Katra, તા.19
બોલિવૂડનાં સુપરસ્ટાર અક્ષય કુમારે જમ્મુ-કાશ્મીરમાં આવેલાં પવિત્ર યાત્રાધામ શ્રી માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચીને પૂજા-અર્ચના કરી છે. અભિનેતાની આ ધાર્મિક મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે.
અક્ષય કુમાર ગુરુવારે વૈષ્ણોદેવી યાત્રાના બેઝ કેમ્પ કટરા પહોંચ્યા હતાં અને ત્યાંથી ત્રિકુટા પહાડીઓ પર સ્થિત પવિત્ર ગુફા સુધી ટ્રેકિંગ કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યાં હતાં.અક્ષય કુમાર જેવા મોટા કલાકારની મુલાકાતને પગલે પ્રશાસન દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
અક્ષય કુમારને પોતાની નજર સામે જોઈને સ્થાનિક રહેવાસીઓ અને ફેન્સની ભારે ભીડ ઉમટી પડી હતી અને ઘણાં લોકો તેમની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને બાજુએ ઉભા રહી ગયાં હતાં.અક્ષય કુમારની આ મુલાકાત તેમની આગામી મોટી કોમેડી-એક્શન ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ’ની રિલીઝ પહેલાં થઈ છે. અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ મલ્ટિસ્ટારર ફિલ્મ આગામી 26 જૂને થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલાં ફિલ્મનાં ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં અક્ષય કુમાર એક સંઘર્ષ કરતાં કલાકારની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મની વાર્તા એક શૂટિંગ દરમિયાન સર્જાતી રમુજી પરિસ્થિતિઓ પર આધારિત છે, જ્યાં ફિલ્મનાં કલાકારોને ગામલોકો ભૂલથી સાચા સૈનિકો સમજી બેસે છે અને તેઓ એક ખતરનાક ગેંગ સામેની લડાઈમાં ફસાઈ જાય છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનિલ શેટ્ટી, અર્શદ વારસી, પરેશ રાવલ, રવીના ટંડન, જેક્લીન ફર્નાન્ડીઝ અને દિશા પટણી સહિત બોલિવૂડનાં જાણીતાં કલાકારોની લાંબી ફોજ જોવા મળશે.

