New Delhi,તા,29
તાજેતરમાં નેધરલેન્ડ દ્વારા ચોલ રાજવંશના 11 મી સદીના ઐતિહાસિક તામ્રપત્રોને ભારત પરત કરવા એ એક ‘સંજીવની’ સમાન સાબિત થયું છે. આ નાની જીતે દેશની અંદર એક નવી આશા જગાડી દીધી છે.
હવે માંગ તેજ થઈ ગઈ છે કે લંડનથી લઈને ન્યૂયોર્ક સુધીના મ્યુઝિયમોમાં બંધ આપણી એ 10 મોટી નિશાનીઓને પરત લાવવામાં આવે, જે આજે પણ પોતાની માટીની સુગંધ માટે તરસતી રહી છે. આવો, જાણીએ એ અમૂલ્ય ખજાનાઓ વિશે જેમનું ભારતની ધરતી પર પરત ફરવાનું હજી બાકી છે….
ઇતિહાસ માત્ર તારીખોનું પોટલું નથી હોતો, પરંતુ તે કોઈ રાષ્ટ્રનાં આત્મા અને તેની ઓળખ હોય છે. પરંતુ ભારત માટે ઇતિહાસનો એક મોટો ભાગ ‘અધૂરો’ છે. સદીઓની ગુલામી દરમિયાન, વિદેશી આક્રમણકારો અને બ્રિટિશ શાસને માત્ર ભારતનું આર્થિક શોષણ જ ન કર્યું, પરંતુ આપણી સાંસ્કૃતિક જડો પર પણ પ્રહાર કર્યો. તેઓ અહીંથી કલા, ધર્મ અને શક્તિનાં એ પ્રતીકોને ઉપાડી ગયા, જે ભારતનાં સ્વાભિમાનનો ભાગ હતા.
ભોજશાલાની એ પ્રતિમા, જેની વાપસી માટે કોર્ટે કમર કસી
મધ્ય પ્રદેશના ધારમાં આવેલ ઐતિહાસિક ભોજશાલા મંદિરની અધિષ્ઠાત્રી દેવી ‘મા વાગ્દેવી’ ની પ્રતિમા આજે લંડનનાં બ્રિટિશ મ્યુઝિયમમાં કેદ છે. 1034 ઈસ્વીની આ પ્રતિમા માત્ર કલાનો બેજોડ નમૂનો નથી, પરંતુ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે.
તાજેતરમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ બાબતમાં કડક વલણ અપનાવ્યું છે અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે રાજદ્વારી રસ્તાઓનો ઉપયોગ કરીને આ પ્રતિમાને પરત લાવવામાં આવે. વાગ્દેવીની ઘર વાપસી માત્ર એક મૂર્તિની વાપસી નહીં, પરંતુ એક પ્રાચીન શિક્ષણ કેન્દ્રનાં પુનત્થાન સમાન હશે.
કોહિનૂર : શ્રાપિત કે સૌભાગ્યશાળી?
એ હીરો જે ભારતની શાન હતો અને દુનિયાનાં સૌથી પ્રખ્યાત અને વિવાદિત હીરા ‘કોહિનૂર’ છે. ‘માઉન્ટેન ઓફ લાઈટ’ એટલે કે પ્રકાશનો પર્વત કહેવાતો આ હીરો ક્યારેક ગોલકુંડાની ખાણોમાંથી નીકળ્યો હતો.
1849 માં જ્યારે અંગ્રેજોએ પંજાબનું વિલીનીકરણ કર્યું, ત્યારે મહારાજા રણજીત સિંહના વારસદાર નાના દલીપ સિંહ પાસેથી તેને ‘ઉપહાર’ ના નામે છીનવી લેવામાં આવ્યો હતો. આજે આ ટાવર ઓફ લંડનમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. જો કે બ્રિટન તેને પોતાનું માને છે, પરંતુ દરેક ભારતીય માટે કોહિનૂરની ખાલી જગ્યા આજે પણ તેમના સાંસ્કૃતિક મુગટમાં ખટકે છે.
મહારાજા રણજીત સિંહનું સુવર્ણ સિંહાસન : પંજાબનાં સિંહની વિરાસત :
શીખ સામ્રાજ્યના સૌથી શક્તિશાળી શાસક મહારાજા રણજીત સિંહનું અષ્ટકોણીય (આઠ ખૂણાવાળું) સુવર્ણ સિંહાસન આજે લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની શોભા વધારી રહ્યું છે.
