અરજીની પતાવટ માટે ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા સહિત બન્ને ઝડપાયા તા
Rajkot,તા.18
શહેરમાં 20 લાખ રૂપિયાની માતબર રકમની લાંચ લેવાના ગુનામાં જેલ હવાલે રહેલા સીજીએસટી વિભાગના ઉચ્ચ અધિકાર મુકેશકુમારની જામીન અરજી અદાલતે નકારી કાઢતા કસ્ટમ સુપ્રીટેન્ડન્ટ નો જેલવાસ લંબાયો છે.ફરિયાદી વિરુદ્ધ સીજીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા તેમજ ખોટા બિલ બનાવવા બાબતે અરજી થઈ હતી. આ અરજીની પતાવટ કરવા અને કેસ ન કરવાની અવેજમાં સીજીએસટી ડીવીઝન-1, રેન્જ-5ના સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમાર દ્વારા 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે 20 લાખ રૂપિયા નક્કી થયા હતા. આ રકમ રાજકોટના ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયાને આપી દેવા જણાવાયું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે તા. 28/04/2026ના રોજ રાજકોટમાં એસટી બસ સ્ટેશન પાછળ ક્રીએટીવ કોમ્પ્લેક્ષ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આક્ષેપિત અધિકારી મુકેશકુમાર મનબોધકુમાર વતી આકાશ કલોલીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાની જામીન અરજી અદાલતે રદ કર્યા બાદ સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમારે જામીન અરજી રજુ કરી હતી. બચાવ પક્ષની દલીલમાં આરોપીની અટક ટેકનીકલ કારણોસર ગેરકાનુની છે કારણ કે આરોપી સામેના કેસમાં સજાની જોગવાઈ સાત વર્ષથી ઓછી છે.આરોપીએ ટેલીફોનીક વાર્તાલાપ દરમ્યાન ફરીયાદીને સ્પષ્ટ રીતે જણાવેલ છે કે કન્સલ્ટન્ટ આકાશને રકમ નકકી કરવાનો કોઈ હકક અધિકાર નથી. સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપી સામેનો કેસ ભ્રષ્ટાચાર નિવારણ ધારાની ફકત કલમ-૭ હેઠળનો નથી પરંતુ કલમ- ૧૩ હેઠળનો પણ છે જેમાં સજાની જોગવાઈ ૧૦ વર્ષ છે. ઉપરાંત આરોપી વતી સાત પાનાના વાર્તાલાપ માંથી ફક્ત એક વાકય જુદુ કરીને રજુઆત કરવામાં આવેલ છે કે કન્સલ્ટન્ટ આકાશને રકમ નકકી કરવાનો અધિકાર નથી. લાંચની રકમ અંગેનો વાર્તાલાપ છે. ત્રણેય વ્યકિતઓ વચ્ચે જે વાર્તાલાપ રેકોર્ડ થયેલ છે તે વાંચતા લાંચની રકમ અંગેનો જ વાર્તાલાપ છે જે સ્પષ્ટપણે જણાઈ આવે છે. સરકાર તરફેની
તમામ દલીલોના અંતે જજ આઈ.બી.પઠાણએ સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર ની જામીન અરજી રદ કરી છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.

