Ayodhya તા.9
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતાં દાનની ગણતરી દરમિયાન અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાનો ખુલાસો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસમાં થયો છે.
આ કૌભાંડની શરૂઆત ટ્રેનિંગ મેળવતાં કર્મચારીઓ દ્વારા કપડામાં રૂ।.500ની એક-બે નોટો છુપાવીને બહાર લઈ જવાથી થઈ હતી. શરૂઆતમાં કોઈ પકડાયું ન હોવાથી આરોપીઓનો ઉત્સાહ વધ્યો અને ધીમે-ધીમે તેઓ નોટોની આખેઆખી થપ્પીઓ અને બંડલો ગાયબ કરવા લાગ્યાં હતાં.
SIT ની તપાસમાં સામે આવ્યું છે કે દાન ગણવાના રૂમમાં લગાવેલાં સીસીટીવી કેમેરાના મોનિટરિંગમાં મોટી બેદરકારી રાખવામાં આવી હતી. ઘણી વખત કંટ્રોલ રૂમમાં કોઈ હાજર જ રહેતું ન હતું, જેનાં કારણે કર્મચારીઓ સરળતાથી રોકડ ચોરી શકતાં હતાં.
આ સિવાય ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે નક્કી થયેલાં કડક નિયમો જેવા કે બાયોમેટ્રિક હાજરી, સ્પેશિયલ યુનિફોર્મ અને આવતા-જતા સમયે કડક ચેકિંગ કરવાની પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો ન હતો.
આ કેસમાં એસબીઆઈની આઉટસોર્સ એજન્સી દ્વારા રાખવામાં આવેલાં 6 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ યાદવ, કણેશ પાંડે અને રમાશંકર મિશ્રા છે.
આ તમામની નિમણૂક મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોની ભલામણથી થઈ હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ચોરીના આ પૈસાથી આરોપીઓએ અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનો અને પ્રોપર્ટી પણ ખરીદી લીધી હતી.
પોલીસે આરોપીઓના ઠેકાણા પર દરોડા પાડીને અત્યાર સુધીમાં અંદાજે રૂ।.79 લાખની રોકડ અને દાગીના રિકવર કર્યા છે. આ મામલામાં હવે રામ મંદિર ટ્રસ્ટનાં પૂર્વ સભ્ય અનિલ મિશ્રાની મુશ્કેલીઓ પણ વધી શકે છે, કારણ કે પોલીસ તપાસ અનુસાર તેમને આ ચોરીની જાણ હોવા છતાં તેમણે તેને રોકવા માટે કોઈ કડક પગલાં લીધાં ન હતાં, જેથી ટૂંક સમયમાં જ તેમનું નામ પણ આ કેસનાં ષડયંત્રમાં આરોપી તરીકે ઉમેરવામાં આવી શકે છે.

