હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ચિંતનની ધારા સોમથી રવિવાર સુધી નક્કી કરાયેલાં જુદાં જુદાં વિષય આસપાસ વહે છે, અને સાંપ્રત સમયમાં તનાવ ભરેલાં સૌના જીવનને સદગુરુ કૃપા થકી અજવાળાં પ્રદાન કરવાં નિઃસ્વાર્થ અને નિષ્પક્ષ કોશિશ કરે છે. ચિંતનની ક્ષણેનાં ખૂબ ચાહકો છે, અને ખૂબ બધાં પ્રતિભાવ પણ આવે છે, કે આપણી સનાતન સંસ્કૃતિનાં મર્મ સમજાવતાં આપનાં આધ્યાત્મિક લેખોની શૈલી ખરેખર બહુ સરળ હોય છે, તો આપ એની પર વધુ પ્રકાશ પાડો! લેખ માટે કાયમ સદગુરુ કૃપા જ મુખ્ય બળ છે, એટલે જેમ પ્રેરણા થશે એમ લખાશે. ક્યારેક ક્યારેક એવું લાગે કે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ એનાં વૈદિક શાસ્ત્રોમાં કહેવાયેલી વાતને ન સમજી શકવાને કારણે જ વધુ જટિલ બની છે! આપણે ત્યાં ઈશ્વરને સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે માનવામાં આવે છે, અને આ ઉપરાંત અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટ દ્વૈત, શુદ્ધાદ્વૈત અને એમાં પણ કેટલુંય! મનુષ્યનાં જીવન માટે ચાર વેદ પણ અહીં ઉપલબ્ધ છે, આ ઉપરાંત શિવ પુરાણ દેવી પુરાણ જેવાં અઢાર પુરાણનાં ગ્રંથો! તેની સંહિતાઓ અને તેની પરનાં ટીકા ટીપ્પણી કે ભાષ્યો! આ બધું અધ્યાત્મનાં વિષયને વધુને વધુ ગહન બનાવતું જાય છે. યુગો યુગોથી માનવી સાધનાને નામે એમાં અટવાતો જાય, પણ અંતે જ્યારે કંઈ પ્રાપ્ત કરે, ત્યારે એને એવું થાય, કે કેટલી સરળ પદ્ધતિ હતી! એને મેં આટલી જટિલ શું કામ બનાવી? પરંતુ હિન્દુ સંસ્કૃતિની એક વિશેષતા એ રહી કે સંસારીઓને મુક્તિ માટે ઘર પરિવાર છોડી હિમાલય કે અન્ય પર્વતોની ગિરિકંદરામાં જવાનું નથી, સંસારમાં રહી સંસારનાં વ્યવહારો નિભાવતાં નિભાવતાં પણ એ પરમ તત્વને પામી શકે છે, સાક્ષાત્કાર કરી શકે છે! વેદનાં સાર કહેવાતાં ઉપનિષદીય સૂત્રો જીવનમાં ઉતારીને જીવનને એક નિશ્ચિત આયામ સુધી દોરી જઈ શકાય છે. વેદોનાં સારને ઉપનિષદ કહેવાય છે, ઉપનિષદનો અર્થ બાપુ બહુ સરસ કરે છે કે, એષ ઉપદેશ.. એષ આદેશ.. આમ તો ઉપનિષદનાં મુખ્ય દસ જ ભાગ બતાવાયા છે, પરંતુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે તો 108 ઉપનિષદ છે. સૌથી પહેલું ઉપનિષદ ઈશા ઉપનિષદ છે, અને એનો પ્રથમ શ્લોક આપણી સંસ્કૃતિનો પાયો છે, એમ કહી શકાય, તો એને વિશે ચિંતન કરીશું.
** ઈશા ઉપનિષદ**
ઈશા વાસ્યમિદં સર્વં યત્કિં ચ જગત્યાં જગત્ |
તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ ॥ ૧ ॥
શુક્લ યજુર્વેદના 40 માં અધ્યાય તરીકે ઈશા ઉપનિષદનો સંદર્ભ ટંકાયેલો છે. માત્ર 18 શ્લોકનાં આ નાનકડા ઉપનિષદમાં બહુ મોટી વાત કહેવામાં આવી છે. આમ તો દરેક ઉપનિષદ નો આરંભ અને અંત બેય શાંતિ મંત્રથી કરવામાં આવે છે, એટલે કે સાધક મૂળ મુદ્દે શાંતિની શોધ માટે જ આધ્યાત્મક પાથ પર યાત્રા કરે છે. વિશ્વની શાંતિ ઈચ્છીએ છીએ તો પહેલા ખુદ એટલે કે સ્વયંનું શાંત થવું પણ એટલું જ જરૂરી છે, અને તેથી આજના ચિંતનમાં આ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે! આ શ્લોકનાં ગૂઢાર્થને સમજવામાં આવે તો મોટાભાગનાં સાંસારિક ઝઘડાઓ સમાપ્ત થઈ જાય.
