વિનોદભાઇ માછી નિરંકારી
નિરાકાર પરબ્રહ્મ પરમાત્માને જાણીને શ્વાસે શ્વાસે પરમાત્માને યાદ કરવા તેને સુમિરણ કહેવામાં આવે છે. પૂર્ણ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ માનવને ચેતન કરતાં કહે છે કે તમે વ્યર્થની ચિન્તા કરીને સમય નષ્ટ કરવાના બદલે શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરો.અંતસમયે આ પ્રભુનું સુમિરણ જ ઉ૫યોગી થાય છે.આપણે એક પ્રભુ ૫રમાત્માને યાદ કરીશું તો અમારી ચિન્તા સ્વંય પ્રભુ કરશે. સાચા સાધુ-સંત ખોટી ચિન્તા કરવાના બદલે એક સત્ય ૫રમેશ્વરને જાણીને હર હંમેશ તેના સુમિરણમાં લીન રહે છે.પ્રભુ નામ સુમિરણથી જ કલહ-ક્લેશ દૂર થઇ સાચું સુખ પ્રાપ્તિ થાય છે.સંતોનો સંગ થાય છે તો હર૫લ સુમિરણ થાય છે અને ખરાબ બુદ્ધિ દૂર થઇ સન્મતિ પ્રાપ્ત થાય છે.જેવી રીતે ચંદન વાંસોમાં રહેવા છતાં પોતાની સુગંધ છોડતું નથી તેવી જ રીતે ભક્તો દુનિયામાં રહેવા છતાં હરિનામને છોડતા નથી. શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ અને ધ્યાન કરતા રહે છે.અંતકાળે જેવું ચિંતન તે અનુસાર જીવની ગતિ થાય છે એટલે શ્વાસેશ્વાસે ભગવાનનું સુમિરણ કરતાં કરતાં પોતાના કર્તવ્યકર્મોનું પાલન કરવું જોઇએ જેથી અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે.
ભગવાનના નામ સુમિરણ,કિર્તનથી પ્રારબ્ધ બદલાઇ જાય છે,નવું પ્રારબ્ધ બને છે,જે વસ્તુ ભાગ્ય અનુસાર મળવાની ના હોય તે મળી જાય છે,જે અસંભવ કાર્યો હોય છે તે સંભવ બને છે એવો સંતો મહાપુરૂષોનો અનુભવ છે.જેને કર્મોના ફળનું વિધાન નક્કી કર્યું છે તેમને પોકાર કરવામાં આવે,તેમનું નામ લેવામાં આવે તો નામ લેનારનું પ્રારબ્ધ બદલાઇ જાય તેમાં આશ્ચર્ય નથી.
પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરી અને બ્રહ્મ-વિદ્યાથી,બ્રહ્મનો આશરો લેવાથી,બ્રહ્મજ્ઞાન મળે છે,આમ બ્રહ્મનો આશરો લેવાથી મનુષ્ય બ્રહ્મરૂપ થાય છે અને તેને કાળ મારી શકતો નથી.વૃદ્ધાવસ્થા એકાવન વર્ષ પછી પાછળ પડે ત્યારે ભક્તિનો-બ્રહ્મવિદ્યાનો આશરો લેવો જોઈએ.
એકાવન-બાવનનો અર્થ એ છે કે એકાવન પછી મનુષ્ય બંગલામાં રહેવાને લાયક નથી,તેણે વનમાં જવું કે છેવટે ઘરમાં જ વાનપ્રસ્થ જીવન ગાળવું જોઈએ.છોકરો પરણે એટલે સમજવું કે મનુષ્યનો ગૃહસ્થાશ્રમ પુરો થયો અને વાનપ્રસ્થાશ્રમ ચાલુ થયો.ભોગભૂમિમાં વિલાસી લોકોની વચ્ચે રહી વિરક્ત જીવન ગાળવું કઠણ છે.મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનો ત્રાસ એ જન્મ-મરણનો ભયંકર ત્રાસ છે. નિશ્ચય કરવાનો કે હવે જન્મ-મરણના ત્રાસમાંથી છૂટવું છે.એક કલાકમાં ૯૦૦ શ્વાસોચ્છવાસ થાય છે,૨૪ કલાકમાં ૨૧૬૦૦ શ્વાસોચ્છવાસ થાય છે.પ્રતિ શ્વાસે ભગવાનનું નામ-જપ કરવાનું મહાપુરૂષોએ કહ્યું છે એટલે ૨૧૬૦૦ નામ-જપ કરવાના કહ્યા છે.
