Mumbai,તા.10
90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરનાર ગોવિંદા તેમના શાનદાર અભિનય, અનોખી નૃત્ય શૈલી અને કોમિક ટાઇમિંગ માટે જાણીતો છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં ગોવિંદાએ તેમના જીવન અને સંઘર્ષો વિશે વિવિધ યાદો શેર કરી હતી. ગોવિંદાનો જન્મ કળાથી જોડાયેલા પરિવારમાંથી થયો હતો. તેમના પિતા અરુણ કુમાર આહુજા, 1940ના દાયકા દરમિયાન ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરતા હતા. જ્યારે તેમની માતા નિર્મલા દેવી એક પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત કલાકાર હતા. આખરે કેમ જીવન ટૂંકાવવા માંગતો હતો ગોવિંદા?
ગોવિંદાએ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ગોવિંદાને ત્રણ બહેનો છે, જેમના નામ કામિની ખન્ના, પદ્મા અને પુષ્પા છે. કામિનીએ લેખક, સંગીતકાર અને ગાયિકા તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમનો આખો પરિવાર લાંબા સમયથી ફિલ્મ અને સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. ગોવિંદાએ શેર કર્યું કે, 15 જૂન, 1996ના રોજ તેમની માતા નિર્મલા દેવીનું અવસાન થયું ત્યારે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. ગોવિંદા તેની માતાની ખૂબ નજીક હતો, જે એક પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા અને અભિનેત્રી હતી. તેમનું 1996 માં અવસાન થયું હતું.
ગોવિંદા તેની માતાના અચાનક અવસાન પછી લાંબા સમય સુધી ઊંડા શોક અને એકલતામાં ડૂબ્યો હતો. ગોવિંદાએ એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે, માતાના મૃત્યુ પછી તેના મનમાં આત્મહત્યાના વિચારો આવતા હતા. ગોવિંદાએ કહ્યું કે, ‘મારી માતાના અવસાન પછી હું નર્મદા નદીમાં આત્મહત્યા કરવા માંગતો હતો.’ ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ પણ અનેક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તે ઘણીવાર ગોવિંદા માતાને યાદ કરે છે. તેણે તો એવી ટિપ્પણી પણ કરી છે કે, જો તેને બીજા જીવનમાં ગોવિંદા મળે, તો તે તેને પતિ તરીકે નહીં પણ પુત્ર તરીકે ઇચ્છશે, કારણ કે તે એક ઉત્તમ પુત્ર છે.ગોવિંદાની કારકિર્દીની વાત કરીએ તો, તેણે 1986માં ફિલ્મ ઇલ્ઝામથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેણે તરત જ તેની પહેલી ફિલ્મથી લોકોનું ધ્યાન ખેંચ્યું. ત્યારથી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં, સતત હિટ ફિલ્મોનો દોર આપ્યો. 1990ના દાયકામાં ગોવિંદાના કોમિક ટાઇમિંગ, શાનદાર નૃત્ય શૈલી અને અનોખા વ્યક્તિત્વે તેને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યો. લોકો તેને ‘હીરો નંબર 1’ કહેવા લાગ્યા. દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હતા અને તેણે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું.ગોવિંદાએ 11 માર્ચ, 1987ના રોજ સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે. એક પુત્રી ટીના આહુજા અને એક પુત્ર યશવર્ધન આહુજા. ગોવિંદાએ ઘણીવાર કહ્યું છે કે મુશ્કેલ સમયમાં તેનો પરિવાર હંમેશા તેની સાથે મજબૂતીનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે. ગોવિંદાએ દરેક પરિસ્થિતિમાં પરિવારને પ્રાથમિકતા આપી છે. આજે પણ તેની પત્ની અને બાળકો દરેક પગલે તેની સાથે જોવા મળે છે. ગોવિંદા માટે તેના પરિવારથી વધુ કંઈ મહત્ત્વનું નથી અને તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. ગોવિંદાએ તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે.