આ ઉપનિષદનાં પ્રથમ શ્લોકમાં ઈશ્વર તત્વની વાત કરવામાં આવી છે, અને કહેવામાં આવ્યું છે કે જડ અને ચેતન એમ જગતની ઉત્પત્તિનાં તમામ કારણોમાં ઈશ્વર તત્વ સરખી રીતે જ વ્યાપ્ત છે! એટલે કે કીડીમાં ઓછું અને અન્ય મોટા પ્રાણીમાં વધુ એવું નથી! પણ અદ્રશ્ય છે અથવા તો આ ઇશ તત્વ આવરણથી ઢંકાયેલું છે! એટલે કે પ્રાણી માત્રનો આત્મા શરીર નામનાં આવરણથી ઢંકાયેલ છે, અને જીવને આત્મજ્ઞાન થકી એ આત્મા સુધી પહોંચવાનું છે! અને જીવ આત્મા સુધી ત્યારે જ પહોંચી શકે, જ્યારે એ ઈશ્વરની સર્વોપરી સત્તાને સ્વીકારે, એટલે કે જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એનું કારણ માત્રને માત્ર ઈશ્વર છે, પોતે તો નિમિત્ત માત્ર છે. અહીં કંઈ જ મારું નથી, અને અહીંથી કંઈ લઈ જઈ શકાતું નથી, માટે મારું મારું કરી સંગ્રહ કરવો નહીં, તેમજ અન્યના ધન વગેરે પર કુદ્રષ્ટિ ન કરવી એવો પણ સૂર આ ઉપનિષદનો છે.
આ ઉપરાંત આ ઉપનિષદમાં અસૂર્યા લોકની વાત પણ કરવામાં આવી છે, જેનો અર્થ સામાન્ય રીતે તો સૂર્યનાં કિરણો જ્યાં સુધી પહોંચી શકતાં નથી, એ લોક એવો થાય! ભારતીય અધ્યાત્મમાં આવા લોકનાં સ્પષ્ટ નિરૂપણ તરીકે ગર્ભકાળ માનવામાં આવ્યો છે. આ અશરીરી ચેતના સુધી સૂર્ય એવમ જ્ઞાન એટલે ઈશ્વરની વ્યાપકતાનું જ્ઞાન પહોંચી શકતું નથી, અને એટલે જ એનાં જન્મનું મહત્વ છે! પરંતુ જન્મ પછી પણ જે લોકો આત્મા કે પોતાના ‘સ્વ’ને ઓળખતાં નથી, આત્માને ઠુકરાવે છે, નકારે છે અને આ રીતે આત્માનો અસ્વીકાર કરીને પૂરું જીવન વિતાવે છે, તેઓ મૃત્યુ પછી એ જ અંધકારભર્યા લોકમાં એટલે કે અસૂર્યા લોક ગર્ભમાં જવું પડે છે. જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર થાય નહીં, ત્યાં સુધી ફરી ફરી જન્મ મૃત્યુનાં ચક્રમાં જાતને ઢસડવી પડે છે. ટૂંકમાં કહીએ તો આ ઉપનિષદમાં ઇશ્વરને સર્વનિર્માતા અને પોતાને નિમિત્ત માત્ર માનીને જીવન જીવવાનો ઇશારો કરવામાં આવ્યો છે.
અગ્ને નય સુપથા રાયે અસ્માન, વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન્ ।
યુયોધ્યસ્મજ્જુહુરાણમેનો, ભૂયિષ્ઠાં તે નમ ઉક્તિં વિધેમ ॥ ૧૮ ॥
આ ઉપનિષદના અંતિમ મંત્રમાં અગ્નિદેવને પ્રાર્થનાં કરવામાં આવે છે કે, હે અગ્નિદેવ! અમને સાચાં માર્ગે દોરજો, જેથી અમે અમારા પાપરૂપી અજ્ઞાન કે અંધકારથી મુક્ત થઈ શકીએ.
ઉપનિષદ વિશે સર્ચ કરતી હતી તો, ઉમાશંકર જોશીની સુંદર ટિપ્પણી મળી! એમના કહેવા મુજબ આપણે આપણા મૂળ સ્વભાવ એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી શું કામ પહોંચી શકતા નથી! કારણ કે વેદ ઉપનિષદમાં જે આનંદની વાત છે એ આનંદ, અને આપણે ખાઈએ છીએ એ આનંદ જુદો છે! દાખલા તરીકે આપણી થાળીમાં ભાવતાં ભોજન હોય તો એ આરોગીએ ત્યાં સુધી આપણે આનંદિત છીએ, પણ વ્યંજન પૂરાં થાય, એટલે આપણો આનંદ પણ પૂરો! પંડિત જસરાજ જ્યાં સુધી વીણા વાદન કરે ત્યાં સુધી આપણે આનંદિત, પણ જેવો પ્રોગ્રામ સમાપ્ત થાય એવો આપણો આનંદ પણ પૂરો!: જ્યારે વેદ ઉપનિષદમાં જે આનંદની વાત કરવામાં આવી છે, એ શાશ્વત છે.
સદગુરુ કૃપા હજી એને સરળ બનાવે કે ઈશ્વરની કાર્યદક્ષતા થકી અથવા તો એની વ્યાપકતા થકી આપણી દ્રષ્ટિ જો ઈશ્વર સુધી પહોંચે તો આપણે એની પ્રત્યેક નાની મોટી ક્રિયા કે જે, કાર્યકારણ સિદ્ધાંતથી પરે છે, એની ઉપર વાહ વાહ! એવી દાદ થઈ જાય, અને એ આનંદ શાશ્વત છે. પરંતુ આપણે તકલીફ ત્યાં છે કે આપણે ઈશ્વરને તો સર્વોપરી સત્તા તરીકે હજી એ સ્વીકારી શકીએ, પરંતુ સામેવાળામાં ઈશ્વર જોઈ શકાતો નથી, અને એટલે જ મારું મારું છુટતું નથી, એટલે કે જશ તો લેવો છે, પણ આ તે કર્યું નો અપજશ બીજાને દેવો છે! લેવાં દેવાંની વાતમાં જ્યાં સુધી સંગતતા નહીં આવે, એટલે કે જો મેં કર્યુંનો જશ લેવો હોય, તો અપરાધ થાય ત્યારે આ મેં કર્યું નો અપજશ લેવાની પણ તૈયારી રાખવી પડે. તો ઈશા વાસ્યમિંદ.. એ સૂત્રનો સહજ સ્વીકાર કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

