Mumbai,તા.16
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો મંજૂર કરવામાં આવ્યા છે. એડિનબર્ગમાં આયોજિત બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ રમતને દર્શકો અને ખેલાડીઓ માટે વધુ રોમાંચક બનાવવાનો છે. ICCના જણાવ્યા અનુસાર ‘આ ફેરફારોનો ઉદ્દેશ્ય ટૂર્નામેન્ટની દરેક મેચને વધુ સ્પર્ધાત્મક, વધુ અર્થપૂર્ણ અને વધુ રોમાંચક બનાવવાનો છે’. આ નવા નિયમો લાગુ થવાથી શરૂઆતની મેચોથી લઈને ફાઈનલ સુધી દરેક મુકાબલાનું મહત્વ અને રોમાંચ ખૂબ વધી જશે.
નવા ફોર્મેટ હેઠળ વનડે વર્લ્ડ કપમાં પહેલાની જેમ 14 ટીમો જ ભાગ લેશે પરંતુ હવે આખી રમત 3 અલગ-અલગ તબક્કામાં રમાશે.
1… પ્રથમ તબક્કામાં ટૂર્નામેન્ટની શરૂઆતમાં આઈસીસી રેન્કિંગમાં 12, 13 અને 14મા ક્રમે રહેલી ટીમો વચ્ચે ‘સુપર સિરીઝ’ રમાશે અને આ ત્રણમાંથી ટોચ પર રહેનારી માત્ર 1 ટીમ જ આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવશે.
2… બીજા તબક્કામાં 12 ટીમોને 6-6ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે અને બંને ગ્રુપની ટોચની 3-3 ટીમો તેમજ અન્ય 1 સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ મળીને કુલ 7 ટીમો આગળના રાઉન્ડમાં પહોંચશે.
3… ટૂર્નામેન્ટના ત્રીજો તબક્કા સૌથી મોટો ફેરફાર કરાયો છે, જેમાં સુપર-7માં પહોંચેલી સાતેય ટીમો એકબીજા વિરુદ્ધ ‘રાઉન્ડ રોબિન મુકાબલો’ રમશે. આ રાઉન્ડમાં તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે અને પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવનારી 4 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. સેમીફાઈનલમાં પહેલા નંબરની ટીમ ચોથા નંબરની ટીમ સામે અને બીજા નંબરની ટીમ ત્રીજા નંબરની ટીમ સામે રમશે અને આ બંને મેચની વિજેતા ટીમો ફાઈનલમાં ટકરાશે.
ટી20 વર્લ્ડ કપમાં પણ મોટો બદલાવ કરીને સુપર-8 ની જગ્યાએ હવે ‘સુપર-10’ લાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 4-4 ટીમોના 5 ગ્રુપ બનાવવામાં આવશે અને દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો આગળના રાઉન્ડમાં જશે. બીજા તબક્કામાં આ 10 ટીમોને 5-5ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે જેથી ઉભરતી અને નાની ટીમોને પણ રમવાની વધુ તકો મળી શકે.
નવા નિયમ મુજબ સુપર-10ના બંને ગ્રુપની ટોચની 1-1 ટીમ સીધી સેમીફાઈનલમાં પહોંચી જશે. બાકીની બે સેમીફાઈનલ સીટ માટે રસપ્રદ લડાઈ થશે જેમાં એક ગ્રુપની બીજા નંબરની ટીમ બીજા ગ્રુપની ત્રીજા નંબરની ટીમ સાથે ‘એલિમિનેટર’ મેચ રમશે. આ બંને એલિમિનેટર મેચો જીતનારી ટીમો સેમીફાઈનલની બાકીની બે જગ્યાઓ મેળવશે.
વર્ષ 2028ના વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડ સીધું યુરોપ રીજનલ ફાઈનલમાં પ્રવેશ મેળવશે. બાકીની ટીમો ગ્લોબલ ક્વોલિફાયર રમશે જેમાં આફ્રિકા, એશિયા અને યુરોપની ટીમો ભાગ લેશે. ગ્લોબલ ક્વોલિફાયરમાં સારું પ્રદર્શન કરનારી અને આઈસીસીના ન્યૂનતમ પ્રદર્શનના ધોરણો પૂરા કરનારી ટીમો જ વર્લ્ડ કપની ટિકિટ મેળવી શકશે.
નાના અને એસોસિએટ દેશોને પ્રોત્સાહન આપવા માટે આઈસીસી 16 ટીમોની નવી ગ્લોબલ ટી20 ટૂર્નામેન્ટ શરૂ કરવા વિચારી રહી છે. આ ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ પહેલા રમાશે જેથી નાના દેશોને મોટી મેચો રમવાનો સારો અનુભવ મળે. જોકે આ યોજનાને અંતિમ મંજૂરી નવેમ્બરમાં મળનારી નાણાકીય સમિતિની સમીક્ષા બાદ આપવામાં આવશે.

