Mumbai,તા.16
જાણિતા સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજની વિવાદિત ફિલ્મ સતલુજનું સેન્સર સર્ટિફિકેટ વગર જ સ્ક્રીનિંગ કરી દેવામાં આવ્યું છે. એવામાં ગમે ત્યારે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર આ ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા આદેશ આપી શકે છે. આ સાથે જ ફિલ્મને સર્ટિફિકેટ વગર જ સ્ટ્રીમ કરનાર ઇંટરમીડિયરી એટલે કે ઝી-૫ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી હોવાના અહેવાલો છે. ઓટીટી પર ફિલ્મો કે કોન્ટેન્ટ સ્ટ્રીમ કરતા પહેલા સીબીએફસી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ લેવુ ફરજિયાત કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે જે માટે આઇટી નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દિલજીતની ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. પંજાબમાં ખાલિસ્તાનીઓની આડમાં નિર્દોશ નાગરિકો પર પોલીસ દ્વારા ખુબ અત્યાચાર થયો હોવાનો દાવો આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. ફિલ્મના કેટલાક દ્રશ્યોનો દેશ વિરોધી તત્વો ઉપયોગ કરી શકે છે તેવી ભીતિ વચ્ચે તેના પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

