વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ સહિત વિવિધ પાટીદાર સંસ્થાનો દ્વારા સંયુક્તપણે સરદાર ગૌરવ રત્ન થી સન્માનિત કરાયા
પેટ્રોલ અને ડિઝલનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરી મેટ્રો, ઇલેક્ટ્રિક અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા આગ્રહ કરતા નરેન્દ્રભાઇ મોદી
Vadodara તા.૧૨ઃ
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે વડોદરા ખાતે સરદારધામ ૩ – ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ, સર્વ સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સરદારધામ શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ તથા કન્યા છાત્રાલય ફેઝ-૨ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદારધામ, ખોડલધામ, ઉમિયા માતાજી સંસ્થાન (ઊંઝા અને સિદસર), અન્નપૂર્ણાધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેળવણીધામ, સમસ્ત પાટીદાર સમાજ સુરત, સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સુરત સહિતના સંસ્થાનો દ્વારા સંયુક્તપણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સરદાર ગૌરવ રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
સરદારધામ ખાતેના કાર્યક્રમ બાદ વડોદરા ખાતે ઘોડા સર્કલ થી એરપોર્ટ સુધી વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. પશ્ચિમ બંગાળ, આસામ, પૂડુચેરી વિધાનસભા ચુંટણીમાં તથા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજય બાદ પ્રથમ વખત ગુજરાત પધારેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રોડ-શોના સમગ્ર રૂટમાં વડોદરાવાસીઓ પરિવાર સાથે ઉમટી પડ્યા હતાં. સમગ્ર વાતાવરણ જય શ્રી રામ, વંદે માતરમ્, ભારતમાતા કી જય, મોદી મોદી, દેખો દેખો કોન આયા ભારત કા શેર આયા ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખુલ્લી કારમાં ઊભા રહી સૌ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ-શો માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરામાં વસતા દેશના વિવિધ ક્ષેત્રોના નાગરિકો પારંપરિક વેશભૂષામાં પધાર્યા હતા જેનાથી રોડ-શો દરમિયાન વિવિધતામાં એકતાના દર્શન થયા હતાં.
સરદારધામ-૩ ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરદારધામ સંસ્થાના પ્રકલ્પો ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટે મજબૂત આધારસ્તંભ સાબિત થશે અને યુવાનો માટે લોન્ચિંગ પેડનું કાર્ય કરશે. આવા પુણ્ય કાર્યો માટે તેમણે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતાં. તાજેતરના બંગાળ, આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામોને લઇને દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હોવાનું જણાવી વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ પણ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. ગુજરાતના લોકોએ હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યું છે અને એ જ દુરદર્શિતાના કારણે રાજ્યમાં મજબૂત આર્થિક વિકાસ શક્ય બન્યો છે. તેમણે ઉમેર્યું કે આપ સૌ વચ્ચે આવવું અને કાર્યક્રમનો ભાગ બનવું તેમના માટે ઘેર આવ્યા જેવી લાગણી છે, જ્યાં સમાજની સામૂહિક શક્તિનો સકારાત્મક અહેસાસ થાય છે. સમાજમાં સ્થાયી પરિવર્તન માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે તે હંમેશા આગળ વધ્યો છે.
સરદારધામના કાર્યને વખાણતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે સંસ્થાના પ્રયાસોથી યુવાઓ અને ખાસ કરીને દીકરીઓને નવી તકો મળી રહી છે. અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપુજનથી લઈને લોકાર્પણ સુધીની સફર અને આજે હજારો દીકરીઓ ત્યાં શિક્ષણ લઈ રહી છે તે ગૌરવની બાબત છે. દેશભરમાં સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહી છે. આજે દીકરીઓ માટેના નવા છાત્રાલયનું ભૂમિપુજન થયું છે. તેમણે જણાવ્યું કે સમાજ અને સરકાર સાથે મળીને કાર્ય કરે ત્યારે જ વ્યાપક અને સ્થાયી પરિણામો પ્રાપ્ત થાય છે.
શિક્ષણ ક્ષેત્રમાં થયેલા પરિવર્તનો અંગે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જમીનસ્તર પર થયેલા સુધારાનું ઉત્તમ ઉદાહરણ છે. ભાષાના આધારે થતો ભેદભાવ દૂર કરવામાં આવ્યો છે અને હવે માત્ર ડિગ્રી નહીં પરંતુ સ્કિલ ડેવલપમેન્ટ અને ઈનોવેશનને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. યુવાનોને રિસર્ચ માટે અનુકૂળ વાતાવરણ, તેમજ એપ્રેન્ટિસશિપ દ્વારા અનુભવ મેળવવાની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં મજબૂત સ્કિલ વર્કફોર્સ ઉભી કરશે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગશક્તિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન દ્વારા નાના શહેરોના યુવાનો પણ સફળ ઉદ્યોગપતિ બની રહ્યા છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી પણ પ્રગતિનું પ્રતીક છે. છેલ્લા દાયકામાં દેશે રમતગમતથી લઈને અવકાશ ક્ષેત્ર સુધી નોંધપાત્ર સફળતાઓ મેળવી છે. આજે ગુજરાત મોડેલની સફળતા દેશભરમાં લાગુ થઈ રહી છે. તેમણે મહિલા સશક્તિકરણને વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો હતો.
