Bharuch,તા.૨૯
દક્ષિણ આફ્રિકામાં રહેતા અને મૂળ ગુજરાતના ભરૂચના વતની એવા એક વેપારીનું અપહરણ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આસિફ ઘાસીયા નામના આ વેપારી જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા, ત્યારે પોલીસના યુનિફોર્મમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ કાર ચેકિંગના બહાને તેમની ગાડી રોકી હતી અને ત્યારબાદ આ સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો.
નકલી પોલીસ બનીને આવેલા આ અપહરણકારો તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. આ ઘટના બાદ પરિવારમાં ભારે ચિંતા અને ભયનો માહોલ છે. આસિફભાઈના પરિજનોએ તેમના સુરક્ષિત છુટકારા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરી જરૂરી પગલાં લેવા માટે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે મદદની ગુહાર લગાવી છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, આસિફ ઘાસીયા જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસના યુનિફોર્મમાં આવેલા કેટલાક શખ્સોએ કાર ચેકિંગના બહાને તેમને રોક્યા હતા. આસિફભાઈ જેવી જ પોતાની કારમાંથી નીચે ઉતર્યા, તે જ ક્ષણે તેમને જબરદસ્તીથી અન્ય કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, બે અલગ-અલગ કારમાં આવેલા ૭ જેટલા સશસ્ત્ર શખ્સોએ આ અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે. પોલીસના સ્વાંગમાં આવીને ગુનાને અંજામ આપવાની આ પદ્ધતિથી સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે.
આ સનસનીખેજ ઘટનાને પગલે સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે ચિંતા અને ડર જોવા મળી રહ્યો છે. આસિફ ઘાસીયાના પરિજનો હાલ અત્યંત આઘાતમાં છે અને તેમણે ભારત સરકાર તથા વિદેશ મંત્રાલય પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે. પરિવારે અપીલ કરી છે કે ભારત સરકાર સાઉથ આફ્રિકાની સરકાર અને સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન સાધીને આસિફભાઈને સહીસલામત અને સુરક્ષિત રીતે પરત લાવવા માટે જરૂરી પગલાં ભરે.

