વિનોદભાઇ માછી નિરંકારી
હવે શુકદેવજી હવે સુદામા-ચરિત્રની કથા સંભળાવે છે. જયારે તન્મયતા થાય છે ત્યારે સમાધિ લાગે છે. ભાગવતની કથા કરતાં કરતાં શુકદેવજીને બે વખત સમાધિ લાગેલી છે. પહેલી વખત જયારે શ્રીકૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે ત્યારે (શ્રીકૃષ્ણ ગોપ-બાળકો,વાછરડાંનું રૂપ લઇને ગયા ત્યારે) અને બીજી વખત આ સુદામા ચરિત્રનું વર્ણન કરતી વખતે.
શુકદેવજી વર્ણન કરે છે કે સુદામા ભગવાનના ખાસ મિત્ર છે. સુદામા પોરબંદરમાં બિરાજે છે. સુદામા પવિત્ર, જીતેન્દ્રિય અને મહાજ્ઞાની છે. ચાર વેદ અને છ શાસ્ત્રનું તેમને જ્ઞાન છે, આખો દિવસ પૂજા પાઠમાં ગાળે છે. જ્ઞાન અને ભક્તિનું ફળ પૈસો નહિ, પ્રતિષ્ઠા નહિ પણ પરમાત્માને મેળવવાનું છે. સતત પરમાત્માનું ધ્યાન કરે તે લક્ષ્મીજીને ગમતો નથી. લક્ષ્મીજી વિચારે છે કે “આ મારા માલિક સાથે પાંચ મિનિટ વાત પણ કરવા દેતો નથી.” સુદામા ગરીબ પણ છે તેમ છતાં સુદામાએ અયાચક વ્રત લીધું હતું.
સુદામા તેમના અપરિગ્રહ વ્રત મુજબ ઘરમાં સૂર્યોદય પહેલા જે આવે તે સૂર્યાસ્ત પહેલા વાપરી નાખે છે. બીજા દિવસ માટે કશું રાખવાનું નહિ કે કોઈની પાસે માગવાનું નહિ. ઘરમાં દારિદ્રય છે. સુદામાની પત્નીનું નામ ભાગવતમાં બતાવ્યું નથી પણ ઈતરગ્રંથ મુજબ તેમની પત્નીનું નામ સુશીલા હતું. સુશીલા સુશીલ છે. પહેરવાને માત્ર એક વસ્ત્ર છે, સ્નાન કરી શરીર પર જ સાડી સૂકવે છે. સુશીલા મહાન પતિવ્રતા છે. ગરીબીને કારણે અનેકવાર ઉપવાસ થાય તેમ છતાં સુશીલાએ કદી કીધું નથી કે તમે વિદ્વાન છો, બ્રાહ્મણ છો તો ક્યાંક કમાવા જાવ. ઘરમાં રહી પતિ-પત્ની સત્સંગ કરે કૃષ્ણ-કીર્તન કરે એમનો ગૃહસ્થાશ્રમ, સન્યાશ્રમને શરમાવે તેવો છે. પતિ-પત્ની એકલાં હતાં ત્યાં સુધી ઘરમાં શાંતિ હતી. ભગવાનની લીલા છે કે ઘરમાં બે ત્રણ બાળકો થયાં. સુદામાના ઘરમાં ઘણીવાર બાળકોને ખવડાવવા માટે કંઇ હોતું નથી. બાળકો માતાને પજવે છે. શિયાળાની ઠંડીમાં છોકરાં ઉઘાડા દિલે-ઉઘાડા પગે ફરે છે, ઘરમાં ઓઢવાનું પૂરતું સાધન નથી.
બાળકો માતાની પાછળ પડે છે. સુશીલાને દુઃખ થાય છે, પોતાની જાતને ધિક્કારે છે અને વિચારે છે કે “મને પરમાત્માએ માતા બનાવી પણ ખાવાનું કાંઇ આપ્યું નથી એના કરતા મને વાંઝણી રાખી હોત તો સારૂં હતું. મારા પતિદેવને હું કેમ કહું કે તમે પ્રવૃત્તિ કરો. તે તો આખો દિવસ જપ-ધ્યાન કરે. હું એકલી હતી ત્યાં સુધી બરોબર હતું પણ બાળકોની આ દશા મારાથી જોવાતી નથી.”
