Gandhinagar તા.20
ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા તા. 01 જુલાઈ, 2004થી ખેતી વિષયક વીજળી પરનો વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.
વધુમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનજીર્ને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી.
આ ઉપરાંત `નો પ્રોફિટ’ના ધોરણે ચાલતી હોસ્પિટલો, દવાખાનાઓ, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોટીફાઇડ એરિયા અને કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા સંચાલિત પબ્લિક સ્ટ્રીટ લાઈટ, પબ્લિક વોટર વર્ક્સ, પબ્લિક ગાર્ડન, ઝૂ, પબ્લિક મ્યુઝિયમ, પબ્લિક ડ્રેનેજ અને ગટર માટે થતો વીજ વપરાશ જેવી સેવાઓને વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, SEZમાં સ્થપાનાર નવા ઔદ્યોગિક એકમોને પ્રથમ 10 વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે છે. નવા સ્થપાતા અને ઉત્પાદન કરતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ 5 વર્ષ સુધી વીજ કરમાં વિશેષ રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત ટુરિઝમ પોલીસી અંતર્ગત મંજુર થયેલા ટુરિઝમ એકમોને પ્રથમ પાંચ વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ સહત આપવામાં આવે છે.
નાણા મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ ખેડૂતો અને પ્રજાજનોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
જે અંતર્ગત રહેણાંક વિસ્તારમાં વર્ષ 1983થી અમલી વીજકરમાં ઉત્તરોત્તર ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2012થી ગ્રામીણ રહેણાંક વિસ્તારોમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 15 ટકા વીજ કર વસૂલ કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

