New Delhi તા. 13
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હીમાં એક નવું આંદોલન શરૂ કરવા જઈ રહ્યાં છે, જેને પક્ષના સ્થાપક અભિજીત દીપકેએ “જંતર મંતર સિઝન 2” નામ આપ્યું છે.
તાજેતરમાં જ નીટ પેપર લીકના મુદ્દે જંતર મંતર પર સતત 36 દિવસ ચાલેલું પ્રદર્શન સમાપ્ત કર્યા પછી, સોશિયલ મીડિયા પર લોકો આ આંદોલનના બીજા તબક્કા અંગે સતત પૂછી રહ્યાં હતાં. લોકોનાં આ ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને CJP એ આ નવું પ્રદર્શન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
દિલ્હીનાં નારાયણા વિસ્તારમાં યોજાનારી પાર્ટી કાર્યકર્તાઓની બેઠક છેલ્લી ઘડીએ રદ થવા અંગે દીપકેએ ગંભીર આરોપો મૂક્યાં છે. તેમણે જણાવ્યું કે સત્તાધારી ભાજપના દબાણને કારણે બેન્ક્વેટ હોલના માલિકે બુકિંગ રદ કરી દીધું હતું.
દીપકેનો દાવો છે કે, તેઓ જે પણ સ્થળ બુક કરવાની કોશિશ કરી રહ્યાં હતાં, ત્યાં હોલ માલિકોને `ઉપરથી દબાણ’ હોવાનું કહીને ના પાડવામાં આવી રહી હતી અને બેઠક ન યોજવા દેવા માટે હોલ માલિકોને ધમકાવવામાં પણ આવ્યા હતા.
ભાજપ પર પ્રહારો કરતાં CJP ના સ્થાપકે કહ્યું કે સરકારનાં આવા કારનામાં દર્શાવે છે કે તેઓ દેશનાં યુવાનોથી ડરી રહ્યાં છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી ધમકીઓ કે આડકતરી ચાલોથી તેમની પાર્ટી કે દેશનો યુવા વર્ગ ડરવાનો નથી અને તેઓ પોતાના હક માટે અવાજ ઉઠાવવાનું ચાલું જ રાખશે. જોકે, CJP ના આ આરોપો અંગે ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આગામી યોજનાઓ વિશે માહિતી આપતાં CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે પાર્ટી હવે દેશવ્યાપી “લિસનિંગ ટૂર” (જાહેર સંવાદ યાત્રા) શરૂ કરી રહી છે. આ ઝુંબેશ હેઠળ સ્વતંત્રતા દિવસથી શિક્ષણ ક્ષેત્રની ખામીઓ અને જનતાની વિવિધ સમસ્યાઓ સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે દેશભરમાં અસમર્થ સરકારો સામે થઈ રહેલા વિરોધ વચ્ચે આ યાત્રા પોતે જ જંતર મંતરના `સિઝન 2′ ની વિધિવત શરૂઆત છે.