એક દિવસ બહુ વ્યાકુળ થઇ એટલે પતિદેવને કહ્યું કે નાથ,મારે તમને એક પ્રાર્થના કરવી છે, આપે કથામાં કહ્યું છે કે કનૈયો બહુ પ્રેમાળ છે, તેને મિત્રો બહુ વહાલા લાગે છે. મિત્રો માટે તે ચોરી પણ કરતો.મેં સાંભળ્યું છે કે તમે કનૈયાની સાથે ગુરૂકુળમાં સાથે ભણતા હતા અને તમે કનૈયાના મિત્ર છો તો તમારા મિત્રને મળવાની ઈચ્છા તમને થતી નથી? એક દિવસ તેમને મળવા જાવ. તમે તેને મળો તો આપણું દુઃખ દૂર થાય. સુદામા કહે છે કે મારો મિત્ર છે લક્ષ્મીનારાયણ અને હું છું દરિદ્રનારાયણ. મને જતાં સંકોચ થાય છે. શ્રીકૃષ્ણને મળવા જઈશ તો લોકો કહેશે કે આ બ્રાહ્મણ માગવા આવ્યો છે. મારો નિયમ છે કે હું પરમાત્માને ઘેર પણ માગવા નહિ જાઉં, માગવું તે મારા માટે મરણ સમાન છે.
સુશીલા કહે છે કે હું એમ નથી કહેતી કે તમે માગવા જાવ. પ્રભુને તો હજાર આંખો છે. બાગમાં જઈને બેસો તો પુષ્પની સુવાસ માગ્યા વગર આવે છે. ભગવાન પાસે માંગવાની કોઈ જરૂરત રહેશે જ નહિ, તમને જોતાં જ તે સર્વ હકીકત સમજી જશે, તે ઉદાર એવા છે કે આત્માનું પણ દાન કરે છે. પ્રભુને ત્યાં માગવા નહિ પણ તેમને મળવા જાવ, તેમનાં દર્શન કરવા જાવ. સુદામા કહે છે કે હું અહીં જ તેમનાં દર્શન કરૂં છું. હું મારા કૃષ્ણને મનથી મળું છું. રોજ તેને રિઝાવું છું. શરીરના મિલનમાં થોડું સુખ છે પણ મનથી મળું છું તેમાં અનેક ગણો આનંદ છે. સુશીલા કહે છે કે મનથી તમે રોજ મળો છો પણ એક વખત તમે ત્યાં પ્રત્યક્ષ દર્શન કરવા જાવ. મને ખબર છે કે કોઈને દ્વારે નહિ જવું તેવી તમારી પ્રતિજ્ઞા છે પણ તમે કોઈ જીવને દ્વારે નહિ પણ પરમાત્માના દ્વારે જાઓ છો, તેમના દ્વારે જવામાં સંકોચ રાખવો જોઈએ નહિ, તેમનાં દ્વાર સર્વને માટે સદા ખુલ્લાં છે. કનૈયો તમને મળશે તમને પ્રેમથી આલિંગન આપશે.
સુદામા જ્ઞાની-તપસ્વી બ્રાહ્મણ હતા છતાં સુદામામાં સૂક્ષ્મ અભિમાન છે.“હું બીજા બ્રાહ્મણો કરતાં શ્રેષ્ઠ છું, બીજા બ્રાહ્મણો ઘેરઘેર રખડે છે, પ્રભુના દ્વારે પણ હું માગવા નહિ જાઉં.” પરમાત્માના દ્વારે તો સહુને જવું જ પડે છે, નહિ જાઉં-તેમ કહેવું અભિમાન કહેવાય. સુશીલાના સત્સંગથી સુદામાનું સૂક્ષ્મ અભિમાન દૂર થયું છે. સુદામા વિચારે છે કે આજ સુધી મારી પત્નીએ મને કંઈ કહ્યું નથી. ઘરમાં પંદર દિવસથી ખાવા કંઈ નથી છતાં સંતોષથી જીવન પુરૂં કરે છે,એ બહુ લાયક છે એટલે મારાથી ભક્તિ થાય છે.આજે હું તેનું અપમાન કરૂં તે ઠીક નથી એટલે સુદામા કહે છે કે મિત્રને મળવા જવા હું તૈયાર છું પણ ઘણા વર્ષે ત્યાં જાઉં છું તો મિત્ર માટે કાંઇ ભેટ તો લઇ જવી જોઈએને? ઘરમાં કાંઇ હોય તો આપો. ઘરમાં કશું હતું નહિ. સુશીલા આજ દિન સુધી માગવા ગઈ ન હતી, આજે પરમાત્મા માટે માંગવા ગઈ છે.
