New Delhi,તા. 9
સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જતાં હાહાકાર જેવો માહોલ છે. દિલ્હી-એનસીઆરથી લઈને મુંબઈ સુધીનાં મેગા સિટીઝ અને પહાડી રાજ્યોમાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશનાં પ્રમુખ 17 રાજ્યોમાં આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ગંભીર ચેતવણી (એલર્ટ) જાહેર કરવામાં આવી છે.
આ કુદરતી આપત્તિ દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ આશંકા સેવાઈ રહી છે, જેના કારણે વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હી અને તેની આસપાસનાં એનસીઆર વિસ્તારોમાં છેલ્લાં 24 કલાકથી અવિરત વરસાદનો દોર ચાલી રહ્યો છે. હવામાન વિભાગે આજે દિલ્હીનાં કેટલાક વિસ્તારોમાં ‘રેડ એલર્ટ’ અને અન્ય ભાગોમાં ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે.
સતત પડી રહેલાં વરસાદને કારણે દિલ્હીનું મહત્તમ તાપમાન ગગડીને 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આગામી 10 અને 11 જુલાઈ દરમિયાન પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે, જ્યારે 12 અને 13 જુલાઈથી વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.
પશ્વિમ ભારતનાં રાજ્યોમાં પણ મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદનાં કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.
સત્તાવાર આંકડાઓ મુજબ, 1 જૂનથી અત્યાર સુધીમાં વરસાદ અને વાવાઝોડા સંબંધિત અકસ્માતોમાં રાજ્યમાં 62 લોકોએ જીવ ગુમાવ્યાં છે, જ્યારે 200થી વધુ પશુઓનાં પણ મોત થયાં છે. આ તરફ ગુજરાતથી લઈને મધ્ય કેરળ સુધી સર્જાયેલી લો-પ્રેશર ટ્રફ લાઇનને કારણે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે અસ્થિરતા રહેશે.
પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં ચોમાસાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. સતત થઈ રહેલાં ભૂસ્ખલનને કારણે રાજ્યભરના 71 જેટલાં મુખ્ય રસ્તાઓ અને ગ્રામીણ માર્ગો બંધ થઈ ગયા છે, જેથી સેંકડો ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
પિથોરાગઢના સ્યાંકુરી ગામમાં પહાડ પરથી અચાનક ચટ્ટાન તૂટી પડતાં એક મહિલાનું ઊંડી ખીણમાં ખાબકવાથી કણ મોત નીપજ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે, રામગંગા નદીમાં મલબો જમા થવાને કારણે 600 મીટર લાંબું એક કૃત્રિમ તળાવ બની ગયું છે.
આ તળાવ જો અચાનક તૂટે તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે દહેરાદૂન, નૈનીતાલ અને હરિદ્વાર સહિતના જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાનાં આગમન સાથે જ આપત્તિના દ્રશ્યો સર્જાયાં છે. મંડી અને હમીરપુર સહિતનાં જિલ્લાઓમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે પઠાણકોટ-મંડી નેશનલ હાઈવેનો એક મોટો હિસ્સો ધોવાઈ ગયો છે.
ભૂસ્ખલનના કારણે હાઈવે સહિત કુલ 26 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અનેક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયાં છે. ઈંખઉના પ્રાદેશિક નિયામકના જણાવ્યાં અનુસાર, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલામાં આગામી 13-14 જુલાઈ સુધી ચોમાસું પ્રચંડ વેગે સક્રિય રહેશે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને નદી-નાળાઓની નજીક ન જવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા કડક એડવાઇઝરી જરી કરવામાં આવી છે.
મેદાની વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશનાં નોઈડા, ગાઝિયાબાદ, પ્રયાગરાજ, કાનપુર અને અયોધ્યા સહિતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં પણ પટના, ભાગલપુર અને ગોપાલગંજ સહિતનાં વિસ્તારોમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું એલર્ટ છે.
બીજી તરફ, રાજસ્થાનના પૂર્વ ભાગો અને ભરતપુર પ્રદેશમાં ચોમાસું જામ્યું છે. જો કે, રાજસ્થાનમાં આગામી 11 જુલાઈથી એક અઠવાડિયા માટે વરસાદની ગતિવિધિઓમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
પૂર્વોત્તર ભારતનાં આસામ રાજ્યમાં પણ આગામી 3 થી 4 દિવસ સુધી વ્યાપક અને અતિભારે વરસાદની સંભાવના છે. કામરૂપ, લખીમપુર અને ડિબ્રુગઢ સહિતનાં જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. ગુવાહાટી સહિતના મોટા શહેરોમાં આખું અઠવાડિયું વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

