વિનોદભાઇ માછી નિરંકારી
ફરી યજ્ઞોની વાત આગળ ચલાવતાં ભગવાન શ્ર્લોક(૪/૨૭)માં કહે છે કે..
સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે
આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે
(અપરે-અન્ય યોગીજનો, સર્વાણિ-સંપૂર્ણ, ઇન્દ્રિયકર્માણિ-ઇન્દ્રિયોની ક્રિયાઓને, ચ-તથા, પ્રાણકર્માણિ-પ્રાણોની ક્રિયાઓને, જ્ઞાનદીપિતે-જ્ઞાન વડે પ્રજ્વલિત, આત્મસંયમ-આત્મસંયમ યોગ, યોગાગ્નૌ-સમાધિયોગ રૂપી અગ્નિમાં, જુહ્વતિ-હોમી દે છે.)અન્ય યોગીજનો સંપૂર્ણ ઇન્દ્રિયોની ક્રિયાઓને તથા પ્રાણોની ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમયોગ-સમાધિયોગ રૂપી અગ્નિમાં હોમી દે છે.
‘સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે’ આ શ્ર્લોકમાં સમાધિને યજ્ઞનું રૂપ આપવામાં આવ્યું છે. કેટલાક યોગી લોકો દશેય ઇન્દ્રિયોઓની ક્રિયાઓનો સમાધિમાં હવન કર્યા કરે છે. સમાધિ અવસ્થામાં મન-બુદ્ધિ સહિત તમામ ઇન્દ્રિયોની ક્રિયાઓ બંધ પડી જાય છે. ઇન્દ્રિયો સર્વથા નિશ્ચલ અને શાંત થઇ જાય છે.
સમાધિરૂપી યજ્ઞમાં પ્રાણોની ક્રિયાઓનો પણ હવન થઇ જાય છે એટલે કે સમાધિકાળમાં પ્રાણોની ક્રિયા પણ બંધ પડી જાય છે. સમાધિમાં પ્રાણોની ગતિ રોકવાના બે પ્રકારો છે. એક તો હઠયોગની સમાધિ હોય છે જેમાં પ્રાણોને રોકવાને માટે કુંભક કરવામાં આવે છે. કુંભકનો અભ્યાસ વધતાં-વધતાં પ્રાણ રોકાઇ જાય છે, જે કલાકો સુધી, દિવસો સુધી રોકાયેલો રહે છે. આ પ્રાણાયામથી આયુષ્ય વધે છે, જેવી રીતે વર્ષા થતાં જળ વહેવા લાગે છે તો જળની સાથે સાથે રેતી પણ આવી જાય છે, તે રેતીમાં દેડકો દબાઇ જાય છે ત્યારે દેડકો તે રેતીમાં જ ચુપચાપ સુકાયેલાની જેમ પડ્યો રહે છે, તેના પ્રાણ રોકાઇ જાય છે. ફરીથી જ્યારે વર્ષા આવે છે ત્યારે વર્ષાનું જળ ઉપર પડતાં દેડકામાં ફરીથી પ્રાણનો સંચાર થઇ જાય છે અને તે ડ્રાઉં ડ્રાઉં કરવા લાગે છે. બીજા પ્રકારમાં મનને એકાગ્ર કરવામાં આવે છે, મન સર્વથા એકાગ્ર થતાં શ્વાસની ગતિ આપોઆપ રોકાઇ જાય છે.
‘જ્ઞાનદીપિતે’ સમાધિ અને નિદ્રા-બંન્નેમાં કારણ શરીર સાથે સબંધ રહે છે એટલા માટે બહારથી બંન્નેની સમાન અવસ્થા દેખાઇ આવે છે. અહી ‘જ્ઞાનદીપિતે’ પદથી સમાધિ અને નિદ્રામાં પરસ્પર ભિન્નતા સિદ્ધ કરવામાં આવી છે. બહારથી સમાન દેખાવા છતાં પણ સમાધિકાળમાં ‘એક સચ્ચિદાનંદ પરમાત્મા જ સર્વત્ર પરીપૂર્ણ છે.’ એવું જ્ઞાન પ્રકાશિત રહે છે અને નિદ્રાકાળમાં વૃત્તિઓ અવિદ્યામાં લીન થાય છે. સમાધિકાળમાં શ્વાસની ગતિ બંધ પડી જાય છે અને નિદ્રાકાળમાં શ્વાસની ગતિ ચાલતી રહે છે એટલા માટે નિદ્રા સમાધિમાં અવરોધક છે.
‘આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ’ ચિત્તવૃત્તિનિરોધરૂપી એટલે કે સમાધિરૂપી યજ્ઞ કરવાવાળા યોગી લોકો ઇન્દ્રિયો અને પ્રાણોની ક્રિયાઓનો સમાધિયોગરૂપી અગ્નિમાં હવન કર્યા કરે છે એટલે કે મન-બુદ્ધિ સહિત તમામ ઇન્દ્રિયો અને શ્વાસની ક્રિયાઓને રોકીને સમાધિમાં સ્થિર થઇ જાય છે. સમાધિકાળમાં તમામ ઇન્દ્રિયો અને પ્રાણ પોતાની ચંચળતા છોડીને શાંત થઇ જાય છે. એક સચ્ચિદાનંદઘન પરમાત્માનું જ્ઞાન જ જાગ્રત રહે છે.
