વિનોદભાઇ માછી નિરંકારી
હવે ભગવાન આગળના શ્ર્લોક(૪/૧૬)માં કર્મોને તત્વથી જાણવા માટેના પ્રકરણનો આરંભ કરે છે..
કિં કર્મ કિમકર્મેતિ કવયોऽપ્યત્ર મોહિતાઃ
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેऽશુભાત્
(કર્મ-કર્મ, કિમ્-શું છે અને, અકર્મ-અકર્મ, કિમ-શું છે, ઇતિ-એ પ્રમાણે, અત્ર-આ વિષયમાં, કવયઃ-બુદ્ધિશાળી પુરૂષો, અપિ-પણ, મોહિતાઃ-મોહિત થઇ જાય છે માટે, તત્-તે, કર્મ-કર્મતત્વ હું, તે-તને,પ્રવક્ષ્યામિ-સમ્યક રીતે કહીશ, યત્-જેને, જ્ઞાત્વા-જાણીને તૂં, અશુભાત્-અશુભથી એટલે કે કર્મબંધનમાંથી, મોક્ષ્યસે-મુક્ત થઇ જઇશ.)
કર્મ શું છે અને અકર્મ શું છે,એ પ્રમાણે આ વિષયમાં બુદ્ધિશાળી પુરૂષો પણ મોહિત થઇ જાય છે માટે તે કર્મતત્વ હું તને સમ્યક રીતે કહીશ,જેને જાણીને તૂં અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઇ જઇશ.
‘કિં કર્મ’ સાધારણ રીતે મનુષ્યો શરીર અને ઇન્દ્રિયોની ક્રિયાઓ બંધ થવાને અકર્મ માની લે છે પરંતુ ભગવાને શરીર,વાણી અને મનના દ્વારા થવાવાળી તમામ ક્રિયાઓને કર્મ માની છે.(૧૮/૧૫) ભાવના અનુસાર જ કર્મની સંજ્ઞા એટલે કે નામ હોય છે.ભાવ બદલાઇ જતાં કર્મની સંજ્ઞા પણ બદલાઇ જાય છે.જેવી રીતે કર્મ સ્વરૂપે સાત્વિક દેખાતું હોવા છતાં પણ જો કર્તાનો ભાવ રાજસ કે તામસ હોય તો તે કર્મ પણ રાજસ કે તામસ બની જાય છે.જેવી રીતે કોઇ દેવીની ઉપાસનારૂપી કર્મ કરતો હોય,જે સ્વરૂપથી સાત્વિક છે પરંતુ જો એવી ઉપાસના કરનારો તેને કોઇ કામનાની સિદ્ધિના માટે કરે તો તે કર્મ રાજસ બની જાય છે અને કોઇનો નાશ કરવા માટે કરે તો તે કર્મ તામસ બની જાય છે,એ જ રીતે જો કર્તામાં ફળેચ્છા-મમતા અને આસક્તિ ના હોય તો તેના દ્વારા કરવામાં આવેલાં ‘કર્મો’ ‘અકર્મો’ બની જાય છે એટલે કે ફળમાં બાંધવાવાળાં થતાં નથી.
ફક્ત બહારની ક્રિયા કરવા અથવા ન કરવાથી કર્મના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થતું નથી.આ વિષયમાં શાસ્ત્રોને જાણવાવાળા મોટા-મોટા વિદ્વાનો પણ મોહિત થઇ જાય છે એટલે કે કર્મના તત્વનો યથાર્થ નિર્ણય કરી શકતા નથી.જે ક્રિયાને તેઓ કર્મ માને છે તે કર્મ પણ હોઇ શકે છે,અકર્મ પણ હોઇ શકે છે અને વિકર્મ પણ હોઇ શકે છે કારણ કે કર્તાના ભાવ અનુસાર કર્મનું સ્વરૂપ બદલાઇ જાય છે,એટલા માટે ભગવાન જાણે એમ કહે છે કે વાસ્તવિક કર્મ શું છે? તે કેમ બાંધે છે? કેવી રીતે બાંધે છે? એનાથી કંઇ રીતે મુક્ત બની શકાય છે?-આ બધાનું હું વિવેચન કરીશ,જેને જાણીને તે કર્મ કરવાથી તે કર્મો બાંધનારા નહી બને.