સુશીલા પડોશીના ઘેર ગઈ છે ત્યાંથી બે મુઠ્ઠી પૌઆ મળ્યા છે, તે એક ચીંથરામાં બાંધ્યા છે. ધન્ય છે એ સુશીલાને કે એક પણ પૌઆનો દાણો તેણે ઘરનાં બાળક માટે રાખ્યો નથી. “ભગવાન માટે જે લાવી છું તે સર્વ ઠાકોરજીને અર્પણ કરવું છે.” સુશીલાએ વિચાર્યું કે ત્યાં સોનાના મહેલ અને વૈભવ જોઈ તેઓ ગભરાશે તો શરમને લીધે આ પૌઆ તેઓ આપશે નહિ એટલે કહ્યું કે નાથ,આ પૌઆ આપતાં તમને સંકોચ થાય તો દ્વારકાધીશને મારૂં નામ દઈને કહેજો કે તમારી ભાભીએ આ ભેટ મોકલાવી છે. હું ગરીબ છું પણ દ્વારકાનાથની ભાભી છું. પત્નીના કહેવાથી અને શ્રીકૃષ્ણનાં દર્શન થશે એમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળ્યા છે. શરીરનાં હાડકાં દેખાય છે, ફાટેલી પોતડી પહેરી છે. હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે. સુશીલા વિચારે છે કે આજે મારા પતિદેવને મેં બહુ ત્રાસ આપ્યો છે. પંદર દિવસથી ખાધું નથી, શરીર દુર્બળ છે, તેઓ કેમ ચાલી શકશે? દ્વારકા બહુ દૂર છે, રસ્તામાં કાંઇ થાય તો તેમનું કોણ રક્ષણ કરશે? મેં ભૂલ કરી છે,એમની જવાની ઈચ્છા નહોતી પણ મેં પરાણે મોકલ્યા છે. આજે મેં તેમને ત્રાસ આપ્યો પણ હું શું કરૂં? આ બાળકો બહુ ત્રાસ આપે છે, તેમની દશા મારાથી જોવાતી નથી.
સુશીલાએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે કે મારા પતિ કોઈ દિવસ કોઈને દ્વારે ગયા નથી પણ આજે દ્વારકા જાય છે, તે પંદર દિવસથી ભૂખ્યા છે, તેમની સાથે રહેજો અને તેમનું રક્ષણ કરજો. તેઓ સુખરૂપ ઘેર પાછા આવે, હું તો ગરીબ બ્રાહ્મણી છું, તમને શું આપું? પણ હું તમને વંદન કરૂં છું.