શ્રીમદ ભગવદગીતા ઇશ્વરપ્રાપ્તિના અનેક માર્ગો સ્વીકારે છે. જે લોકોને ઇન્દ્રિયોના પોતપોતાના સાત્વિક વિષયો ના હોય તો યજ્ઞ અનુકૂળ આવતો નથી તેવા સાધકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણનાં બધાં કર્મોને મન સંયમરૂપી અગ્નિમાં હોમી દેતા હોય છે, જે જ્ઞાનથી દેદીપ્યમાન હોય છે. આ રીતે કર્મ-હોમ પણ યજ્ઞ છે.
ફરી પાછા યજ્ઞના પ્રકાર બતાવતાં ભગવાન કહે છે કે..
દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ
(અપરે-બીજા કેટલાક, સંશિતવ્રતાઃ-તીક્ષ્ણવ્રત કરવાવાળા, યતયઃ-પ્રયત્નશીલ સાધકો, દ્રવ્યયજ્ઞાઃ-દ્રવ્યમય યજ્ઞ કરવાવાળા છે, તપોયજ્ઞાઃ-અને કેટલાક તપોયજ્ઞ કરવાવાળા છે, તથા-અને બીજા કેટલાક, સ્વાધ્યાય-સ્વાધ્યાયરૂપી, જ્ઞાનયજ્ઞાઃ-જ્ઞાનયજ્ઞ કરવાવાળા છે.)
બીજા કેટલાક તીક્ષ્ણવ્રત કરવાવાળા પ્રયત્નશીલ સાધકો દ્રવ્યમય યજ્ઞ કરવાવાળા છે અને કેટલાક તપોયજ્ઞ કરવાવાળા છે અને બીજા કેટલાક સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ કરવાવાળા છે.(૪/૨૮)
‘યતયઃ સંશિતવ્રતાઃ’ તીક્ષ્ણવ્રત કરવાવાળા પ્રયત્નશીલ સાધકો અહિંસા, સત્ય, અસ્તેય-ચોરીનો અભાવ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-ભોગબુદ્ધિથી સંગ્રહનો અભાવ-આ પાંચ ‘યમ’ નું પાલન કરે છે. અહિંસાસત્યાસ્તેયબ્રહ્મચર્યાપરિગ્રહા યમાઃ(યોગદર્શન-૨/૩૦) જેમને ‘મહાવ્રત’ને નામે કહેવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં આ મહાવ્રતોની બહુ જ પ્રશંસા અને મહિમા છે. આ વ્રતોનો સાર એ જ છે કે મનુષ્ય સંસારથી વિમુખ થઇ જાય. આ વ્રતોનું પાલન કરવાવાળા સાધકોને માટે અહી ‘સંશિતવ્રતાઃ’ પદ આવ્યું છે. એ સિવાય આ શ્ર્લોકમાં આવેલા ચારેય યજ્ઞોમાં જે જે પાલન કરવા યોગ્ય વ્રતો-નિયમો છે તેનું દ્રઢતાપૂર્વક પાલન કરવાવાળા પણ બધા સંશિતવ્રતાઃ છે. પાંચ નિયમો છેઃ શૌચ-સ્વચ્છતા, સંતોષ, તપ-તપસ્યા, સ્વાધ્યાય-સત્ સાહિત્યનો અભ્યાસ અને ઇશ્વર પ્રણિધાન-ઇશ્વરની શરણાગતિ. પોતપોતાના યજ્ઞના અનુષ્ઠાનમાં પ્રયત્નશીલ હોવાના કારણે તેમને યતયઃ કહેવામાં આવ્યા છે.
‘દ્રવ્યાયજ્ઞાઃ’ ફક્ત સંસારના હિતના ઉદ્દેશ્યથી કૂવો, તળાવ, મંદિર, ધર્મશાળા વગેરે બનાવડાવવાં, અભાવગ્રસ્ત લોકોને અન્ન-જળ-વસ્ત્ર, ઔષધ, પુસ્તકો વગેરે આપવાં, દાન કરવું વગેરે બધા ‘દ્રવ્યયજ્ઞ’ છે. દ્રવ્ય-ત્રણ શરીરો સહિત તમામ પદાર્થોને પોતાના અને પોતાને માટેના નહી માનીને નિઃસ્વાર્થભાવે સંસારના માનીને સંસારની સેવામાં લગાડવાથી દ્રવ્યયજ્ઞ સિદ્ધ થઇ જાય છે. શરીર વગેરે જેટલી વસ્તુઓ આપણી પાસે છે તેમનાથી યજ્ઞ થઇ શકે છે, અધિકની આવશ્યકતા નથી. મનુષ્ય બાળક પાસેથી એટલી જ અપેક્ષા રાખે છે જેટલું તે કરી શકે છે, પછી સર્વજ્ઞ ભગવાન તથા સંસાર આપણી પાસેથી આપણી ક્ષમતા કરતાં અધિકની આશા કેવી રીતે રાખશે?