મહાપુરૂષો કહે છે કે જન્મ-મરણના ત્રાસમાંથી છુટવા માટે રોજ સાદું ભોજન લેવાનું રાખી,૨૧૬૦૦ નામ-જપ નિયમ-પૂર્વક કરો.ભગવાનનું નામ સુમિરણ-જપ વિના પાપ અને વાસના છૂટતાં નથી.મન સ્થિર થતું નથી એટલે જપ કરતો નથી-એવું બહાનું બતાવવું તે અજ્ઞાન છે.ભલે મન બીજે ભટકે પણ સતત જપ કરશો તો પછી મન જરૂર સ્થિર થશે.કોઇપણ સાધન-નિયમ કરશો તો પ્રભુ સાથે પ્રેમ થશે અને બ્રહ્મ-સંબંધ થશે.જરા વિચાર કરવાથી સમજાશે કે કેટલા શ્વાસ નામ-જપ વગરના જતા હશે? ભોજનમાં,સૂવામાં,ગપ્પાં મારવામાં કેટલો સમય પ્રભુના નામ સિવાય વ્યર્થ જાય છે? કથા-સત્સંગ-ભજન સાંભળવાથી,શતશાસ્ત્રોના વાંચવાથી કંઈક માર્ગદર્શન લેવાનું છે.ખાલી-ખાલી મનોરંજન માટે કથા સાંભળવાનો કે વાંચવાનો કોઈ અર્થ નથી.જીવનમાં ભગવદ-ભક્તિની જરૂર છે.ભગવદ-ભક્તિ માટેનો કોઈક નિયમ લેવાનો છે.કોઈ સાધન કરવાનું અત્યંત જરૂરી છે.કોઈપણ નિયમ જેમ કે નામ-જપ કે કશાનો ત્યાગ કરવો વગેરે તે ખૂબ મહત્વનું છે.
એક દ્રષ્ટાંત છે કે એક સંત એકવાર એક ખેડૂતના ઘેર જાય છે.ખેડૂત સંતનું ભવ્ય સ્વાગત કરે છે અને ભોજન કરાવે છે. સંતના સંગમાં સાત ડગલાં ચાલીએ અથવા સંત કોઇના ઘરનું ભોજન કરે તો તેના હિતનો વિચાર કરતા હોય છે.સંતે કહ્યું કે તમે દરરોજ ભગવાનનું નામ સુમિરણ કરવાનો નિયમ લો ત્યારે ખેડૂત કહે છે કે બાબા મને તો સમય જ મળતો નથી.સંત કહે છે કે નામ-સુમિરણ માટે સમય ના મળે તો દરરોજ ભગવાનના મંદિરમાં જઇ ભગવાનના દર્શન કરવાનો નિયમ લો ત્યારે ખેડૂત કહે છે કે હું તો ખેતરમાં રહું છું અને ભગવાનનું મંદિર તો ગામમાં છે તો કેવી રીતે દરરોજ ભગવાનના દર્શન કરવા જાઉં ?
સંતે ઘણા સાધન બતાવ્યા પરંતુ ખેડૂત કોઇ નિયમ લેવા તૈયાર થતો નથી ત્યારે સંતે કહ્યું કે તમારે કોઇક તો નિયમ લેવો પડશે જ..! પરંતુ ખેડૂત કહે છે કે મહારાજ તમે બતાવેલ કોઇ સાધન મારાથી બની શકે તેમ નથી.હું ખેતરોમાં કામ કરૂં કે માળા લઇને જપ કરૂં? આટલો સમય મારી પાસે નથી.હું તમારા જેવો બાવો નથી કે એકાંતે બેસીને ભજન કરી શકું.મારે બાળ-બચ્ચાઓનું પાલનપોષણ કરવાનું હોય છે.પશુઓનું પાલન-પોષણ કરવાનું હોય છે,ખેતીવાડી કરવાની હોય છે.ત્યારે સંત કહે છે કે તૂં શું કરી શકે તેમ છે તે મને બતાવ? ત્યારે ખેડૂત કહે છે કે મારી પડોશમાં એક કુંભાર રહે છે અને તે મારો ખાસ મિત્ર છે અને મારા અને તેના ખેતરો પણ નજીક છે.હું દરરોજ તેને જોયા પછી જ ભોજન કરીશ આ નિયમ લઉં છું. ત્યારે સંતે કહ્યું કે ભલે..આજથી તેને જોયા વિના તેના દર્શન કર્યા વિના ભોજન નહી કરવાનો આજથી નિયમ લો.