જનધન ખાતા, શૌચાલય, નળથી જળ, ગેસ કનેક્શન, મુદ્રા યોજના, આયુષ્માન ભારત અને માતૃવંદના જેવી યોજનાઓ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. આજે મહિલાઓ ફાઈટર પાઇલોટ સહિત તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ આપી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં વધુ પ્રતિનિધિત્વ આપવા સરકાર સતત પ્રયાસશીલ છે. ગુજરાતની કાર્ય સંસ્કૃતિ વિશે તેમણે જણાવ્યું કે રાજ્ય સમયની દિશાને ઝડપથી ઓળખી તેને તકમાં ફેરવે છે. સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, એડવાન્સ એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી અને ફાઈનાન્શિયલ સર્વિસિસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ બનાવી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ, તેમજ વડોદરામાં મેટ્રો કોચ અને રેલવે કોચનું ઉત્પાદન ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનનું કેન્દ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ગતિ શક્તિ યુનિવર્સિટી અને એરોસ્પેસ પ્રોજેક્ટ્સ વડોદરાને નવા વિકાસના કેન્દ્ર તરીકે ઉભું કરી રહ્યા છે.
વૈશ્વિક પરિસ્થિતિ અંગે વાત કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે વિશ્વ પશ્ચિમ એશિયામાં વધતા તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. આ પરિસ્થિતિની અસર દુનિયામાં સતત થઇ રહી છે. ભારતના આયાતનો મોટો હિસ્સો ક્રુડ ઓઇલ છે. દુર્ભાગ્યથી જે વિસ્તારમાંથી દુનિયાના મોટા હિસ્સાને તેલ મળે છે તે જ વિસ્તાર આજે સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિમાં ફસાયો છે એટલે જ્યા સુધી સ્થિતિ સામાન્ય ન થાય આપણે સૌએ મળીને નાના નાના સંકલ્પ લેવા પડશે. દેશે કોરોના જેવી મોટી મહામારીનો સફળતાપૂર્વક સામનો કર્યો છે અને આ વૈશ્વિક પડકારમાંથી પણ દેશવાસીઓની જનભાગીદારી દ્વારા દેશ બહાર આવશે.
દેશના નાગરિકોને અપીલ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે પેટ્રોલ અને ડિઝલનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરી મેટ્રો, ઇલેક્ટ્રિક અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવો જોઈએ. કારપુલિંગ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે ‘‘વોકલ ફોર લોકલ’’ને જનઆંદોલન બનાવવાની અપીલ કરી. તેમણે આયાત ઘટાડવા ખાદ્યતેલનો વપરાશ ઓછો કરવા અને સોનાની ખરીદી ઘટાડવા આગ્રહ કર્યો હતો. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને દેશના ઉદ્યોગોને મજબૂત બનાવવા તે સમયની માંગ છે. ખેતી ક્ષેત્રમાં નેચરલ ફાર્મિંગ અને સોલાર પંપના ઉપયોગને પ્રોત્સાહન આપવા પણ તેમણે આગ્રહ કર્યો હતો.
વેકેશન અને સામાજિક પ્રસંગોમાં પણ સ્વદેશી વિકલ્પોને પ્રાધાન્ય આપવાની અપીલ કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે વિદેશ પ્રવાસ અને વિદેશી લગ્ન સ્થળોના વધતા ટ્રેન્ડને બદલે ભારતમાં જ પ્રવાસ અને ઉજવણી કરવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતથી સુંદર અને પવિત્ર કોઈ સ્થળ નથી. લગ્ન માટે દેશના વિવિધ સ્થળોની પસંદગી કરવાની સલાહ આપતા તેમણે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લગ્ન આયોજનને પ્રોત્સાહન આપ્યું અને તેને વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર ગણાવ્યું. અંતમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે નાના પ્રયાસો પણ જ્યારે ૧૪૦ કરોડ દેશવાસીઓ સાથે મળીને કરે છે ત્યારે તે દેશની મોટી શક્તિ બની જાય છે. એકતા અને સંકલ્પથી દેશના વિકાસને કોઈ પણ સંકટ અસર કરી શકશે નહીં. તેમણે કહ્યું કે સરદાર સાહેબના સપનાઓને સાકાર કરવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. પોતાના સન્માન માટે આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે પરિવારજનોથી મળતા આશીર્વાદ કામ કરવાની શક્તિ વધારે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, સરદાર સાહેબે રચેલું એક અને અખંડ ભારત આજે વડાપ્રધાનશ્રી મોદીજીના નેતૃત્વમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’ તરીકે મજબૂત બની રહ્યું છે. સરદાર સાહેબના સ્વપનોને સાકાર કરવા કલમ ૩૭૦ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય, તેમની ૧૫૦મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ વડાપ્રધાનશ્રીના સમર્પણનું પ્રતીક છે. સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી થયેલું તેમનું સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

