Ahmedabad,તા.૧૨
શહેરની સાબરમતી મધ્યસ્થ જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. મધ્યસ્થ જેલમાંથી પાકા કામનો કેદી ફરાર થવાનો બનાવ સામે આવ્યો છે. પોરબંદરના ગુનામાં સજા ભોગવી રહેલ માલદે પરમાર નામનો કેદી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.
પોરબંદરના રહેવાસી માલદે પરમારને પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા અને પોક્સો અંતર્ગત દાખલ થયેલ ગુનામાં ૯મી મે ૨૦૨૫ના દિવસે આજીવન કેદની સજા થતા પોરબંદર ખાસ જેલથી સજા ભોગવવા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ હતા. ત્યારબાદ ૧૬મી નવેમ્બર ૨૦૨૫ના દિવસે સારવાર અર્થે સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
સોમવારે સાંજે યાર્ડમાં આફ્ટરમાં ગણતરી દરમિયાન માલદે હાજર મળી આવ્યો ન હતો. આસપાસમાં પણ તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. જેથી જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ કરી સીસીટીવી તપાસતા સવારે ૧૦ કલાકને ૧૦ મિનિટે તે મેનગેટ ખાતે ફરજ પરના કર્મચારીની નજર ચૂકવી ગેટની બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જે અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