1820 ના દાયકામાં સોની હાફિઝ મોહમ્મદ મુલ્તાની દ્વારા તૈયાર કરાયેલું આ સિંહાસન સોનાના પતરાથી મઢેલું છે. આ સિંહાસન માત્ર એક ખુરશી નથી, પરંતુ તે સમયની વીરતા અને વૈભવની નિશાની છે જેને અંગ્રેજો લૂંટના માલ તરીકે પોતાની સાથે લઈ ગયા હતા.
સુલ્તાનગંજ બુદ્ધઃ સાડા સાત ફૂટ ઊંચી તાંબાની અલૌકિક ચમક
1862 માં બિહારના સુલ્તાનગંજમાં રેલ્વે લાઇન નાખતી વખતે ખોદકામમાં સાડા સાત ફૂટ ઊંચી બુદ્ધની એક વિશાળ તાંબાની પ્રતિમા મળી હતી. અડધા ટન જેટલું વજન ધરાવતી આ પ્રતિમા ગુપ્ત અને પાલ કાળ વચ્ચેની માનવામાં આવે છે.
બુદ્ધના ચહેરા પર જે શાંતિ અને આભા છે, તે ભારતીય ધાતુ કલાનાં સુવર્ણ યુગની સાક્ષી પૂરે છે. હાલમાં આ બર્મિંગહામ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. તેને ભારત પરત લાવવું એ આપણા બૌદ્ધ વારસાને સન્માન આપવા સમાન હશે.
જેડનો કાચબો : મુઘલ વિલાસિતાનો બેજોડ નમૂનો
પ્રયાગરાજમાં ખોદકામ દરમિયાન મળેલો ‘લીલા જેડ પથ્થરનો કાચબો’ 17 મી સદીની મુઘલ કલાકારીનું એક અદ્ભુત ઉદાહરણ છે. એક જ કિંમતી પથ્થરને કંડારીને બનાવવામાં આવેલો આ કાચબો એટલો જીવંત લાગે છે કે જાણે હમણાં જ ચાલવા માંડશે. આ હાલમાં બ્રિટિશ મ્યુઝિયમમાં છે. મુઘલોના શોખ અને ભારતીય કારીગરોની નિપુણતાનો આ સંગમ ભારતનાં સાંસ્કૃતિક વારસાનો એક અભિન્ન ભાગ છે.
અકોટા ખજાનો : જૈન ધર્મની પ્રાચીન મૂર્તિઓ
ગુજરાતનાં અકોટામાંથી મળેલી 5 મી થી 11 મી સદીની જૈન મૂર્તિઓ ‘અકોટા ખજાના’ તરીકે પ્રખ્યાત છે. જો કે તેનો કેટલોક ભાગ ભારતમાં છે, પરંતુ તેની ઘણી દુર્લભ અને મહત્વપૂર્ણ મૂર્તિઓ દાણચોરી દ્વારા ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ સુધી પહોંચી ગઈ.
આ મૂર્તિઓ પશ્ચિમ ભારતની વિશિષ્ટ કલા શૈલીનું પ્રતિનિધિત કરે છે અને તેને પરત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો ચાલું છે. આ મૂર્તિઓ ગુપ્તકાળ અને ત્યારપછીના કાળની છે. વિશેષ ધાતુ કલા ઃ અકોટામાં મળેલી મોટાભાગની મૂર્તિઓ કાંસાની બનેલી છે.
ટીપુનો યાંત્રિક ટાઇગર : મૈસૂરના સુલતાનની અનોખી ગર્જના
લંડનનાં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવેલો ‘ટીપુનો ટાઇગર’ એક એવું અદ્ભુત રમકડું છે જેને જોઈને આજે પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ લાકડામાંથી બનેલો એક યાંત્રિક વાઘ છે જેને એક બ્રિટિશ સૈનિક પર હુમલો કરતો દર્શાવવામાં આવ્યો છે.
તેની અંદર એક હેન્ડલ લાગેલું છે, જેને ફેરવવાથી વાઘના ઘૂરકિયાં કરવાનો અને સૈનિકની ચીસો પાડવાનો અવાજ આવે છે. આ કલાકૃતિ ટીપુ સુલતાનની અંગ્રેજો પ્રત્યેની નફરત અને તેમના પ્રતિકારનું પ્રતીક હતી. 1799 માં શ્રીરંગપટ્ટનમના પતન પછી અંગdjsજો તેને લૂંટીને લઈ ગયા હતા.
