Rajkot,તા.૨૪
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ ઉપસ્થિત રહી નાનાં ભૂલકાઓનું તિલક કરી, ફૂલહાર અર્પણ કરીને અને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવ્યો.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમગ્ર રાજ્યમાં લોકભાગીદારીનું પ્રેરણાદાયી અભિયાન બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન વધુ વ્યાપક બની રહ્યું છે, જેના પરિણામે શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દીકરીઓના શિક્ષણ અને શાળા છોડનાર વિદ્યાર્થીઓના પુનઃપ્રવેશમાં પણ નોંધપાત્ર સફળતા મળી રહી છે. શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. રાજ્ય સરકાર દ્વારા દરેક બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સંકલ્પ છે.
તેમણે વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે શિક્ષિત સમાજ જ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
પ્રવેશોત્સવ દરમિયાન ધારાસભ્યશ્રીએ શાળાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને વાલીઓ સાથે સંવાદ કરીને શિક્ષણની ગુણવત્તા વધુ સશક્ત બને તે અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા શાળા છોડીને ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ માટે પણ વિશેષ ધ્યાન આપવા સૂચન કર્યું હતું.
કાર્યક્રમમાં ઉપસચિવશ્રી સંકેતસિંહ વધેલા, શિક્ષણ વિભાગના અધિકારીઓ, કૌશિકભાઈ ચાવડા ઉપપ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, નિશાબેન રાણપરા મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, મયુરભાઈ શાહ કોશાધ્યક્ષશ્રી રાજકોટ શહેર ભાજપ, સહીત કોર્પોરેટોરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો તથા નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