એક દિવસ ખેડૂતને ખેતરમાં જવાની ઉતાવળ હતી એટલે ભોજન પણ જલ્દીથી બનાવડાવ્યું.ખેડૂતે ઘરની બહારની કંપાઉન્ડર્વાલ ઉપર ચઢીને જોયું તો કુંભાર ઘેર દેખાયો નહી.તપાસ કરતાં ખબર પડી કે કુંભાર તો માટી લેવા નજીકના જંગલમાં ગયો છે.ખેડૂત મનોમન ગાળો બોલે છે કે ક્યાં મરી ગયો હશે? કમ-સે-કમ એકવાર તેને જોઇ લીધો હોત તો ભોજન લઇને ખેતરમાં જઇ શકાય.નિયમની પાલના કરવા તે દોડતો જંગતની તરફ દૌટ મુકીને જાય છે.આ બાજુ કુંભારને માટી ખોંદતાં એક તાંબાની હાંડી મળે છે જેની અંદર જાત જાતના રત્નો અને જુના જમાનાના સોનાના સિક્કા ભરેલા હતા.કુંભાર મનમાં વિચાર કરે છે કે જો કોઇ જોઇ જશે તો મુશ્કેલી થશે,આવું વિચારીને તે ખાડામાંથી બહાર આવે છે તે સમયે ખેડૂત દોડતો આવતો દેખાય છે.
ખેડૂતને ખેતરમાં જવાની ઘણી જ ઉતાવળ હોવાથી કુંભારને જોઇને ખેડૂત તરત જ પાછો વળી જાય છે ત્યારે કુંભાર વિચાર કરે છે કે મને જે જાત જાતના રત્નો અને જુના જમાનાના સોનાના સિક્કા ભરેલી હાંડી મળી છે તે ખેડૂતે જોઇ લીધી છે એટલે તે મુસિબત ઉભી કરશે.ખેડૂતને ઉભો રહેવા કુંભાર બૂમો પાડે છે ત્યારે ખેડૂત કહે છે કે બસ જોઇ લીધા..જોઇ લીધા..ત્યારે કુંભાર કહે છે કે ભલે જોઇ લીધું..તો જે કંઇ મળ્યું છે તેમાંથી અડધું તારૂં અને અડધું મારૂં..પણ હવે બીજા કોઇને કહેશો નહી.
ખેડૂત ખેતીવાડીનું કામ પરવારી સાંજે ઘેર આવે છે તો તેને કુંભારને માટી ખોંદતાં પડેલ ખાડામાંથી મળેલ ધનમાંથી અડધું ધન મળે છે તે સમયે ખેડૂત વિચાર કરે છે કે સંતના કહ્યા અનુસાર નિયમ લીધો તો આટલો મોટો ફાયદો થયો તો હંમેશાંના માટે સંત સદગુરૂની આજ્ઞાનું પાલન કરૂં તો કેટલો બધો લાભ થાય? આવો વિચાર કરીને ખેડૂત અને તેનો મિત્ર કુંભાર બંન્ને સંતની શરણાગતિ સ્વીકારી ભગવાનના ભક્ત બની ગયા.
કહેવાનો ભાવ એ છે કે જો અમે દ્રઢતાથી એક ઉદ્દેશ્ય બનાવી લઇએ,કોઇ નિયમ ધારણ કરીએ તો તે અમારી ડૂબતી નાવને ભવસાગરથી પાર કરાવી શકે છે,અમારો આલોક અને પરલોક સુધારે છે.
પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૂષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે.આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ-સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે,સમય તથા શક્તિ બચી જાય છે.સંત થયા વગર સંતને ઓળખી શકતા નથી કે સંત મળતાં નથી,સંત થવા મનને સુધારવાની જરૂર છે,ભક્તિની જરૂર છે.
બાર વર્ષ સુધી સત્કર્મ નિયમથી થાય તો તે સિદ્ધ થાય છે.મનની ચંચળતા ઓછી થાય છે.મન વચન કર્મથી ભજનનો દ્રઢ નિયમ રાખવો,સદગુરૂ,માતા-પિતા,બંધુ,પતિ..એ સર્વેને પ્રભુ પરમાત્માનું રૂ૫ સમજીને તેમની દ્રઢ સેવા કરવી..આ તમામ પ્રેમ લક્ષણા ભક્તિનાં સાધન છે.“નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે અને જે આનંદ મળે છે તે પછી ઓછો થતો નથી.”
ભગવાન કહે છે કે તમે એક કામ કરો તો હું તમારૂં રક્ષણ કરીશ.રોજ તમે એક કલાક નિયમપૂર્વક મારાં સેવા–સુમિરણ–સત્સંગ કરશો તો પછી બાકીના ત્રેવીસ કલાક હું તમારૂં ધ્યાન રાખીશ.કોઈ સાધન કરવાનો,કોઈ સત્કર્મ કરવાનો,કોઈ પાપ છોડવાનો કે પછી ભગવદ-ભક્તિનો કોઈપણ નિયમ લેવાથી જરાસંઘ-વૃદ્ધાવસ્થા અને-કાળયવન-કાળ=મૃત્યુના ત્રાસમાંથી છૂટી શકાશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