જો મનુષ્યમાં મમતા-આસક્તિ અને ફળેચ્છા હોય તો કર્મ ન કરતો હોવા છતાં પણ તેના દ્વારા વાસ્તવમાં કર્મ થતું જ રહ્યું છે એટલે કે કર્મો સાથે લિપ્તતા છે પરંતુ જો મમતા-આસક્તિ અને ફળેચ્છા ના હોય તો કર્મ કરતો હોવા છતાં પણ કર્મ થતું નથી કારણ કે તેની કર્મો સાથે નિર્લિપ્તતા છે.જો કર્તા નિર્લિપ્ત હોય તો કર્મ કરવું અથવા ન કરવું-બંન્નેય અકર્મ છે અને જો કર્તા લિપ્ત હોય તો કર્મ કરવું અથવા ન કરવું-બંન્નેય કર્મ છે અને બાંધનારાં છે.
‘કિમકર્મેતિ’ ભગવાને કર્મના બે ભેદ બતાવ્યા છેઃકર્મ અને અકર્મ.કર્મથી જીવ બંધાય છે અને અકર્મ થી એટલે કે બીજાઓના માટે કર્મ કરવાથી મુક્ત થઇ જાય છે. કર્મનો ત્યાગ કરવો અકર્મ નથી.ભગવાને મોહપૂર્વક કરવામાં આવેલાં કર્મોના ત્યાગને ‘તામસ’ બતાવ્યો છે.(૧૮/૭) શારીરિક કષ્ટના ભયથી કરવામાં આવેલા કર્મોના ત્યાગને ‘રાજસ’ બતાવવામાં આવ્યો છે.(૧૮/૮) તામસ અને રાજસ ત્યાગમાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ થવા છતાં પણ કર્મોથી સબંધ-વિચ્છેદ થતો નથી.કર્મોમાં ફળેચ્છા અને આસક્તિનો ત્યાગ સાત્વિક છે.(૧૮/૯) સાત્વિક ત્યાગમાં સ્વરૂપથી કર્મ કરવું એ પણ વાસ્તવમાં અકર્મ છે કેમકે સાત્વિક ત્યાગમાં કર્મોથી સબંધ વિચ્છેદ થઇ જાય છે.આથી કર્મ કરતા હોવા છતાં પણ તેનાથી નિર્લિપ્ત રહેવું એ વાસ્તવમાં અકર્મ છે.
શાસ્ત્રોના તત્વને જાણવાવાળા વિદ્વાનો પણ અકર્મ શું છે?-એ વિષયમાં મોહિત થઇ જાય છે.આથી કર્મ કરવાની અથવા ન કરવાની-બેઉ અવસ્થામાં જેનાથી જીવ બંધાય નહી તે તત્વને સમજવાથી જ કર્મ શું અને અકર્મ શું-એ વાત સમજવામાં આવશે.અર્જુન યુદ્ધરૂપી કર્મને ન કરવાને કલ્યાણકારક સમજે છે એટલા માટે ભગવાન જાણે કે એમ કહે છે કે યુદ્ધરૂપી કર્મનો ત્યાગ કરવામાત્રથી તારી અકર્મ-અવસ્થા એટલે બંધનથી મુક્તિ નહી થાય.(૩/૪) પરંતુ યુદ્ધ કરતો હોવાછતાં પણ તૂં અકર્મ-અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે.(૨/૩૮) આથી અકર્મ શું? આ તત્વને તૂં સમજ.નિર્લિપ્ત રહીને કર્મ કરવાં અથવા કર્મો કરતા હોવા છતાં નિર્લિપ્ત રહેવું-આ જ વાસ્તવમાં અકર્મ-અવસ્થા છે.
‘કવયોऽપ્યત્ર મોહિતાઃ’ સાધારણ મનુષ્યોમાં એટલું સામર્થ્ય નથી કે તેઓ કર્મ અને અકર્મનો તાત્વિક નિર્ણય કરી શકે.શાસ્ત્રોના જ્ઞાતા મોટા-મોટા વિદ્વાનો પણ આ વિષયમાં ભૂલ કરી બેસે છે.કર્મ અને અકર્મનું તત્વ જાણવામાં તેમની બુદ્ધિ પણ ચક્કર ખાઇ જાય છે.એનું તત્વ કાં તો કર્મયોગથી સિદ્ધ થયેલા અનુભવી તત્વજ્ઞ મહાપુરૂષો જાણે છે અથવા ભગવાન જાણે છે.
‘તત્તે કર્મ પ્રવક્ષ્યામિ’ જીવ કર્મો વડે બંધાયો છે તો કર્મો વડે જ મુક્ત થશે.અહી ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે હું તે કર્મ તત્વને સારી રીતે કહીશ.જેનાથી કર્મો કરતા હોવા છતાં પણ તે બંધનકારક ન બને,કર્મો કરવાની તે વિદ્યા બતાવીશ જેનાથી તૂં કર્મો કરતો હોવા છતાં પણ જન્મ-મરણરૂપી બંધનથી મુક્ત થઇ જઇશ.
