Bhavnagar,તા,05
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલા લેવામાં આવતા નથી તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રખડતા શ્વાનના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા લોકો માંગણી કરી રહ્યા છે.
શહેરમાં છેલ્લા ૧૬ માસમાં એટલે કે, જાન્યુઆરી-ર૦રપ થી એપ્રિલ-ર૦ર૬ માં ર૪,૩૬૬ લોકોને શ્વાન કરડયા હતા તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. રખડતા શ્વાન કરડતા લોકો સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આવ્યા હતા અને તેઓને જરૃરી સારવાર પુરી પાડવામાં આવી હતી તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. શહેરના બોરતળાવ, વડવા, ઘોઘા જકાતનાકા, સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર, કુંભારવાડા, તખ્તેશ્વર, વાઘાવાડી રોડ, કાળાનાળા, સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાની વધી છે. હાલ શહેરના મુખ્ય રોડ અને શેરીઓમાં શ્વાનના ઝુંડ જોવા મળતા હોય છે. રાત્રીના સમયે શહેરના મુખ્ય રોડ પર શ્વાનઓ ત્રાસ ફેલાવતા હોય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓ મુંઝવણમાં મુકાય જતા હોય છે. રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે છતાં મહાપાલિકાને આ પ્રશ્ન હલ કરવામાં કોઈ રસ ના હોય તેમ જણાય રહ્યુ છે.
શહેરમાં દરરોજ સરેરાશ પ૦થી વધુ વ્યકિતઓને શ્વાન કરડતા હોવાનુ જણાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ કડક કામગીરી કરવી જરૃરી છે. હડકાયા શ્વાન કરડવાથી કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા શ્વાનના મામલે માત્ર ખસીકરણ અને રસીકરણ કરી સંતોષ માનવામાં આવે છે પરંતુ અન્ય કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પગલે રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે. મહાપાલિકા કડક પગલા લેતુ નથી તેથી નાગરીકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.

