Aravalli,તા.૧૨
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અનેક ગેરકાયદેસર બાંધકામો અને ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યાં છે. આ જ રીતે ગત મોડી રાત્રે અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિર ખાતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા મોટો હોબાળો થયો હતો. લોકોને ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચી ગયા હતા. જોકે, તાત્કાલિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચતાં મામલો થાળે પડ્યો હતો.
મોડાસાના માલપુર ચાર રસ્તા પાસે લોકોના આસ્થાનું પ્રતીક સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે લોકોને નડતરરૂપ હોવાથી તેને તોડી પાડી લોકો માટે રસ્તો ખુલ્લો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે ગત મોડી રાત્રે (૧૧ મે)એ રોકડિયા હનુમાન મંદિરની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંગેની જાણ લોકોને થતાં તેઓની લાગણી દુભાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચી ગયા હતા.
લોકોના આસ્થાનું કેન્દ્ર એવા રોકડિયા હનુમાન મંદિરને તોડી પાડવાના સમાચાર મળતાં જ મોડી રાત્રે મોટી સંખ્યામાં ભક્તો અને ધાર્મિક સંગઠનોના કાર્યકરો મંદિર પરિસરે પહોંચી ગયા હતા, જેના પગલે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. જોકે, પરિસ્થિતિ વણસે તે પહેલાં જ મોડાસા ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર મોકલી દેવામાં આવ્યો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર મામલે અરવલ્લીના ડીવાય એસપી જે.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણો હટાવવાના આદેશના પગલે પોલીસ દ્વારા લોકોને સમજાવી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, બીજી તરફ લોકોએ કાયદા અને કોર્ટનું સન્માન કરી પોતાની રીતે જ દબાણ હટાવવાનું શરૂ કરી દીધું હતું અને વહીવટી તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. મોડાસામાં કુલ ૩ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવવાના છે. જે બાબતે ત્રણેય ધાર્મિક મંદિરોના આગેવાનો સાથે વાત કરી તેઓએ સ્વેચ્છાએ જાતે દબાણ હટાવવાની બાંહેધરી આપી છે.

