વૈભવ સૂર્યવંશીએ ફેન્સને કર્યા નિરાશ, સુપર ઓવરમાં શ્રીલંકાના ખેલાડીઓ સાથે બાખડી પડ્યો વૈભવ
Dambulla, તા.૧૫
દાંબુલાના રાંગિરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટ્રાય-સિરીઝની ચોથી મેચમાં ક્રિકેટ ફેન્સને રોમાંચની સાથે-સાથે જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભારત છ અને શ્રીલંકા છ વચ્ચે રમાયેલો આ મુકાબલો છેલ્લી ઘડી સુધી એટલો વિવાદાસ્પદ રહ્યો કે મેદાન પર ખેલાડીઓ અને અમ્પાયરો સામસામે આવી ગયા હતા. અંતમાં, સુપર ઓવર સુધી ખેંચાયેલી આ મેચમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. મેચની છેલ્લી ઓવરથી શરૂ થયેલો વિવાદ મેચ પૂરી થઈ ત્યાં સુધી ચાલુ રહ્યો હતો.
આ રોમાંચક ડ્રામાની શરૂઆત મેચના છેલ્લા બોલે થઈ હતી. મેચ જીતવા માટે શ્રીલંકાને અંતિમ બોલ પર ૨ રનની જરૂર હતી, પરંતુ ક્રિઝ પર હાજર બેટર સી ગુણસેકરા માત્ર સિંગલ જ લઈ શક્યો હતો. બીજા રનનો પ્રયાસ કરતી વખતે ગુણસેકરા રન આઉટ થઈ ગયો અને સ્કોર બરાબર થઈ જતાં મેચ ટાઈ થઈ ગઈ હતી.
નિયમો અનુસાર, જો મેદાન પર પૂરતી પ્રકાશ હોય તો જ સુપર ઓવર કરાવી શકાય. ગુણસેકરા રન આઉટ થતાંની સાથે જ ભારતીય કેપ્ટન તિલક વર્મા અને મેદાની અમ્પાયર વચ્ચે જોરદાર ચર્ચા અને દલીલો શરૂ થઈ ગઈ હતી. બ્રોડકાસ્ટરે સ્ક્રીન પર પહેલા મેચ ટાઈ થઈ હોવાનું બતાવ્યું હતું. ટીવી સ્ક્રીન પર સતત તિલક વર્મા અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરતા દેખાઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તિલક વર્મા ટાઈનો સ્વીકાર કરવા તૈયાર નહોતો અને સુપર ઓવરની માંગ કરી રહ્યો હતો.
વિવાદ બાદ થર્ડ અમ્પાયરે હસ્તક્ષેપ કર્યો અને નિર્ણય આપ્યો કે આ મેચનો ફેંસલો સુપર ઓવર દ્વારા જ કરવામાં આવશે. નિયમ મુજબ શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાની હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ મેચ પૂરી થઈ ગઈ હોવાનું સમજીને મેદાનની બહાર ડ્રેસિંગ રૂમ તરફ જઈ ચૂક્યા હતા, જેથી તેઓ ઉતાવળે ફિલ્ડિંગ માટે પાછા આવ્યા હતા. જો કે, સામે પક્ષે શ્રીલંકાના બેટર્સે પણ મેદાન પર આવવામાં ઘણો સમય લીધો હતો.
મેચમાં ડ્રામા આટલેથી જ અટક્યો નહોતો. સુપર ઓવરમાં શ્રીલંકાની બેટિંગ દરમિયાન ફરી એક નવો વિવાદ ઊભો થયો. શ્રીલંકાની સુપર ઓવરની છેલ્લી લીગલ ડિલિવરી ફેંકાય તે પહેલાં એ સવાલ ઊભો થયો કે સુપર ઓવરનો છઠ્ઠો બોલ નો-બોલ છે કે નહીં. થર્ડ અમ્પાયરે લાંબા રિવ્યુ બાદ આખરે તેને નો-બોલ જાહેર કર્યો હતો. આ નિર્ણય દરમિયાન પણ કેપ્ટન તિલક વર્મા કોઈ બાબતને લઈને મેદાની અમ્પાયર સાથે બાખડતો જોવા મળ્યો હતો.
જ્યારે શ્રીલંકાની બેટિંગ પૂરી થઈ અને ટાર્ગેટ સ્પષ્ટ થઈ ગયો કે ભારતને જીતવા માટે સુપર ઓવરમાં ૧૭ રન બનાવવાના છે, ત્યારે કેપ્ટન તિલક વર્મા અમ્પાયર સામે મેદાન પરની ખરાબ લાઈટને લઈને ફરિયાદ કરતો જોવા મળ્યો. ભારતીય કેપ્ટનની ફરિયાદ બાદ અમ્પાયરે ખિસ્સામાંથી લાઈટ મીટર બહાર કાઢ્યું અને મેદાન પર પ્રકાશની સ્થિતિ ચેક કરી હતી. આ તમામ વિવાદો વચ્ચે અંતે ભારતીય ઓપનર્સ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતર્યા હતા.
ભારત તરફથી સુયંશે સ્ટ્રાઈક લીધી અને વૈભવ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભો રહ્યો હતો. મેદાન પર લાઈટ ઘણી ઓછી હોવાના કારણે ભારતીય બેટર્સને બોલ જોવામાં અને શોટ્સ રમવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી, જેના પરિણામે શરૂઆતના પ્રથમ ૩ બોલ પર ભારત માત્ર ૩ રન જ બનાવી શક્યું હતું.
અંતિમ ૩ બોલ પર જ્યારે ભારતને જીતવા માટે ૧૪ રનની જરૂર હતી ત્યારે સ્ટ્રાઈક વૈભવ પાસે હતી. વૈભવે ચોથા બોલ પર બે રન લીધા અને ત્યારબાદ પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. છઠ્ઠા બોલે વૈભવ એક પણ રન ફટકારી શક્યો નહીં અને શ્રીલંકાની જીત થઈ.
શ્રીલંકા છની આ જીત થતાંની સાથે જ તેમના ખેલાડીઓ મેદાન પર જોરશોરથી વિજય ઉત્સવ મનાવવા લાગ્યા હતા. આ જશ્ન દરમિયાન શ્રીલંકાના એક ફિલ્ડરે કથિત રીતે કોઈ ટિપ્પણી કરી, જેનાથી વૈભવ સૂર્યવંશી અત્યંત નારાજ થઈ ગયો હતો. વૈભવ અને તે શ્રીલંકન ફિલ્ડર વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું અને બંને એકબીજાની બિલકુલ નજીક આવી ગયા હતા. પરિસ્થિતિ બગડતી જોઈને સૂર્યાંશ શેડગે દોડીને આવ્યો અને વૈભવને પાછળ તરફ ખેંચી ગયો હતો. જો કે, વૈભવ એટલો ગુસ્સામાં હતો કે તે મેદાન છોડવાના મૂડમાં બિલકુલ નહોતો. લાંબા હાઈ-ડ્રામા બાદ આખરે બંને ટીમના ખેલાડીઓએ પરસ્પાર ગરમજોશીથી હાથ મિલાવ્યા અને મામલો થાળે પડ્યો હતો.

