હાટકેશ્વર એ શિવનું જ એક સ્વરૂપ છે, અને અમારા નાગરનાં ઇષ્ટદેવ છે, તો તે નિમિત્તે હાટકેશ્વર દાદાના ચરણોમાં સમસ્ત નાત તરફથી કોટી કોટી વંદન, અને નાગરોને વિચારવાન બનાવી સદા ગર એટલે કે વેરઝેર મુક્ત રાખવાં માર્ગદર્શન કરતાં રહે એવી એક પ્રાર્થના. જન્મથી કોઈ વરણ નક્કી નથી થતું! એ વાત સાથે પૂર્ણ પણે સમર્થન છે! પરંતુ સમયની માંગ છે, કે હવે વૈશ્વિક રીતે વસુધૈવ કુટુંબની ભાવના માટે મનમાંથી ઝેર અથવા તો મેલને કાઢીને જીવીશું તો જ શાંતિ મળશે! અને એટલે ખુદ નાગરો એ પણ પોતાનાં વાસ્તવિક ગુણોનું દર્શન કરી ગુણ કેળવવા પડશે! નહીં તો વળી કોઈક નરસિંહને સતાવ્યાની હાય લાગશે ! અને એ વેદનાં અસહ્ય થશે.
હાટકેશ્વરનું મુખ્ય મંદિર વડનગરમાં આવેલું છે, અને બાકી તો જ્યાં જ્યાં નાગરો વસ્યા છે, ત્યાં બધે જ હવે હાટકેશ્વરનાં મંદિર છે. નાગર એટલે આમ તો જે નગરમાં વસે છે તે,અને જે શિક્ષિત છે. જે ગુજરાતમાં વિક્રમ સંવતની ત્રીજી સદીથી વસેલા છે, તેઓ હાટકેશ્વરની સ્થાપના પહેલાં કોઈ મંદિર વગેરેમાં જતાં એવું જાણવાં મળ્યું નથી, તેઓ વૈદિક પૂજા જ સ્વીકારતા હતાં. ગુજરાતનાં સામાજિક આર્થિક વિકાસમાં તેમની બુદ્ધિ પ્રતિભાઓનું ખૂબ જ મોટું યોગદાન છે. નાગરોની બુદ્ધિ પ્રતિભા અત્યંત તેજસ્વી રહી, અને તેઓને સમાજે સદા વિચારવાન પ્રજા તરીકે બિરદાવ્યા છે. એ રીતે પોતાની બૌદ્ધિક વિશેષતાને કારણે તેઓ રાજાઓના દિવાન પદ શોભાવતાં હતાં, તેમજ સમાજનાં મોભાદાર હોદ્દાઓ પર નાગરોનું અધિપત્ય હતું. રાજા પોતાનાં રાજ વહીવટ માટે 70 થી 80 ટકા દિવાન પર આધારિત રહેતાં, અતિ સૂક્ષ્મ અને છતાં સમાજનાં શુભનું સંચાલન નાગરો કરતાં હતાં. પરંતુ પદ પ્રતિષ્ઠાનો પણ અહંકાર બહુ ભારે પડે, એમ નાગરી નાતનું એક માફ કરી શકાય નહીં, એવું પાસું પણ ઈતિહાસના પાને લખાયેલું છે, અને એ છે નાગર નરસિંહને નાત દ્વારા એનાં સમયમાં સતાવવામાં આવ્યાં હતાં તે. આપણે જ્યારે તેને બિરદાવવાની વાત કરતા હોય, ત્યારે નાગર સમાજની ભૂલને અંધારામાં રાખી શકાય નહીં. પરંતુ જે વિતી ગઈ એ પળ હરિ ઈચ્છા બલવાન સમજીને સ્વીકારવી પડે.