પોષ સુદ સપ્તમીના દિવસે સુદામા દ્વારકાનાથને મળવા જવા નીકળ્યા છે. બહુ ઠંડી છે, શરીર થરથર કંપે છે, પંદર દિવસથી અન્ન શરીરમાં ગયું નથી, શરીર અત્યંત દુર્બળ અને અશક્ત છે. સુદામા રસ્તામાં વિચાર કરતા કરતા જાય છે કે દ્વારકાનાથનાં દર્શન થશે કે નહિ? દ્વારકા પહોચીશ કે નહિ? બે માઈલ સુધી ગયા છે પણ વિચારોમાં અને શરીરની અશક્તિને લીધે સુદામાને ચક્કર આવે છે અને એક ઝાડ નીચે પહોંચતાં પહોંચતાં તેઓ પડી ગયા છે, મૂર્છા આવી છે. આ બાજુ દ્વારકાનાથ ખબર પડી કે મારો સુદામો મને મળવા આવે છે. તપસ્વી બ્રાહ્મણ તપશ્ચર્યા છોડી મારે ઘેર આવે છે. તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહિ પણ તે મારે આંગણે આવવા નીકળ્યો છે. ભગવાનને ચિંતા થઇ છે કે દુર્બળ અશક્ત દેહે તે દ્વારકા કેવી રીતે પહોંચશે? તે ચાલતો આવે તે ઠીક નથી એટલે પ્રભુએ ગરૂડને આજ્ઞા કરી છે કે સુદામાને ઉઠાવીને દ્વારકામાં મૂકી દે. ગરૂડજી જે ઝાડ નીચે સુદામા મૂર્છામાં પડ્યા હતા ત્યાં જઈ સુદામાને ઉઠાવી દ્વારકાના એક ઝાડ નીચે મૂકી દીધા છે. બે કલાક પછી સુદામાની મૂર્છા વળી અને તે જાગ્યા, લોકોને પૂછે છે કે આ ગામ કયું? એકે જવાબ આપ્યો-દ્વારકા. સુદામા વિચારે છે કે શું આ દ્વારકા છે? લોકો તો મને બહુ ડરાવતા હતા કે દ્વારકા બહુ દૂર છે. દશ-બાર દિવસે પહોંચશો પણ દ્વારકા તો દૂર નથી, હું તો સવાર નીકળ્યો અને સાંજે દ્વારકા પહોંચી ગયો. સુદામાજીને ખબર નથી કે ગરૂડજી તેમને ઊંચકીને લાવ્યા છે.
મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે. સુદામા લોકોને પૂછે છે કે મને કોઈ દ્વારકાનાથનો મહેલ બતાવશો? મારે તેમને મળવું છે.લોકો પૂછે છે કે તમારે શા માટે મળવું છે? તમે દ્વારકાનાથને ઓળખો છો? સુદામા કહે છે કે દ્વારકાનાથ મારા મિત્ર છે, અમે સાથે ભણતા હતા. લોકો સુદામા સામે જોઈને હસે છે, લોકોને આશ્ચર્ય થાય છે કે આવી ફાટેલી પોતડી પહેરનાર અને શરીરનાં માત્ર હાડકાં જ દેખાય છે તે શ્રીકૃષ્ણનો મિત્ર કેમ હોઈ શકે? લોકો સુદામાની વાત માનવા તૈયાર નથી. એક જણે રસ્તો બતાવ્યો, આ રસ્તે તમે આગળ જાવ, આગળ સોળ હજાર મહેલો છે, સહુથી પહેલો રૂક્મિણીજીનો મહેલ છે, ત્યાં આગળ શ્રીકૃષ્ણ મળશે. ભગવત સ્મરણ કરતા કરતા સુદામા રૂક્મિણીજીના મહેલ પાસે આવ્યા છે. શ્રીકૃષ્ણનો વૈભવ જોઈને રાજી થયા છે. સુદામાની આંખમાં પ્રેમ છે મત્સર-ઈર્ષા નથી. મારા શ્રીકૃષ્ણના ઘરમાં સદા લક્ષ્મી વિરાજે. મારો મિત્ર સુખી થાય તેવા હૃદયથી આશિર્વાદ આપ્યા છે.
આ કોઈ ભિખારી ભીખ માગવા આવ્યો છે એમ સમજી દ્વારપાળો સુદામાને દ્વાર પર અટકાવે છે. કહે છે કે અંદર જવાની મનાઈ છે, તમારે જે દક્ષિણા જોઈતી હોય તે માગી લો. માતાજીની આજ્ઞા છે કે જે કોઈ આવે તેનું યોગ્ય સન્માન કરવું. આપ આજ્ઞા આપો તમારી શી સેવા કરીએ? સુદામા કહે છે કે હું દ્વારકાનાથ પાસે માંગવા આવ્યો નથી, હું તો દ્વારકાનાથને આપવા આવ્યો છું. મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. મારે દ્વારકાનાથને મળવું છે. તમે શ્રીકૃષ્ણને જઈને ખબર આપો કે તમારો બાળમિત્ર સુદામા તમને મળવા આવ્યો છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