અમરાવતી માર્બલ્સ : પથ્થરો પર કંડારાયેલી બુદ્ધની ગાથા
આંધ્ર પ્રદેશનાં અમરાવતી સ્તૂપમાંથી નીકળેલાં 120 શિલાલેખો અને નકશીકામ કરેલાં પથ્થરોનો સંગ્રહ ‘અમરાવતી માર્બલ્સ’ ના નામે ઓળખાય છે. ઈસા પૂર્વેની પહેલી સદીના આ પથ્થરો બૌદ્ધ ધર્મની જાતક કથાઓ અને તત્કાલીન સમાજની સુંદર ઝાંખી રજૂ કરે છે.
બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા આ પથ્થરો આજે પણ બૂમો પાડી પાડીને પોતાની જડોની યાદ અપાવે છે. આ પથ્થરો દર્શાવે છે કે દક્ષિણ ભારતની કલા શૈલી કેટલી સમૃદ્ધ હતી.
કુલ્લુ વાસ : પ્રાચીન ધાતુ કલાનું બેજોડ વાસણ
હિમાચલ પ્રદેશની કુલ્લુ ખીણમાંથી મળેલું કાંસાનું વાસણ ‘કુલ્લુ વાસ’ ઈસા પૂર્વેની પહેલી સદીનું છે. તેની ચારેય બાજુ એક શાહી સરઘસનું ખૂબ જ સુંદર અને ઝીણવટભર્યું ચિત્ર કંડારવામાં આવ્યું છે. આ પ્રાચીન ભારતની અદ્યતન ધાતુ કલા અને પહાડી સંસ્કૃતિનું અનોખું ઉદાહરણ છે. આ પણ અત્યારે લંડનનાં બ્રિટિશ મ્યુઝિયમની તિજોરીઓમાં બંધ છે.
પદશાહનામા : મુઘલ કાળનો `સુવર્ણ ઇતિહાસ’
મુઘલ બાદશાહ શાહજહાંના શાસનકાળના પ્રથમ 10 વર્ષોનો વિગતવાર હિસાબ ‘પદશાહનામા’ હસ્તપ્રતમાં નોંધાયેલો છે. 1639 માં તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક સોનાના પાણીથી બનેલી પેઇન્ટિંગ્સ અને ઝીણી હસ્તલિપિથી સજ્જ છે.
આજે આ યુનાઇટેડ કિંગડમની રોયલ લાઇબ્રેરી (વિન્ડસર કેસલ) માં છે. આ હસ્તપ્રત ભારતનાં મધ્યકાલીન ઇતિહાસનો એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેને પરત લાવવો આપણા ઇતિહાસ લેખન માટે જરૂરી છે.
`ઘરે પરત લાવવા’ શા માટે જરૂરી છે?
સવાલ એ ઊભો થાય છે કે આખરે આ જૂની વસ્તુઓને પરત લાવવા માટે આટલી જહેમત શા માટે? આનો જવાબ માત્ર ‘કિંમત’ માં નથી, પરંતુ ‘અધિકાર’ અને ‘સન્માન’ માં છે. જ્યારે કોઈ દેશ પોતાનો વારસો ગુમાવે છે, ત્યારે તે પોતાની ઓળખનો એક ભાગ ગુમાવી બેસે છે. તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે રાજદ્વારી સ્તરે જે રીતે દબાણ બનાવ્યું છે, તેના સકારાત્મક પરિણામો દેખાયા છે.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણાં દેશોએ સ્વેચ્છાએ ભારતની ચોરી થયેલી મૂર્તિઓ પરત કરી છે. પરંતુ કોહિનૂર કે વાગ્દેવી જેવી નિશાનીઓની વાપસી એક મોટો કાનૂની અને રાજદ્વારી પડકાર છે.
આ ધરોહરોની વાપસીનો અર્થ માત્ર તેમને મ્યુઝિયમના કાચના બોક્સમાં રાખવાનો નથી, પરંતુ એ ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવાનો છે જેને સમયના તોફાન અને ગુલામીએ આપણી પાસેથી છીનવી લીધું હતું. ચોલ તામ્રપત્રોની વાપસીએ જે રસ્તો બતાવ્યો છે, આશા છે કે એક દિવસ કોહિનૂરની ચમક પણ પોતાની જ ધરતી પર ફરી વરસેશે.