નાગરો માટે ચૌદસને દિવસે ઇષ્ટદેવની જયંતિનું ખૂબ મહત્વ છે. હાટકેશ્વર જયંતિ આવતી હોવાથી પાટોત્સવમાં બધાને મળાશે એવું વિચારીને નાગરો ખૂબ રાજી થાય,કારણ પાંચ ‘પ’ એટલે કે, પાન, પાટલા, પીતાંબર, પાટિયું,ને પંચાત, આ પાંચ પ સાથે તેનું જન્મથી અનુસંધાન હોય. કોઈ લોકો “પ” સાથે પરસાળ ને જોડે છે, તો કોઈ પંચિયુ પણ કહે છે, કોઈ “પ” સાથે પૂજાને જોડે છે. પૂજા પાઠ નાગરનાં ઘરમાં થતો એક અભુતપૂર્વ પ્રયોગ છે, આખાં આખાં સ્તોત્ર ગાનનાં પાઠ એમને કંઠસ્થ હોય, શિવમહિમ્ન ને શક્રાદય જેવી અઘરી સ્તુતિ નાગરના બાળકો આસાનીથી બોલતાં હોય છે.આજે પણ હાટકેશ્વર જયંતિ નિમિત્તે દરેક શહેરોમાં જ્યાં હાટકેશ્વરનું મંદિર હોય ત્યાં પાટોત્સવ ઊજવવામાં આવે છે. સવારે વિધિવત રીતે ભગવાનની પાલખી યાત્રા નીકળે, અને સાંજે શ્રીખંડ પૂરીનું નાત જમણ થાય છે.
નાગરોનો ઇતિહાસ જુદીજુદી માન્યતાઓ ધરાવે છે, કોઈ કહે છે કે ઉત્તર ભારતમાંથી એટલે કે કાશ્મીર બાજુથી આવેલા છે, જ્યારે કોઈ ગ્રીક અને દ્રવીડ સંસ્કૃતિ ધરાવતી પ્રજા તરીકે નાગરને બતાવવામાં આવે છે. આજથી સાડા છ હજાર વર્ષ પૂર્વે સૌથી પહેલો સંસ્કૃત ભાષામાં પારંગત માનવ, નાગર તરીકે બતાવવા આવેલો છે. એટલે ટૂંકમાં નાગર એટલે ગવાર નહીં, પરંતુ નિતનૂતન વિચારધારાનો પ્રતીક એટલે નાગર, એવો અર્થ પૂજ્ય બાપુએ પણ નાગર માટે કરેલ છે. તુલસીકૃત રામાયણમાં પણ નાગર શબ્દનો પ્રયોગ બે ત્રણ વાર થયો છે. આમ તો ભગવાન આશુતોષ મહાદેવ શંભુ અજન્મા છે, એટલે તેના જન્મનું કોઈ કારણ પુરાણમાં પણ મળતું નથી. પરંતુ લિંગ રૂપે તેની વડનગરમાં સ્થાપનાનાં દિવસને પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, અને તેથી આપણે ત્યાં વડનગરા, વિસનગરા, પ્રશ્નોરા,સાઠોદરા, ડુંગરપુરા, ચિત્રોડા, કૃષ્નમોરા, એમ સાત પ્રકારનાં નાગરો આ દિવસે પોતાના ઈષ્ટદેવ હાટકેશ્વરનો પાટોત્સવ મનાવે છે. આપણાં લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પણ વડનગરનાં રહેવાસી છે, એથી જ એકવાર ચૈત્ર સુદ ચૌદસનાં દિવસે ક્યાંક બહારનાં દેશમાંથી એમણે જય હાટકેશ એવું સંબોધન કર્યું હતું. હાટકેશ્વર જયંતિ નિમિત્તે આપણને પુરાણનાં પ્રમાણ પણ મળે છે.