કર્મો કરવાના બે માર્ગો છેઃપ્રવૃત્તિમાર્ગ અને નિવત્તિમાર્ગ.પ્રવૃત્તિમાર્ગને ‘કર્મ કરવું’ એમ કહે છે અને નિવૃત્તિમાર્ગને ‘કર્મ ન કરવું’ એમ કહે છે.આ બેઉ માર્ગો બાંધવાવાળા નથી.બાંધવાવાળી તો કામના-મમતા અને આસક્તિ છે.પ્રવૃત્તિમાર્ગમાં હોય કે નિવૃત્તિમાર્ગમાં હોય જો કામના-મમતા અને આસક્તિ ના હોય તો મનુષ્ય પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ-બેઉમાં આપમેળે મુક્ત છે.આ વાતને સમજવી એ જ કર્મતત્વને સમજવું એમ કહેવાય.
ગીતાના અધ્યાયઃ૨/૫૦માં ભગવાને ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ કર્મોમાં કુશળતા એ જ યોગ છે-એવું કહીને કર્મતત્વ બતાવ્યું છે.કર્મબંધનથી છુટવાનો વાસ્તવિક ઉપાય ‘યોગ’ એટલે કે સમતા જ છે પરંતુ અર્જુન આ તત્વને પકડી શક્યા નહી એટલા માટે ભગવાન આ તત્વને ફરીથી સમજાવવાની પ્રતિજ્ઞા કરી રહ્યા છે. કર્મયોગ કર્મ નથી પણ સેવા છે.સેવામાં ત્યાગનું પ્રાધાન્ય હોય છે.સેવા અને ત્યાગ-એ બંન્નેય કર્મો નથી.આ બેઉમાં વિવેકનું જ પ્રાધાન્ય છે.
ત્યાગ અને સેવા-આ બંન્નેય કર્મસાધ્ય નથી પરંતુ વિવેકસાધ્ય છે.મળેલી વસ્તુ પોતાની નથી, બીજાઓની અને બીજાઓની સેવામાં લગાડવા માટે જ છે-આ વિવેક છે,એટલા માટે મૂળરૂપમાં કર્મયોગ કર્મ નથી પણ વિવેક છે.વિવેક કોઇ કર્મનું ફળ નથી પરંતુ પ્રાણીમાત્રને અનાદિકાળથી આપમેળે પ્રાપ્ત છે.
‘યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેऽશુભાત્’ જીવ પોતે શુદ્ધ છે અને પરીવર્તનશીલ સંસાર અશુભ છે.જીવ પોતે પરમાત્માનો નિત્ય અંશ હોવા છતાં પણ પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે. ભગવાન કહે છે કે હું તે કર્મતત્વનું વર્ણન કરીશ જેને જાણીને કર્મ કરવાથી તૂં અશુભ એટલે કે જન્મ-મરણરૂપી સંસાર બંધનથી મુક્ત થઇ જશે.
ભગવાન કહે છે કે હું તે કર્મતત્વ કહીશ જેને જાણવાથી તત્કાળ પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઇ જશે, એના માટે ભવિષ્યની અપેક્ષા નથી કેમકે પરમાત્મા તત્વ તમામ સ્થળ,કાળ,વસ્તુ,વ્યક્તિ,શરીર,ઇન્દ્રિયો, મન,બુદ્ધિ,પ્રાણ વગેરેમાં સમાનરૂપે પરીપૂર્ણ છે.મનુષ્ય પોતાને જ્યાં માને છે,પરમાત્મા ત્યાં જ છે.કર્મ કરતી વેળા કે કર્મ ન કરતી વેળા બેઉ અવસ્થામાં પરમાત્મા તત્વનો આપણી સાથેનો સબંધ જેવો છે તેવો જ રહે છે ફક્ત પ્રકૃતિજન્ય ક્રિયા અને પદાર્થો સાથે સબંધ માનવાના કારણે જ તેની અનુભૂતિ થતી નથી.
અહંતાપૂર્વક કરવામાં આવેલ સાધન અને સાધનનું અભિમાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અહંતા દૂર થતી પરંતુ દ્રઢ થાય છે.‘હું કરૂં છું’ એમાં જેવી અહંતા છે તેવી જ અહંતા ‘હું નથી કરતો’ એમાં પણ છે. પોતાને માટે કંઇ ન કરવાથી એટલે કે કર્મ માત્ર સંસારના હિતના માટે કરવાથી અહંતા સંસારમાં વિલિન થઇ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

