(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫
જામનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા લાંચ લેતા ઝડપાયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેર અને લાઈનમેનને કોર્ટમાંથી રાહત મળી નથી. જામનગરની વિશેષ અદાલતે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.
ફરિયાદ મુજબ, જામનગર તાલુકાના નાની ખાવડી ગામે રહેતા અરજદારે પોતાના ગેસ્ટ હાઉસ માટે નવા ત્રિ-ફેઝ વીજ જોડાણ માટે પીજીવીસીએલની શાપર પેટા વિભાગીય કચેરીમાં અરજી કરી હતી. લાંબા સમયથી કાર્યવાહી અટવાયેલી હોવાથી તેમજ નવો થાંભલો ઊભો કરી મોટર જોડાણ આપવા બદલ શાપર પેટા વિભાગના વર્ગ-૧ના નાયબ ઈજનેર ઋષિ દિનેશચંદ્ર પરમારે રૂ. ૧ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝક બાદ રૂ. ૮૦ હજાર લાંચ તરીકે નક્કી કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી અરજદારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તા. ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ મોટી-ખાવડી-જામનગર- બાલાચડી હાઈવે રોડ પર ગોઠવાયેલા છટકામાં પીજીવીસીએલ શાપર પેટા વિભાગના લાઈનમેન મહેશભાઈ ડુંગરામ પ્રજાપતિ ફરિયાદી પાસેથી રૂ. ૮૦ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન નાયબ ઈજનેરની સંડોવણી પણ બહાર આવતા બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ અંગે જામનગર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો પોલીસ મથક ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા ૨૦૧૮)ની કલમ ૭, ૧૨ અને ૧૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.બાદમાં બંને આરોપીઓએ જામનગરની વિશેષ અદાલતમાં જામીન માટે અરજી કરી હતી. જોકે, કેસની ગંભીરતા અને તપાસના તબક્કાને ધ્યાનમાં રાખીને જામનગરના એડિશનલ સેશન્સ જજ શ્રી વી.પી. ચાવડાએ બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.આ કેસમાં સરકાર તરફથી વિશેષ જાહેર અભિયોજક હેવેન્દ્ર ડો. મહેતા દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી.