સ્કંદપુરાણનાં નાગર ખંડમાં ઉલ્લેખ થયાં મુજબ હાટકેશ્વરની સ્થાપના વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના નાગરે કરી હતી. કહેવાય છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી એ પોતાની જાતને હોમી દીધી હતી, અને ભગવાન શંકર અત્યંત ક્રોધાયમાન અવસ્થામાં સતીના શબને પોતાનાં ખભા પર લઈને આમથી તેમ ફરતાં હતાં, અને પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો.અને શંકરની દિગંબર અવસ્થાથી સમાજ પરેશાન હતો.તે સમયની જે ઋષિ પત્નીઓ તેની ભોળા ભાવે ભક્તિ કરતી હતી,તેને આમ ફરતા જોઈને ઋષિઓ સંકોચ અનુભવતા હતા, એટલે બ્રહ્માજી એ શંકરનાં લીંગને પાતાળમાં સ્થાપી દીધું,શંકરને ભાન આવતાં તે શરમીંદા થઈને સમાધિમાં ચાલ્યા ગયાં, બાદમાં સતી હિમાચલ રાજને ઘેર પુત્રી તરીકે જન્મી ચુક્યા છે,એ વાત સપ્તર્ષિ એ તેમને કરી. સત્તરમી સદીમાં ચિત્રગુપ્ત નામનાં નાગરે ભગવાન ભોળાનાથની ખૂબ જ આકરી તપશ્ચર્યા કરી, અને ભગવાન તેને પ્રસન્ન થયાં, એટલે તેમણે કહ્યું કે તું “હાટક” એટલે કે સોનાનું લિંગ બનાવી અને મારી સ્થાપના કર તો હું અવશ્ય તેમાં પ્રત્યક્ષરૂપે બિરાજમાન થઈશ. હાટક એટલે સોનાથી મઢેલા લિંગની સ્થાપના કરી, અને એ દિવસે ભગવાન આશુતોષ મહાદેવ તેમાં હાજરા હજૂર પ્રગટ થયાં, એ દિવસ એટલે ચૈત્ર સુદ ચૌદસ અને એ દિવસથી નાગરોના ઈષ્ટદેવ તરીકે હાટકેશ્વરને પૂજવામાં આવે છે, અને એ દિવસે તેનો પાટોત્સવ મનાવવામાં આવે છે.
વડનગરનું હાટકેશ્વરનું મંદિર આશરે 17 મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલું હતું, એટલે કે 1800 થી 2000 વર્ષ જૂનું છે અને કહેવાય છે નાગરાજ હરિરામ નાઇકનુ ત્યારે શાસન હતું, અને તેના દ્વારા મંદિરની રચના કરવામાં આવી હતી. વડનગરનાં હાટકેશ્વર મંદિરનું સ્થાપત્ય અને કલા કોતરણી પણ અદભૂત છે, જોનારને મંત્રમુગ્ધ કરી દે એ રીતે નવગ્રહ,અને હિન્દૂ દેવી દેવતાઓંની મૂર્તિ, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, રામાયણ અને મહાભારતના પ્રેરક પ્રસંગોના શિલ્પ, તેમજ પ્રાણીઓ અને પક્ષીઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. પુરાતન વિભાગ દ્વારા સિદ્ધ થયેલ હેરિટેજ સ્થાપત્યમાં વડનગરનાં હાટકેશ્વર મંદિર તેમજ ત્યાંની વાવનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આ ઉપરાંત મંદિરનાં પટાંગણમાં મુખ્ય મંદિર સિવાયનાં અન્ય મંદિરો પણ છે, જેમાં કાશી વિશ્વનાથનું મંદિર વધુ પૌરાણિક છે.આ ઉપરાંત દાનેશ્વર, રવેશ્વર, તારકેશ્વર, મુક્તેશ્વર ચમકેશ્વર,પાતાળેશ્વર,જાકેશ્વર, પંચનાથ મહાદેવ,અને અંબાજીના મંદિર વિદ્યમાન છે. તો “નાગરો” કે જે હવે માત્ર નગરમાં રહે છે,પણ ગર મુક્તની ઉપમા ભૂલતા જાય છે, ત્યારે આ છે આપણા ઇષ્ટદેવ હાટકેશ્વરનો મહિમાવંત ઈતિહાસ. નાગરો હાટકેશ્વર સ્તોત્રનો નિત્ય પાઠ પણ કરે છે, જે સ્વયં સુસંસ્કૃત છે, અને જેના પર દરેક નાગર ગૃહસ્થને નાઝ છે, અને જન્મોજન્મ એ ભોળા મહાદેવ અને મા અંબાની ભક્તિ ભાવમાં જ જીવવા માગે છે.આશા રાખુ છું આપ સૌને આ લેખ પસંદ આવ્યો હશે, સૌને મારા જય હાટકેશ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