જવ-તલ-ઘી વગેરે અનેક પ્રકારનાં પુષ્કળ દ્રવ્યો અગ્નિમાં હોમીને થનારા યજ્ઞોને પણ દ્રવ્યયજ્ઞો કહેવાય છે. ખરેખર તો આવા જ યજ્ઞો યજ્ઞરૂપથી પ્રચલિત છે. ભૂતકાળમાં અને અત્યારે લોકો દરવર્ષે બહુ મોટા પ્રમાણમાં આવા દ્રવ્યો હોમીને યજ્ઞો કરતા રહે છે. પશ્ચિમના કેટલાક વિચારકો આ બાબતમાં ભારે આપત્તિ ઉઠાવે છે, તેમનું કહેવું છે કે ‘જે દેશમાં ઘણી જ ગરીબી છે તે દેશમાં આવી રીતે અન્ન વગેરેને નષ્ટ કરવાં તે યોગ્ય ના કહેવાય.’
આવાં દ્રવ્યો હોમીને યજ્ઞો કરનારા પોતાના પક્ષમાં ત્રણ હેતુઓ બતાવે છે, તેથી દેવો પ્રસન્ન થાય છે અને ફળપ્રાપ્તિ થાય છે, તેથી હવા શુદ્ધિ થાય છે, તેથી વેદ મંત્રોનું ઉચ્ચારણ થવાથી વેદોની રક્ષા થાય છે, જે હોય તે પણ ગીતા કહે છે કે દ્રવ્યયજ્ઞ સિવાયના પણ બીજા યજ્ઞો છે જેમાં કશું જ બાળવાનું નથી તે કરોને !
‘તપોયજ્ઞઃ’ પોતાના કર્તવ્ય-સ્વધર્મના પાલનમાં જે જે પ્રતિકૂળતાઓ, કઠીનાઇઓ આવે તેમને પ્રસન્નતાપૂર્વક સહન કરી લેવાં એ તપોયજ્ઞ છે. લોકહિતાર્થે એકાદશી વગેરેનું વ્રત રાખવું, મૌન ધારણ કરવું વગેરે પણ તપોયજ્ઞ એટલે કે તપસ્યારૂપ યજ્ઞ છે પરંતુ પ્રતિકૂળથી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ કે ઘટના આવતાં પણ પ્રસન્નતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરતો રહે-પોતાના કર્તવ્યથી થોડો પણ વિચલિત ના થાય તો એ સૌથી મોટી તપસ્યા છે, જે શીઘ્ર સિદ્ધિ આપવાવાળી હોય છે.
‘યોગયજ્ઞાસ્તથાપરે’ યોગ એટલે મળવું, જીવ-બ્રહ્મનું મળવું યોગ કહેવાય છે. માનવ-માનવનું મિલન પણ યોગ જ કહેવાય છે. અહી અંતઃકરણની સમતાનું નામ યોગ છે. સમતાનો અર્થ છે-કાર્યની પૂર્તિ અને અપૂર્તિમાં, ફળની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં, અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં, નિંદા અને સ્તુતિમાં, આદર અને અનાદરમાં સમ રહેવું એટલે કે અંતઃકરણમાં હિલચાલ, રાગદ્વેષ અને સુખ-દુઃખ ના થવું. આ રીતે સમ રહેવું એ જ યોગયજ્ઞ છે. કેટલાક લોકો યોગપ્રક્રિયાના યજ્ઞો કરતા રહે છે.
‘સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ’ ભણેલી વિદ્યાનું ફરીફરીને આલોકન કરવું, યોગ્ય જીજ્ઞાસુઓને વિદ્યાનું વિતરણ કરવું, પ્રવચનો કરવાં, ફક્ત લોકહિતના માટે ગીતા, રામાયણ, ભાગવત વગેરેનું તથા વેદ-ઉપનિષદો વગેરેનું અધિકાર પ્રમાણે ઉડું અધ્યયન, મનન, વિચારપૂર્વક પઠન-પાઠન કરવું, પોતાની વૃત્તિઓનું તથા જીવનનું અધ્યયન કરવું વગેરે તમામ સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ છે.આ યજ્ઞથી વ્યક્તિ તથા પ્રજા વધુને વધુ જ્ઞાની બને છે આ યજ્ઞ છે.
ગીતાના અંતમાં ભગવાને કહ્યું છે કે જે આ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે, તેના દ્વારા હું જ્ઞાનયજ્ઞ વડે પૂજાઇશ-એવો મારો મત છે.(ગીતાઃ૧૮/૭૦) ગીતાનો સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞ છે. ગીતાના ભાવોમાં ઉંડા ઉતરીને વિચાર કરવો, તેના ભાવોને સમજવાની ચેષ્ટા કરવી વગેરે તમામ સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

