Chennai,તા.08
બોની કપૂર અને તેમની પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરને મદ્રાસ હાઈકોર્ટે તરફથી મોટી કાનૂની રાહત મળી છે. હાઈકોર્ટે 1988માં સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીના નામે ખરીદાયેલી ચેન્નાઈની મિલકત અંગે દાખલ કરાયેલ સિવિલ દાવો ફગાવી દીધો છે.
`બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ અનુસાર, હાઈકોર્ટે ચેંગલપટ્ટુ કોર્ટના અગાઉના આદેશને પણ રદ કર્યો છે. નીચલી કોર્ટએ એમ.સી. શિવકામી, એમ.સી. નટરાજન અને ચંદ્રભાનુ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બોની કપૂર અને તેમની પુત્રીઓએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
જસ્ટિસ ટી.વી. થમિલસેલ્વીએ બોની કપૂર વિરુદ્ધ સી. શિવકામી કેસમાં દાખલ કરાયેલી સિવિલ રિવિઝન અરજીને મંજૂરી આપતા અરજદારોના દાવાને કાનૂની રીતે અસ્થિર ગણાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દાવેદારો લાંબા સમય પછી મિલકત મામલે હકનો દાવો કરી રહ્યા હતા અને તેમના દાવાને સમર્થન આપતા પૂરતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ સમગ્ર વિવાદ શોલિંગનલ્લુર વિસ્તારમાં આવેલી અંદાજે 2.70 એકર જમીનના એક ભાગને લઈને હતો. અરજદારોએ પોતાને સ્વર્ગસ્થ એમ.સી. ચંદ્રશેખરનના કાયદેસર વારસદાર ગણાવ્યા હતા.
મિલકતમાં ભાગફાળો તેમજ વિભાજન અધિકારોની માંગ કરી હતી. તેમણે 1988માં શ્રીદેવી, તેમની માતા અને બહેનના નામે થયેલા વેચાણને પણ પડકાર્યું હતું. અરજદારોનો દાવો હતો કે જમીન વેચનાર પક્ષ પાસે કાયદેસર માલિકી નહોતી અને વેચાણ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હતી.

