તબીબોની બેદરકારી સામે પરિવારમાં રોષ
જીજ્ઞેશ પટેલ Manavadar તા.૧૨
સામાન્ય રીતે ડોક્ટરને સમાજમાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદર તાલુકાના લીંબુડા ગામના વૃદ્ધા પ્રભાબેન ભૂપતભાઈ મોરી ભગંદરનું સામાન્ય ઓપરેશન કરાવવા પોતાના પગે ચાલીને હોસ્પિટલ ગયા હતા, પરંતુ કમરમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તેઓ કાયમી માટે પથારીવશ થઈ ગયા છે. તબીબી બેદરકારીના કારણે દર્દીનો છાતીથી નીચેનો ભાગ કાયમી પેરાલાઇડ થઈ ગયો હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ જવાબદાર તબીબો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢ મનપા આરોગ્ય વિભાગ સહિત મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે.
લીંબુડાના પ્રભાબેન જૂનાગઢની યુનિક હોસ્પિટલમાં ડોક્ટર દિવ્યાંગ પટેલ પાસે સારવાર અર્થે આવ્યા હતા. ઓપરેશન પહેલાંના તમામ પ્રાથમિક મેડિકલ રિપોર્ટ સંપૂર્ણ નોર્મલ આવ્યા હતા. દર્દીના જણાવ્યા અનુસાર, ઓપરેશન થિયેટરમાં કમરમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપતી વખતે તેઓ ચીસો પાડી ઉઠ્યા હતા અને થોડી જ વારમાં છાતીથી નીચેનો આખો ભાગ નિષ્ક્રિય થઈ ગયો હતો. સ્થિતિ વધુ વણસતાં તેમને તાત્કાલિક જૂનાગઢની ત્રિમૂર્તિ આઈ.સી.યુ. અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સાર્થક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પીડિતાના પતિ ભૂપતભાઈ અને ભાણેજ પરસોતમભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧૧ લાખ રૂપિયાનો મોટો ખર્ચ કરવા છતાં દર્દીની હાલતમાં કોઈ જ સુધારો થયો નથી. એક ઇન્જેક્શન રૂ. ૨૨,૦૦૦ નું આવે તેવા ૨૨ જેટલા લોહી શુદ્ધિકરણ અને પ્લામાના ઇન્જેક્શન આપવા છતાં પરિસ્થિતિ ગંભીર રહી છે. પરિવારનો દાવો છે કે પોતાની ભૂલ સમજાતાં જ તબીબોએ ઓપરેશન કે સારવારનો કોઈ ચાર્જ લીધો નહોતો. પીડિત વૃદ્ધાએ નરક જેવી જિંદગી જીવવાની અસહ્ય પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘‘હું અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છું અને જો મારું મૃત્યુ થશે તો તેના જવાબદાર પણ આ ડોક્ટરો જ રહેશે.‘‘
બીજી તરફ, યુનિક હોસ્પિટલના ડો. દિવ્યાંગ પટેલે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે, ક્વાલિફાઇડ એનેસ્થેટિસ્ટ દ્વારા નિયમ મુજબ સ્પાઇનલ એનેસ્થેસિયા આપી ઓપરેશન સફળતાપૂર્વક કરાયું હતું. પરંતુ રિકવરી રૂમમાં એનેસ્થેસિયાની અસર ધાર્યા મુજબ ઓછી ન થતાં એમ.આર.આઈ. કરાવવામાં આવ્યો હતો. એમ.આર.આઈ. રિપોર્ટ મુજબ આ સ્થિતિ કોઈ દવાની ગંભીર એલર્જી કે શારીરિક પ્રતિક્રિયા હોઈ શકે છે. જ્યારે એનેસ્થેસિયા આપનાર ડો. દેવેન ગોહિલે જણાવ્યું હતું કે, મેડિકલ સાયન્સમાં આ અત્યંત દુર્લભ અને જૂજ કિસ્સાઓમાં બનતી ઘટના છે. તેમણે દર્દીની સ્થિતિ સુધારવા રાજકોટ સુધી જઈને પણ જરૂરી તબીબી સહયોગ આપ્યો હતો.
