વ. ૨૮) ગઈકાલે સાંજે આશરે ૪૦૦ વાગ્યાના સુમારે પોતાના વતન સરદારગઢ આવ્યા હતા. જ્યાં ગામના સ્મશાનમાં જઈને તેમણે ઘઉંમાં નાખવાના ટીકડા ગળી લીધા હતા. બનાવની જાણ પરિવારજનોને થતાં જ તેમને તાત્કાલિક બેભાન હાલતમાં પ્રથમ માણાવદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, હરેશભાઈએ ધંધા અર્થે લોકો પાસેથી રૂ. ૫ લાખ લીધા હતા. પરંતુ ધંધામાં ખોટ જતાં તેઓ વ્યાજ અને મૂળ રકમ ચૂકવી શકતા નહોતા. આર્થિક મુંઝવણ અને દેણું વધી જતાં તેમણે કંટાળીને આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક હરેશભાઈ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ એક ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાના હતા. તેમના અકાળે મોતથી તેમની એકમાત્ર માસુમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

