Ahmedabadતા.૭
શહેરમાં ગરમીની મોસમ તેમજ ભેળસેળયુક્ત અને જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા ખાદ્યપદાર્થોનાં ધૂમ વેચાણને પગલે તથા પ્રદૂષિત પાણીનાં કારણે ઝાડા ઊલટી, ટાઇફોઇડ જેવા રોગચાળામાં વધારો નોંધાયો છે, પરંતુ મ્યુનિ. હેલ્થ ખાતાનાં ચોપડે કોઇ અકળ કારણોસર ઓછા કેસ નોંધાઇ રહ્યાં છે.
શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ખાણીપીણીનો ધંધામાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. જ્યાં જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ, ફાસ્ટફૂડની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, આ સિવાય ખાણીપીણીની ચીજવસ્તુઓનાં ઉત્પાદકો પણ વધ્યા છે. પરંતુ ખાણીપીણીની ચીજવસ્તુ વેચનારા કેટલાય ધંધાર્થીઓ હલકી ગુણવત્તાનાં ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરતાં હોવાથી તેમજ સ્વચ્છતા અને અન્ય નિયમોનું પાલન નહિ કરતાં હોવાથી નાગરિકોને વિવિધ પ્રકારની બિમારીનો ભોગ બનવું પડી રહ્યું છે.
શહેરમાં પ્રદૂષિત પાણીનાં કારણે પણ નાગરિકોને ઝાડા ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાનો રોગચાળો ફેલાય છે. મ્યુનિ. ફૂડ વિભાગ તેમજ ઝોન-વોર્ડનું ઇજનેર વિભાગ આ બન્ને પ્રકારની સમસ્યા ડામવામાં નિષ્ફળ નિવડ્યાં છે. મ્યુનિ.નાં અર્બન હેલ્થ સેન્ટરો તેમજ ખાનગી દવાખાનાઓમાં લોકો ઝાડા ઊલટી, કમળો, ટાઇફોઇડની સારવાર લેતાં હોવા છતાં મ્યુનિ. હેલ્થ ખાતાનાં ચોપડે છેલ્લા પાંચ દિવસમાં ખાણીપાણીજન્ય ગણાતાં રોગચાળાનાં ફક્ત ૧૩૦ જેટલાં જ કેસ નોંધાયા છે. તેની સામે તાજેતરમાં જ પિકનિક હાઉસ, ગર્લ્સ હોસ્ટેલ વગેરે જગ્યાએ જ ઝાડા ઊલટીનાં ૧૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.
આ સિવાય ગરમીની મોસમ ચાલુ હોવાથી મેલેરિયા અને ઝેરી મેલેરિયા ફેલાવતાં મચ્છરની ઉત્પત્તિ ઉપર અંકુશ આવ્યો છે, પરંતુ ડેન્ગ્યુ ફેલાવતાં મચ્છરની ઉત્પત્તિ હજુ સુધી અંકુશમાં નહિ આવતાં ડેન્ગ્યુનાં કેસ નોંધાઇ રહ્યાં છે અને ડેન્ગ્યુની શંકાથી મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરોમાં જ ૬૪૦ સીરમ સેમ્પલ લેવાયા હતા. તેવી જ રીતે અર્બન હેલ્થ સેન્ટરોમાં તાવની ફરિયાદ લઇ આવનારા લોકોનાં લોહીનાં નમૂના લઇ તપાસાય છે, આ પ્રક્રિયા અંતર્ગત છેલ્લા પાંચ દિવસમાં ૧૬-૧૭ હજાર લોહીનાં નમૂના લેવાયા છે. આ જોતાં શહેરમાં તાવનાં અને ડેન્ગ્યુનાં કેટલા કેસ તે ચોક્કસ કહી શકાય તેમ નથી.
ગરમીની મોસમમાં પણ ડેન્ગ્યુનાં કેસ વધ્યા : ૬૪૦ સીરમ સેમ્પલ લેવાયા
૫ દિવસનાં રોગચાળાનાં આંકડા જોઇએ તો ઝાડા ઊલટી ૧૦૬, ટાઇફોઇડ ૨૨,કમળો ૦૬,ડેન્ગ્યુ ૦૨
શહેરનાં વિવિધ વિસ્તારોમાં પીવાનાં પાણીમાં ગટરનાં પાણી અને અન્ય અશુધ્ધિ ભળી જવાનાં કારણે પાણીજન્ય રોગચાળાનો સતત ભય હોય તેવા ૨૬ વિસ્તારોને હાઇરિસ્ક એરિયા જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ગટર ચોકઅપ થઇ જવાની, પાણી લિકેજની અને પીવાનાં પાણીમાં પોલ્યુશનની(પ્રદુષિત પાણીની) ફરિયાદો યથાવત નોંધાઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરનાં સાત ઝોનમાં અનેક વિસ્તારોમાં ગટર લાઇનો અને મેનહોલ ચોકઅપ થઇ જવાની ફરિયાદો તો કાયમી હોય છે. જેનાં ઉકેલ માટે કહેવાતી મંડળીઓ ઉપરાંત જેટીંગ, સુપરસકર મશીનોનાં કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચૂકવાય છે. આ સિવાય મોટી લાઇનો સાફ કરવા માટે તો કરોડો રૂપિયા અલગથી ચૂકવાય છે. તેમ છતાં મોટાભાગનાં વિસ્તારોમાં સમયાંતરે ગટર બેક મારવાની સમસ્યા ઉભી થતી રહે છે, તેનુ કારણ કમિશનર પણ જાણી શક્યા નથી.

