Gandhinagarતા.૯
ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્યના બાળકોની સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ગુમ થયેલા બાળકોના આંકડા રજૂ કરીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેની સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારની કામગીરીનો બચાવ કરતા આંકડાકીય માહિતી રજૂ કરી હતી.ગુજરાત ઇતિહાસ પુસ્તકો
ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને શૈલેષ પરમારે ગીર સોમનાથ તથા જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગુમ થયેલા બાળકોનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષે દાવો કર્યો હતો કે છેલ્લા બે વર્ષમાં રાજ્યના ૨૪ જિલ્લાઓમાંથી કુલ ૫૨૨ જેટલા બાળકો ગુમ થયા છે. ધારાસભ્યોએ આ આંકડા રજૂ કરતા ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી કે આટલી મોટી સંખ્યામાં બાળકોનું ગુમ થવું તે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જે છે.
વિપક્ષના પ્રશ્નોનો સચોટ જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકો ગુમ થવાના મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતા ઘણી સારી અને નિયંત્રણમાં છે. તેમણે આંકડાકીય માહિતી આપતા દાવો કર્યો હતો કે બાળકો ગુમ થવાના દરમાં ગુજરાત સમગ્ર દેશમાં ૨૭માં ક્રમે આવે છે, જે સાબિત કરે છે કે અહીં આવા કિસ્સાનું પ્રમાણ ઘણું ઓછું છે. સરકારે વધુમાં ઉમેર્યું હતું કે ‘ટ્રેક ચાઈલ્ડ’ પોર્ટલ અને ફેસિયલ રેકગ્નિશન જેવી અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. એટલું જ નહીં, રાજ્યમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે ખાસ ડ્રાઈવ ચલાવીને મહત્તમ બાળકોને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
ગૃહમાં થયેલી આ ચર્ચા બાદ ફરી એકવાર બાળકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સરકાર ભલે આંકડાઓમાં રાહત બતાવતી હોય, પરંતુ વિપક્ષનું કહેવું છે કે એક પણ બાળક ગુમ થાય તે સમાજ માટે ચિંતાનો વિષય છે.

