Ahmedabadતા.૧૧
ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં વધી રહેલા તાપમાન વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં અંગત દાઝતી ગરમી પડવાની આગાહી કરી છે. આગાહી મુજબ, રાજ્યના લોકોને હવે ’આગ ઝરતી ગરમી’ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ૧૨ થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારે કરમી પડવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ૧૨ થી ૨૦ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું જોરદાર મોજું જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે. આકરી ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી સંભાવના છે.
ગરમીની સાથે સાથે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૧૮ થી ૨૨ એપ્રિલ વચ્ચે ફરી એકવાર નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. આ સિસ્ટમની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જેમાં કેટલાક સ્થળોએ કરા પણ પડી શકે છે.
સૌથી ચિંતાજનક બાબત સમુદ્રમાં સર્જાનારી સિસ્ટમ છે. આગાહી મુજબ ૧૭ મે બાદ અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ સાથે જ બંગાળની ખાડીમાં પણ ભારે ચક્રવાતની સ્થિતિ નિર્માણ પામી શકે છે. જો આ ચક્રવાત સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળી શકે છે. આમ, ચાલુ વર્ષે ઉનાળો માત્ર ગરમી જ નહીં, પણ વંટોળ અને કમોસમી વરસાદની બેવડી આફત લઈને આવે તેવા સંકેતો મળી રહ્યા છે. ખેડૂતોએ પણ આ માવઠાની આગાહીને ધ્યાને રાખી પાકની જાળવણી માટે સાવચેત રહેવું જરૂરી છે.

